ગઢવાલ રાઇફલ્સ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તે ૩૯મી ગઢવાલ રેજિમેન્ટ તરીકે ૧૮૮૭માં ઉભી કરવામાં આવી હતી. તે શરૂઆતમાં બંગાલ સેના, બાદમાં બ્રિટિશ ભારતીય સેના અને આઝાદી બાદ ભારતીય ભૂમિસેનાનો ભાગ બની.
૧૯મી અને ૨૦મી સદીમાં સરહદી પ્રાંતના અભિયાનમાં તેણે ભાગ લીધો હતો તેમજ બંને વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો. આઝાદી બાદના દરેક યુદ્ધમાં રેજિમેન્ટએ યોગદાન આપ્યું છે. તે મુખ્યત્ત્વે ગઢવાલી સૈનિકોની બનેલી છે અને તેની આગવી ઓળખ છે. હાલમાં તે ૨૫,૦૦૦ સૈનિકો ધરાવે છે જે ૧૯ પલટણો, ગઢવાલ સ્કાઉટ્સ જે હંમેશા જોષીમઠ ખાતે તૈનાત રહે છે તેમાં વહેંચાયેલા છે. બે સ્થાનિય સૈન્ય પલટણો ૧૨૧મી અને ૧૨૭મી પલટણ પણ તેનો ભાગ છે. રેજિમેન્ટની પ્રથમ પલટણને યાંત્રિક પાયદળ રેજિમેન્ટની ૬ઠી પલટણ તરીકે બદલવામાં આવી છે.
૧૮૮૭ સુધી ગઢવાલી સૈનિકોને પાંચ ગુરખા રેજિમેન્ટમાં જ ભરતી કરવામાં આવતા હતા. ૧૮૫૭ની દિલ્હીની ઘેરાબંધી દરમિયાન નામના મેળવનાર સિરમોર પલટણ, જે પાછળથી ૨જી ગુરખા બની તેમાં ૩૩% સૈનિકો ગઢવાલી હતા.
ગઢવાલી સૈનિકોની અલગ રેજિમેન્ટ રચવાનો પ્રથમ પ્રસ્તાવ લેફ્ટ જનરલ એફ. એસ. રોબર્ટ્સ દ્વારા જાન્યુઆરી ૧૮૮૬માં લેવાયો અને તે અનુસાર એપ્રિલ ૧૮૮૭માં ૩જી ગુરખા રેજિમેન્ટને ઉભી કરવા આદેશ મળ્યો જેમાં છ કંપની ગઢવાલી અને બે ગુરખા સૈનિકોની રાખવામાં આવી. આમ અલ્મોડા ખાતે મે ૫, ૧૮૮૭ના રોજ પ્રથમ પલટણ ઉભી કરવામાં આવી જે બાદમાં લૅન્સડાઉન ખાતે બદલી કરાઈ.
રેજિમેન્ટનું મુખ્યાલય ઓક્ટોબર ૧, ૧૯૨૧ના રોજ લૅન્સડાઉન ખાતે સ્થપાયું.
પ્રથમ વિશ્વયુદ્ધમાં ગઢવાલની બંને પલટણો મેરઠ ડિવિઝનની ગઢવાલ બ્રિગેડ તરીકે ફ્લાન્ડર્સ ખાતે લડાઈમાં ઉતરી. રેજિમેન્ટને નાયક દરવાન સિંઘ નેગી અને રાઇફલમેન ગબ્બર સિંઘ નેગીએ બે વિક્ટોરીયા ક્રોસ અપાવ્યા. નાયક દરવાન સિંઘ પ્રથમ ભારતીય સૈનિક હતા જેમને આ સન્માન બ્રિટિશ સમ્રાટના સ્વહસ્તે એનાયત કરાયું. મોટાપ્રમાણમાં જાનહાનિ વેઠવાને કારણે પલટણોને વિલિન કરી અને ગઢવાલ રાઇફલ્સ તત્પુરતી ઉભી કરાઈ. પલટણોએ ૧૪ અફસર, ૧૫ જુનિયર અફસર અને ૪૦૫ સૈનિકો ગુમાવ્યા હતા.
૧૯૧૭માં ફરીથી ૧લી અને ૨જી પલટણો ઉભી કરવામાં આવી અને તેમને તુર્કી સામે મેસોપોટેમિયા ખાતે લડાઈમાં ઉતારાઈ. ૨૫-૨૬ માર્ચ ૧૯૧૮ના રોજ ખાન બગદાદી ખાતે તેમણે તુર્કીના ૩૦૦ સૈનિકોને ઘેરી લીધા અને શરણાગતિ સ્વીકારવા મજબૂર કર્યા જેમાં તેમના ડિવિઝનલ કમાંડર પણ હતા.
૩જી પલટણ ૧૯૧૬માં અને ૪થી ૧૯૧૮માં ઉભી કરવામાં આવી. બંને પલટણોને અફઘાનિસ્તાન અને સરહદી પ્રાંતમાં લડવાની તક મળી.
ઓક્ટોબર ૧૯૧૯માં ૪થી પલટણને કોહાટ ખાતે વઝીરી અને મહસૂદ સામે લડવા મોકલવામાં આવી. કોહાટ ખાતે સફળ કાર્યવાહી બાદ તેમને કોટકાઈ પાસે સંવેદનશીલ અને મુશ્કેલ ચોકી સ્પિન ઘારા ટેકરી કબ્જે કરવાની જવાબદારી સોંપાઈ. ૨ જાન્યુઆરી ૧૯૨૦ના રોજ મહેસૂદ અને અન્ય આદિવાસીઓએ હુમલો કર્યો. કંપનીએ મોટા પ્રમાણમાં જાનહાનિ વેઠી અને ચોકી પરનો કબ્જો જાળવી રાખ્યો. પરિસ્થિતિ વણસતી જોતાં ઉપરી અધિકારીઓએ પીછેહઠનો આદેશ આપ્યો. સમગ્ર પીછેહઠ દરમિયાન તેમના પર હુમલા થતા રહ્યા. આ ટેકરીને પાછળથી ગઢવાલી ટેકરી તરીકે ઓળખવામાં આવી. આ કાર્યવાહી માટે અંગ્રેજ અધિકારીને મરણોપરાંત વિક્ટોરીયા ક્રોસ એનાયત કરાયો.
ફેબ્રુઆરી ૨, ૧૯૨૧ના રોજ દિલ્હી ખાતે ડ્યુક ઓફ કોનોટ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ઉત્કૃષ્ટ સેવા અને વીરતા માટે સમ્રાટ દ્વારા છ પલટણોને રોયલ શિરપાવ આપ્યો હતો અને તેમાંની એક ગઢવાલ હતી. તેના પ્રતિક સ્વરૂપે ખભ્ભા ઉપર ટ્યુડોર તાજ અને લાલ લેનયાર્ડ પહેરવાની છૂટ હતી. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે જ્યારે ભારત ગણતંત્ર બન્યું ત્યારે તાજ હટાવાયો પરંતુ લેનયાર્ડ કાયમ રહી.
૧૯૩૦માં પેશાવર ખાતે શાસન વિરોધિ સંઘર્ષ દરમિયાન ગઢવાલ રાઇફલ્સને બે પ્લાટુને શહેરમાં રમખાણો અટકાવવા લઈ જતી બસમાં બેસવા ઈનકાર કરી દીધો હતો. જે પ્લાટુનનું નેતૃત્વ કરી રહ્યા હતા તેમને જેલની સજા કરવામાં આવી અને રાઇફલમેનને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા.[૧]
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિકોને જરૂરિયાતને પહોંચી વળવા ૧૯૪૦માં ૪થી પલટણ ફરી ઉભી કરાઈ અને ૧૯૪૧માં ૫મી અને ૬ઠી.
આ યુદ્ધમાં ૧લી અને ૪થી પલટણ બર્મા ખાતે, ૨જી અને ૫મી પલટણ મલાયા ખાતે લડી. ૨જી પલટણ મલાયા ખાતે તૈનાત હતી અને તે એકમાત્ર પાયદળ રેજિમેન્ટ હતી માટે તેને અનેકવિધ પ્રકારની ફરજો સોંપાઈ હતી. નવી પલટણો ઉભી કરવા પલટણમાંથી બે વખત સૈનિકો લેવામાં આવ્યા હતા. જ્યારે જાપાન હુમલો કર્યો ત્યારે પલટણ બહાદુરીપૂર્વક ઝઝૂમી અને મોટાપ્રમાણમાં જાનહાનિને કારણે તેનું અસ્તિત્ત્વ જ ખતમ થઈ ગયું. જે સૈનિકો જીવિત બચ્યા તેમને જાપાને યુદ્ધકેદી તરીકે બાનમાં લીધા. ૫મી પલટણ પણ સિંગાપુર ખાતે હતી અને તેમણે પીછેહઠ કરી રહેલા અંગ્રેજ સૈન્યના પાછળના ભાગે રહી અને લાંબી લડાઈ લડી. આ બંને પલટણો સંપૂર્ણ નાશ પામી અને તેમના સ્થાને ૭મી પલટણ ઉભી કરવી પડી. ૨જી પલટણ યુદ્ધ બાદ ફરીથી ૧૯૪૬માં ઉભી કરાઈ અને ૫મી પલટણ આઝાદીના ઘણા સમય પછી ૧૯૬૨માં ઉભી કરાઈ.
૧લી પલટણ ૧૯૪૧માં બર્મા ખાતે ફરજ પર હતી અને તે જાપાની ઘોડાપુરને ખાળવા બહાદુરીપૂર્વક લડી. તેણે શરૂઆતમાં બર્માના રક્ષણ માટે અને બાદમાં તેને પાછું કબ્જે કરવા માટે અનેક લડાઈઓ લડી અને તેમને સાત યુદ્ધ સન્માનો આ માટે મળ્યાં.
૪થી પલટણને ત્રણ વર્ષ સુધી સરહદી પ્રાંતમાં ફરજ બાદ બર્મા ખાતે નિયુક્ત કરાઈ.
૩જી પલટણ ઉત્તરી આફ્રિકા અને ઈટલી ખાતે લડાઈમાં જોડાઈ. તેમાં ત્રણ તો માત્ર ગઢવાલ રાઇફલ્સને મળે તેવાં યુદ્ધ સન્માન જીત્યાં. આ ઉપરાંત પાંચ અન્ય યુદ્ધ સન્માનો મેળવ્યાં.
યુદ્ધ બાદ સૈનિકોની જરૂરિયાત ઘટતાં પલટણો ઘટાડવામાં આવી અને ૧લી, ૨જી અને ૩જી એમ ત્રણ જ સક્રિય પલટણ રાખવામાં આવી.
૧૯૪૭માં આઝાદી મળ્યા પછી ગઢવાલ રજવાડું ભારતમાં જોડાનાર શરૂઆતના રજવાડાંમાંનુ એક હતું. આમ, ગઢવાલ રાઇફલ્સ ભારતીય સેનાનો ભાગ બની. ૩જી પલટણે જમ્મુ અને કાશ્મીરની કાર્યવાહીમાં ભાગ લીધો અને 'તીથવાલ' યુદ્ધ સન્માન મેળવ્યું. ભારતીય સેનામાં કોઈપણ એક કાર્યવાહીમાં સૌથી વધુ વીરતા પુરસ્કાર મેળવનાર પલટણ તરીકે નામના મેળવી. એક જ ઑપરેશનમાં એક મહાવીર ચક્ર, ૧૮ વીર ચક્ર, એક શૌર્ય ચક્ર અને ૧૯ સન્માનીય ઉલ્લેખ મેળવ્યા. પલટણનું નેતૃત્વ કરી રહેલા લેફ્ટ કર્નલ કમાન સિંઘનું નામ હાલમાં જમ્મુ અને કાશ્મીર તથા પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીર વચ્ચે બનેલા એક પુલને 'અમન કમાન સેતુ' તરીકે આપવામાં આવ્યું.[૨]
૧૯૫૩માં રેજિમેન્ટને સંયુક્ત રાષ્ટ્રસંઘની રક્ષક સેનામાં કોરિયા ખાતે જોડાવાનો મોકો મળ્યો હતો.[૩]
૧૯૬૨માં ૪થી પલટણ તવાંગ, જાન્ગ અને નુરાનાંગ ખાતે લડાઈમાં જોડાઈ. મોટા પ્રમાણમાં જાનહાનિ સહેવા છતાં તેણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. નુરાનાંગ ખાતે પલટણની કાર્યવાહી મોટાભાગના યુદ્ધ ઈતિહાસમાં "પાયદળ યુદ્ધનું શ્રેષ્ઠ ઉદાહરણ" તરીકે ઉલ્લેખવામાં આવે છે. નેફામાં યુદ્ધ સન્માન મેળવનાર એકમાત્ર પલટણ ૪થી ગઢવાલ હતી જેને 'નુરાનાંગ' યુદ્ધ સન્માન એનાયત કરાયું. આ સ્થળને હાલમાં રાઇફલમેન જશવંત સિંઘ રાવતના માનમાં જશવંતગઢ તરીકે ઓળખવામાં આવે છે. તેમને આ લડાઈ માટે મરણોપરાંત મહાવીર ચક્ર અપાયું હતું. અન્ય મહાવીર ચક્ર પલટણનું નેતૃત્વ કરી રહેલા લેફ્ટ કર્નલ ભટ્ટાચારજીને એનાયત કરાયું હતું. પલટણના જીવિત બચેલા અને યુદ્ધકેદી તરીકે પકડાયેલા સૈનિકોને અલગ તારવી અને વધુ શિક્ષા આપવામાં આવતી હતી કારણ કે તેમણે ચીની સૈનિકોમાં મોટા પ્રમાણમાં જાનહાનિ કરી હતી.
૧૯૬૫માં ૧લી પલટણ ગાદરા માર્ગ ખાતે, ૨જી પલટણ ઓપી હિલ, ૬ઠી પલટણ ફિલોરા અને આઠમી પલટણ બુટુર ડોગરાન્ડી ખાતે લડી હતી.
ગદરા શહેરની લડાઈ: ૧લી પલટણ રાજસ્થાનમાં તૈનાત હતી અને તેણે તોપખાનાની મદદ વિના રણમાં આગળ વધી અને ગદરા શહેરને કબ્જે કર્યું. પલટણને એક વીર ચક્ર અને એક સેના પદક અપાયો.
ઓપી હિલ: ૨જી પલટણ ઓપી હિલને કબ્જે કરવાની કાર્યવાહીમાં સામેલ હતી. તે ૧૨૦ પાયદળ બ્રિગેડના મુખ્યાલય સાથે જોડાયેલી હતી. કેપ્ટન ચંદ્ર નારાયણ સિંઘના નેતૃત્વ હેઠળ સૈનિકોએ હુમલો કર્યો અને છ સૈનિકોને મારી નાખ્યા અને બાકીના સૈનિકો નાશી ગયા. મોટા પ્રમાણમાં હથિયાર અને ચોકી પણ કબ્જે કરવામાં આવી. કેપ્ટન સિંઘ જોકે આ કાર્યવાહીમાં મશીનગન વડે ઘાયલ થયા અને શહીદી પામ્યા તેમને મરણોપરાંત મહાવીર ચક્ર એનાયત કરાયું.
૩જી પલટણ લાહોર વિસ્તારમાં હતી અને તેણે જીટી રોડ સુધીની કાર્યવાહીમાં ભાગ લીધો. દુશ્મન ભારે તોપોના તોપમારાને કારણે તેણે ૩૩ સૈનિકો ગુમાવ્યા. ૬ઠી પલટણે સિઆલકોટ વિસ્તારમાં ચારવા કબ્જે લીધું અને બાદમાં ફિલોરાને દુશ્મનના અનેક હુમલાઓથી બચાવી રાખ્યું. ૮મી પલટણે પણ સિઆલકોટ વિસ્તારમાં બુટુર ડોગરાન્ડીના રક્ષણમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો અને તેણે પલટણના કમાંડર અને બીજા ક્રમાંક અફસરને બે દિવસમાં ખોઈ દીધા.
૫મી પલટણે બાંગ્લાદેશને આઝાદ કરાવવામાં ભાગ લીધો અને હિલ્લી ખાતે લડાઈ લડી અને આમાં તેમને ત્રણ વીર ચક્ર એનાયત કરાયાં. ૧૨મી પલટણે પણ દિનાજપુર વિસ્તારમાં કાર્યવાહીમાં ભાગ લીધો.
૩જી પલટણ શકરગઢ વિસ્તારમાં હતી અને તેને સોંપાયેલ લક્ષ્ય ઢાંઢર અને મુખવાલ તેણે કબ્જે કર્યાં. બાદમાં યુદ્ધશાંતિ સ્થપાયા સમયે તે રામરી સુધી પહોંચી ગઈ હતી. ૪થી પલટણ ઝાંગર વિસ્તારમાં હતી અને તેણે પોતાની ચોકીઓ સંભાળી રાખી અને દુશ્મન વિસ્તારમાં છાપામાર હુમલાઓ કર્યા.૬ઠી પલટણ સિઆલકોટ વિસ્તારમાં હતી અને નવાનપિંડ પર પુનઃકબ્જો મેળવ્યા બાદ દુશ્મન વિસ્તારમાં રક્ષણાત્મક યુદ્ધ લડી. ૭મી પલટણ છામ્બ ખાતે હતી અને સંગરામ ચોકી પુનઃકબ્જે કરવાની કાર્યવાહીમાં મોખરે રહી.
આ ઉપરાંત ૮મી અને ૧૦મી પલટણે પણ યુદ્ધ અભિયાનમાં નોંધપાત્ર ફાળો આપ્યો.
૧૭મી પલટણ બટાલિક વિસ્તારમાં હતી અને તેને જુબેર હાઇટ્સ ખાતે એરિયા બમ્પ અને કાલાપથ્થર પર હુમલો કરવાની જવાબદારી સોંપાઈ. ત્યાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હુમલો કરવો શક્ય હતો. કેપ્ટન ગોઇગોઇની પ્લાટુન સિવાયની તમામ કંપનીઓ સૂર્યોદયને પહેલાં ચઢાઈ પૂરી ન કરી શકી. દુશ્મનને આશ્ચર્યમાં નાખતાં કેપ્ટન ગોઇગોઇની પ્લાટુને હુમલો કરી દીધો અને હાથોહાથની લડાઈમાં બે ઘૂસણખોરોને મારી નાખ્યા. કેપ્ટન ગોઇગોઇ મરણતોલ જખ્મી થયા અને બાદમાં શહીદ થયા તેમને મરણોપરાંત વીર ચક્ર એનાયત કરાયું. બીજે દિવસે પલટણ બંને વિસ્તાર કબ્જે કરવામાં સફળ થઈ. તેને કારણે આગળનો માર્ગ ખુલ્લો થયો અને પલટણે મુન્થો ઢાલો વિસ્તાર અને અંતે પોઇન્ટ ૫૨૮૫ પર કબ્જો મેળવ્યો. આખરી લડાઈ દરમિયાન બરફવર્ષા ચાલુ હતી અને યુદ્ધવિરામ રેખાની નજીક હોવાને કારણે દુશ્મન તોપખાનું પણ તેમના પર ગોળા વર્ષાવી રહ્યું હતું.
૧૮મી પલટણને પોઈન્ટ ૪૭૦૦ અને તેની આસપાસના ઉંચાઈ વાળા વિસ્તાર પર કબ્જો કરવાનો આદેશ મળ્યો. આ વિસ્તારમાં તોલોલિંગ અને પોઇન્ટ ૫૧૪૦ પરથી હાંકી કઢાયા બાદ દુશ્મનોએ અડ્ડો જમાવ્યો હતો. આ લડાઇ માટે પલટણને છ વીર ચક્ર જેમાં ચાર મરણોપરાંત અને આઠ સેના મેડલ એનાયત કરાયા.
કારગિલ યુદ્ધમાં બંને પલટણોએ કુલ ૪૯ અફસરો અને સૈનિકો ખોયા.
રેજિમેન્ટના નામે ત્રણ વિક્ટોરીયા ક્રોસ, એક અશોક ચક્ર, ચાર મહાવીર ચક્ર, ૧૪ કીર્તિ ચક્ર, ૫૨ વીર ચક્ર, ૪૬ શૌર્ય ચક્ર, ૧૦ પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક, એક ઉત્તમ યુદ્ધ સેવા ચંદ્રક, આઠ યુદ્ધ સેવા ચંદ્રક, ૨૮૪ સેના ચંદ્રક, ૧૭ અતિ વિશિષ્ટ સેવા ચંદ્રક અને ૪૦ વિશિષ્ટ સેવા ચંદ્રક
પુરસ્કાર (આઝાદી પહેલાં)
વિક્ટોરીયા ક્રોસ વિજેતા
પુરસ્કાર (સ્વતંત્રતા બાદ)
અશોક ચક્ર મેળવનાર
મહાવીર ચક્ર મેળવનાર