ગૌતમ અદાણી | |
---|---|
જન્મની વિગત | ગૌતમ શાંતિલાલ અદાણી 24 June 1962 |
વ્યવસાય | ચેરમેન, અદાણી ગ્રુપ પ્રમુખ, અદાણી ફાઉન્ડેશન |
પ્રખ્યાત કાર્ય | સ્થાપક, અદાણી ગ્રુપ |
આવક | 92.2 અબજ US$ (as of 24 November 2021[update])[૧][૨] |
જીવનસાથી | પ્રીતિ અદાણી |
સંતાનો | ૨ |
વેબસાઇટ | અધિકૃત વેબસાઇટ |
ગૌતમ શાંતિલાલ અદાણી (જન્મ ૨૪ જૂન ૧૯૬૨) એક ભારતીય ઉદ્યોગપતિ છે. તેઓ અમદાવાદ સ્થિત બહુરાષ્ટ્રીય સમૂહ અદાણી જૂથના અધ્યક્ષ અને સંસ્થાપક છે.[૩]
તેમણે ૧૯૮૮માં અદાણી જૂથની સ્થાપના કરી અને પોતાના વ્યવસાય સંસાધનોને ઊર્જા, કૃષિ, રક્ષા, એરોસ્પેસના ક્ષેત્રોમાં વિસ્તરિત કર્યો.[૪] ફોર્બ્સના મત મુજબ જૂન ૨૦૨૧માં તેમના કુટુંબની કુલ સંપતિ અંદાજે ૭૮.૬ અબજ ડોલર છે.[૫] અદાણી પોર્ટ્સ ઍન્ડ સેઝ લિમિટેડમાં તેમનો શેર ફાળો ૬૬% છે. આ ઉપરાંત, અદાણી એન્ટરપ્રાઈઝમાં ૭૫%, અદાણી પાવરમાં ૭૩%, અને અદાણી ટ્રાન્સમીશનમાં તેમનો કુલ શેર ફાળો ૭૫% છે.[૬] ૨૦૧૭માં ઈન્ડિયા ટુડે દ્વારા કરાયેલ મોજણી અનુસાર તેઓને ભારતના સૌથી શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં ૪થું સ્થાન પ્રાપ્ત થયું હતું.[૭] ૧૭ જૂન ૨૦૨૧ના રોજ અદાણી ગ્રુપના શેરોના ભાવમાં ઘટાડો થવાથી તેમણે એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિનું પદ ગુમાવ્યું હતું.[૮]
ગૌતમ અદાણીમો જન્મ ૨૪ જૂન ૧૯૬૨ના રોજ અમદાવાદ, ગુજરાતમાં પિતા શાંતિલાલ અને માતા શાંતા અદાણીને ત્યાં જૈન પરિવારમાં થયો હતો.[૯] તેઓ ૭ ભાઈ-બહેન હતા અને તેમના માતા પિતા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદથી અમદાવાદ આવીને વસ્યાં હતા.[૧૦] તેમનું પ્રાથમિક શિક્ષણ શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાલય, અમદાવાદ ખાતે થયું હતું. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં વાણિજ્ય વિષયમાં સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ કોલેજના બીજા વર્ષ દરમિયાન જ અભ્યાસ અધૂરો છોડ્યો હતો.[૪] અદાણી વ્યાપાર માટે ઉત્સુક હતા પરંતુ તેમની રુચિ પિતાના કાપડ ઉદ્યોગમાં નહોતી.[૧૧]
અદાણી ૧૯૭૮માં કિશોરવયે મુંબઈમાં સ્થળાંતરીત થયા. ત્યાં તેઓ મહેન્દ્ર બ્રધર્સ નામની પેઢીમાં હીરા ઉદ્યોગના કામમાં જોડાયા. આ પેઢીમાં ૨-૩ વર્ષ કામ કર્યા બાદ ઝવેરી બજાર, મુંબઈમાં પોતાની એક હીરા બ્રોકરેજ પેઢી સ્થાપી.[૧૨]
૧૯૮૧માં તેમના મોટાભાઈ મનસુખભાઈ અદાણીએ અમદાવાદ ખાતે એક પ્લાસ્ટીક એકમની સ્થાપના કરી. તેના વ્યવસ્થાપનની જવાબદારી માટે તેઓ મુંબઈ છોડી અમદાવાદ પરત ફર્યા. પોલીવિનાઇલ ક્લોરાઈડની આયાતના આ ઉદ્યોગ સાહસે અદાણી માટે આંતરરાષ્ટ્રીય વ્યાપારના દરવાજા ખોલી નાખ્યા.[૧૩]
૧૯૮૫માં તેમણે લઘુ ઉદ્યોગ એકમો માટે પ્રાથમિક પોલીમરની આયાત કરવાની શરૂઆત કરી. ૧૯૮૮માં તેમણે અદાણી એક્સપોર્ટ લિમિટેડની સ્થાપના કરી. જે હાલ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ તરીકે ઓળખાય છે. મૂળ આ કંપની કૃષિ અને ઊર્જા પેદાશો સાથે સંકળાયેલી હતી.[૧૪]
૧૯૯૧માં આર્થિક ઉદારીકરણની નીતિઓ તેમની કંપની માટે અનુકૂળ સાબિત થઈ અને તેમણે ધાતુઓ, વસ્ત્રો અને કૃષિ ઉત્પાદનોના ક્ષેત્રમાં તેમનો કારોબાર વિસ્તાર્યો.
૧૯૯૩માં ગુજરાત સરકારે મુદ્રા બંદરના પ્રબંધન માટે આઉટસોર્સિંગની જાહેરાત કરી જેનો કોન્ટ્રાક્ટ અદાણી જૂથે (૧૯૯૫) મેળવ્યો.[૧૫]
૧૯૯૫માં તેમણે સૌ પ્રથમ બંદરગાહની સ્થાપના કરી. હાલ આ કંપની દેશની સૌથી મોટી મલ્ટી પોર્ટ ઓપરેટર કંપની છે. મુંદ્રા એ દેશનું સૌથી મોટુ ખાનગી ક્ષેત્રનું બંદર છે. જેની ક્ષમતા પ્રતિ વર્ષ લગભગ ૨૧૦ મિલિયન ટન કાર્ગો સંભાળવાની છે.
૧૯૯૬માં અદાણી જુથ દ્વારા અદાણી પાવર લિમિટેડની શરૂઆત કરવામાં આવી હતી. હાલ અદાણી પાવર લિમિટેડ પાસે ૪૬૨૦ મેગાવોટની ક્ષમતા ધરાવતો થર્મલ પાવર પ્લાન્ટ છે જે દેશનો સૌથી મોટો ખાનગી થર્મલ પાવર ઉત્પાદક પ્લાન્ટ છે.[૧૬]
૨૦૦૬માં અદાણી જૂથે વિદ્યુત ઉત્પાદન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. ૨૦૦૯ થી ૨૦૧૨ દરમિયાન તેમણે ક્વીન્સલૅન્ડમાં કોલસાની ખાણો તથા ઓસ્ટ્રેલિયામાં એબોટ પોઇન્ટ પોર્ટનું અધિગ્રહણ કર્યું.[૧૭]
તેમના લગ્ન પ્રીતિ અદાણી જોડે થયા છે.[૧૮][૧૯] તેમને વાચન પસંદ છે. ખાસ કરીને રોબિન શર્મા દ્વારા લિખિત પુસ્તકો તેમના પ્રિય છે.[૨૦]