મધુસૂદન ઢાંકી | |
---|---|
જન્મની વિગત | પોરબંદર, બ્રિટીશ ભારત | 31 July 1927
મૃત્યુ | 29 July 2016 અમદાવાદ, ગુજરાત, ભારત | (ઉંમર 88)
વ્યવસાય | સ્થાપત્યવિદ અને કળા ઇતિહાસકાર |
મધુસૂદન અમીલાલ ઢાંકી (૩૧ જુલાઈ ૧૯૨૭ – ૨૯ જુલાઈ ૨૦૧૬) ભારતના ગુજરાત રાજ્યસ્થિત સ્થાપત્યવિદ અને કળા ઇતિહાસકાર હતા. તેમણે ભારતીય મંદિર સ્થાપત્ય, જૈન સાહિત્ય અને કળા ઉપર ઘણું લખ્યું હતું.[૧]
ઢાંકીનો જન્મ ૩૧ જુલાઈ ૧૯૨૭ના રોજ ગુજરાતના પોરબંદર વિસ્તારમાં થયો હતો. તેમણે પોરબંદર ખાતે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું હતું. તેમની અટક પોરબંદર નજીક આવેલા તેમના મૂળ વતન ઢાંક પરથી હતી.[૨][૩] તેઓ ભૂસ્તરશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર વિષયમાં ફર્ગ્યુસન કોલેજ, પુણેમાંથી સ્નાતક થયા. તેમણે થોડા સમય માટે સેન્ટ્રલ બેન્ક સાથે કામ કર્યું. તેમણે ત્રણ વર્ષ બાગાયતના ક્ષેત્રમાં સંશોધન કામ કર્યું હતું. ૧૯૫૧માં તેમણે પોરબંદર ખાતે પુરાતત્વ સંશોધન મંડળની સ્થાપના કરી.[૨] તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીત પર પણ સંશોધનો કર્યા હતા. તેમણે ગીતાબેન સાથે લગ્ન કર્યા હતા.[૪] તેમણે ડિરેક્ટર ઓફ રીસર્ચ તરીકે અમેરિકન સેન્ટર ફોર આર્ટ એન્ડ આર્કિયોલોજી, ગુડગાંવમાં ૧૯૭૬થી ૧૯૯૬ સુધી સેવા આપી હતી અને ડિરેક્ટર એમેરીટસ, રીસર્ચ તરીકે એ જ સંસ્થામાં ૨૦૦૫ સુધી સેવા આપી હતી.[૩] તેમણે આધુનિક સોમનાથ મંદિરના બાંધકામમાં પણ ફાળો આપ્યો હતો.[૫][૬]
તેઓ ટૂંકી બીમારી પછી તેમના નારણપુરા, અમદાવાદ ખાતે આવેલા નિવાસસ્થાને ૨૯ જુલાઈ ૨૦૧૬ના રોજ મૃત્યુ પામ્યા.[૬][૫]
તેમણે સ્થાપત્ય અને કલા ઇતિહાસ, ખાસ કરીને ભારતીય મંદિર સ્થાપત્ય પર વ્યાપક લખ્યું હતું. તેમણે ૨૫ પુસ્તકો, ૩૨૫ સંશોધનલેખો અને ૪૦૦ અન્ય લેખો લખ્યા હતા.[૫] તેમણે જૈન સાહિત્ય પર ઘણું લખ્યું હતું. તેઓ તેમના ભારતીય મંદિર સ્થાપત્ય પર લખેલ ચૌદ ગ્રંથોની શ્રેણી માટે જાણીતા છે.[૬]
તેમના પુસ્તકોમાં ધ અમ્બ્રોઇડરી એન્ડ બીડવર્ક ઓફ કચ્છ એન્ડ સૌરાષ્ટ્ર (૧૯૬૬),[૨] ધ રીડલ ઓફ સોમનાથ (૧૯૭૪), ધ ઇન્ડિયન ટેમ્પલ ફોર્મ્સ ઇન કર્ણાટક ઇન્સક્રીપ્શન એન્ડ આર્કીટેક્ચર (૧૯૮૭), માઈકલ મીસ્ટર સાથે એન્સાયક્લોપેડિયા ઓફ ઇન્ડિયન ટેમ્પલ આર્કીટેક્ચર, ધ ઇન્ડિયન ટેમ્પલ ટ્રેસરી (૨૦૦૫), કોમ્પ્લેક્ષીટી સરાઉન્ડ ધ વિમલવસહી ટેમ્પલ એટ માઉન્ટ આબુ (૧૯૮૦), અર્હત પાર્શ્વ એન્ડ ધરણેન્દ્ર નેક્સસ, નિર્ગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય, પ્રોફેસર નિર્મળ કુમાર બોઝ એન્ડ હીસ કન્ટ્રીબ્યુશન ટુ ઇન્ડિયન ટેમ્પલ આર્કીટેક્ચર, ધ પ્રતિષ્ઠા-લક્ષણસમુચ્ચય એન્ડ ધ આર્કીટેક્ચર ઓફ કલિંગ (૧૯૯૮), ધ ટેમ્પલ્સ ઇન કુંભારિયા (૨૦૦૧), સપ્તક (૧૯૯૭), શનિમેખલા, તામ્ર શાસન (૨૦૧૧)નો સમાવેશ થાય છે. આ પૈકી છેલ્લા બે પુસ્તકો કાલ્પનિક કથા છે.[૪][૨]
તેમને એશિયાટિક સોસાયટી ઓફ બોમ્બે દ્વારા કેમ્પબેલ મેમોરિયલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.[૩]તેમને ૨૦૧૦માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો. ૨૦૧૦માં તેમને પદ્મભૂષણથી સન્માનવામાં આવેલા હતા.[૪][૬] તેમને ૧૯૭૪માં કુમાર સુવર્ણ ચંદ્રક મળ્યો હતો.[૨] તેમને ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર પણ મળેલ હતું.[૭] તેમને ગુજરાત ઇતિહાસ પરિષદ દ્વારા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.[૮]