ભારતમાં સ્ત્રી ભ્રૂણહત્યા એ કાનૂની પદ્ધતિઓની બહાર સ્ત્રી ભ્રૂણનાં ગર્ભપાત છે. ભારતમાં સ્ત્રી ભ્રૂણ હત્યાની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. કુદરતી લિંગ ગુણોત્તર ૧૦૩ અને ૧૦૭ ની વચ્ચે માનવામાં આવે છે અને તેના ઉપરની કોઈપણ સંખ્યા સ્ત્રી ભ્રૂણ હત્યાના સૂચક તરીકે માનવામાં આવે છે. દાયકાની ભારતીય વસ્તી ગણતરી મુજબ ૦-૬ વર્ષના વયજૂથમાં, ભારતમાં ૧૯૬૧માં ૧૦૦ સ્ત્રીઓ દીઠ ૧૦૨.૪ પુરુષો હતા,[૧] ૧૯૮૦માં આ આંકડો ૧૦૪.૨, ૨૦૦૧માં ૧૦૭.૫, ૨૦૧૧માં ૧૦૮.૯ થયો હતો. [૨]
ભારતના તમામ પૂર્વી અને દક્ષિણ રાજ્યોમાં બાળ લિંગનું પ્રમાણ સામાન્ય પ્રાકૃતિક શ્રેણીમાં છે,[૩] પરંતુ કેટલાક પશ્ચિમ અને ખાસ કરીને ઉત્તર પશ્ચિમ રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, હરિયાણા, જમ્મુ અને કાશ્મીરમાં (૨૦૧૧ની ગણતરી પ્રમાણે અનુક્રમે ૧૧૮, ૧૨૦ અને ૧૧૬) નોંધપાત્ર પ્રમાણમાં વધારે છે.[૪] રાજસ્થાનમાં ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં બાળ લિંગ ગુણોત્તર ૧૧૩, ગુજરાતમાં ૧૧૨ અને ઉત્તર પ્રદેશમાં ૧૧૧ હતો. [૫]
ભારતીય વસ્તી ગણતરીની માહિતી સૂચવે છે કે અસામાન્ય લિંગ ગુણોત્તર અને વધુ સારી સામાજિક-આર્થિક સ્થિતિ અને સાક્ષરતા વચ્ચે સકારાત્મક સંબંધ છે. આ ભારતમાં દહેજ પ્રણાલી સાથે જોડાયેલ હોઈ શકે છે જ્યાં દહેજ મૃત્યુ થાય છે જ્યારે કોઈ છોકરીને આર્થિક બોજ તરીકે જોવામાં આવે છે. ૧૯૯૧, ૨૦૦૧ અને ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા મુજબ શહેરી ભારતમાં ગ્રામીણ ભારત કરતા શહેરી ભારતમાં બાળ લિંગ ગુણોત્તરનું પ્રમાણ વધારે છે જે સ્ત્રી ભ્રૂણહત્યાને સૂચવે છે. એ જ રીતે ૧૦૦ છોકરીઓ દીઠ ૧૧૫ કરતા વધારે છોકરાઓનો બાળ લિંગ ગુણોત્તર એવા વિસ્તારોમાં જોવા મળે છે જ્યાં મુખ્ય બહુમતી હિન્દુ, મુસ્લિમ, શીખ અથવા ખ્રિસ્તી છે; આ ઉપરાંત ૧૦૦ છોકરીઓ દીઠ ૧૦૪ થી ૧૦૬ છોકરાઓનો "સામાન્ય" બાળ લિંગ ગુણોત્તર એવા વિસ્તારોમાં પણ જોવા મળે છે જ્યાં મુખ્ય બહુમતી હિન્દુ, મુસ્લિમ, શીખ અથવા ખ્રિસ્તી છે. આ માહિતી એવી કોઈપણ પૂર્વધારણાઓનો વિરોધાભાસ કરે છે કે જે સૂચવે છે કે લિંગની પસંદગી એ પુરાતન પ્રથા છે જે અભણ, ગરીબ વર્ગ અથવા ભારતીય સમાજના ખાસ ધર્મમાં જ થાય છે.[૪][૬]
એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શું આ ઉચ્ચ લૈંગિક ગુણોત્તર ફક્ત સ્ત્રી ભ્રૂણ હત્યાને કારણે છે અથવા કેટલાક કુદરતી કારણો દ્વારા આ શક્ય થયું છે. [૭] ભ્રૂણ લિંગ પરીક્ષણ પર પ્રતિબંધ અને સજા માટે ભારત સરકારે ૧૯૯૪ માં પ્રિ-કન્સેપ્શન અને પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક્સ એક્ટ (પીસીપીએનડીટી) પસાર કર્યો હતો. આ કાયદા અંતર્ગત ભારતમાં હાલમાં કોઈ પણ ગર્ભનું લિંગ પરીક્ષણ કરવું અથવા તેને જાહેર કરવું ગેરકાયદેસર છે. જો કે, એની ટીકા એવી રીતે કરવામાં આવી રહી છે કે તંત્ર અને અધિકારીઓ દ્વારા પીસીપીએનડીટી એક્ટને નબળી રીતે લાગુ કરવામાં આવ્યો છે.[૮]