મલ્લિકા સારાભાઈ | |
---|---|
મલ્લિકા સારાભાઈ, રંગમંચ પર | |
જન્મની વિગત | ૯ મે ૧૯૫૩ અમદાવાદ |
અભ્યાસ | એમ.બી.એ., પીએચ.ડી. (માનસશાસ્ત્ર), |
શિક્ષણ સંસ્થા | આઇ.આઇ.એમ. અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી |
ક્ષેત્ર | કલા |
વ્યવસાય | નૃત્યકાર, અભિનેત્રી, લેખક- સંપાદક, સામાજીક કાર્યકર, રાજકારણી |
રાજકીય પક્ષ | કોંગ્રેસ, આમ આદમી પાર્ટી |
જીવનસાથી | બિપીન શાહ |
ભાગીદાર | મેપીન પબ્લીશીંગ |
સંતાન | રેવન્તા (પુત્ર), અનાહિતા (પુત્રી) |
માતા-પિતા | ડૉ. વિક્રમ સારાભાઈ-મૃણાલિની સારાભાઈ |
પુરસ્કારો | પદ્મભૂષણ |
વેબસાઇટ | www |
મલ્લિકા સારાભાઈ (૯ મે ૧૯૫૩) એ ગુજરાતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નૃત્યકાર અને સામાજીક કાર્યકર છે. તેઓ ફિલ્મોમાં તેમજ નાટકોમાં અભિનયક્ષેત્રે પણ સક્રિય છે. ભરતનાટ્યમ અને કુચિપુડી તેમની પસંદગીની નૃત્યશૈલીઓ છે.[૧][૨]
મલ્લિકા સારાભાઈનો જન્મ અમદાવાદ ખાતે ૯ મે ૧૯૫૩ના રોજ ગુજરાતના ખ્યાતનામ સારાભાઈ પરિવારમાં થયો હતો. તેમના પિતા ડૉ. વિક્રમ સારાભાઈ દેશના પ્રથમ કોટીના અવકાશ વૈજ્ઞાનિક હતા. તેમની માતા મૃણાલિની સારાભાઈ ગુજરાતની સાંસ્કૃતિક પ્રવૃત્તિના અગ્રણી અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નૃત્યકાર હતા.[૧]
તેમણે આઇ.આઇ.એમ. (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ) ખાતેથી ૧૯૭૪માં એમ.બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૭૬માં ગુજરાત યુનિવર્સિટીમાંથી માનસશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી.ની પદવી હાંસલ કરી.[૩] તેઓ નામાંકિત કોરીયોગ્રાફર અને નૃત્યકાર છે. આ ઉપરાંત ગુજરાતી, હિન્દી તેમજ મલયાલમ ફિલ્મોમાં અભિનય કર્યો છે.[૪]
માતા મૃણાલિની સારાભાઈનો વારસો સંભાળતાં તેમણે પણ બાળપણથી જ નૃત્યકલાને જ પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. માનસશાસ્ત્રમાં પીએચ.ડી. અને એમ.બી.એ. જેવા ઉચ્ચ અભ્યાસ ઉપરાંત એમની માતા દ્વારા સ્થપાયેલી ‘દર્પણ’ સંસ્થામાંથી ભરતનાટ્યમ અને કુચિપૂડી જેવા નૃત્યોમાં પ્રવિણતા હાંસલ કરી.[૧] ૧૫ વર્ષની ઉંમરે જ સમાંતર સિનેમામાં અભિનયની શરૂઆત કરી. પીટર બ્રૂકના ખ્યાતનામ નાટક મહાભારતમાં તેમણે દ્રૌપદીનું પાત્ર ભજવ્યું હતું.[૫]હાલ તેઓ સામાજીક કાર્યકર તરીકે સક્રીય છે. તથા દર્પણ અકાદમીનો વહિવટ સંભાળે છે. [૬]
૧૯૮૯માં એકપાત્રીય શક્તિમાં તેમનું કામ ખૂબ વખણાયું.[૭] 'સીતા પુત્રી'ના ૫૦૦થી પણ વધુ શો ત્રણ ભાષાઓમાં ભજવાયાં. શાળા કોલેજના પ્રશ્નોને વાચા આપતા હર્ષ માંડેરના પુસ્તક 'અનહર્ડ વોઇસ' પર આધારીત નાટક 'અનસુની'ની સ્ક્રીપ્ટ પણ તેમણે જ લખેલી. વિવિધ શાળા કોલેજમાં તેના ૧૨૦થી વધુ ખેલ ભજવાયેલાં. જાણીતા દિગ્દર્શક બેર્ટોલ્ટ બ્રેચના પ્રખ્યાત 'ધ ગુડ પર્સન ઓફ સ્ચેઝવાન'ની ભારતીય આવૃતિમાં અભિનય કર્યો. અરવિંદ ગોરના દિગ્દર્શનમાં તૈયાર થયેલો આ શો 'અમદાવાદ કી ભલી ઔરત : રામકલી'ના નામે ૩૪મા ‘વિક્રમ સારાભાઈ આંતરરાષ્ટ્રીય કલા ઉત્સવ’માં રજૂ કરાયેલો. ૨૦૧૨માં, ફિલ્મ નિર્માતા વાય. ચંદ્રનના સહયોગમાં સહ-દિગ્દર્શક તરીકે 'વુમન વીથ બ્રોકન વિંગ્સ'ને આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરી. ૨૦૧૪માં ફરી વાય. ચંદ્રન સાથે મળી ને અમદાવાદના ૬૦૩ વર્ષના ઇતિહાસને 'કડક બાદશાહી' શિર્ષક હેઠળ જીવંત કર્યો. જે દર્પણ અકાદમીના મંચ 'નટરાણી' પર સતત ૩૩ રાત્રિઓ સુધી ચાલ્યો. યુરોપ, અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના વિવિધ દેશો ઉપરાંત ચીન જેવા દેશોમાં આંતરરાષ્ટ્રીય ફલક પર અનેક નૃત્ય કાર્યક્રમો આપ્યાં.
નૃત્ય ઉપરાંત હિંદી-ગુજરાતી તેમજ મલયાલમ ફિલ્મોમાં અભિનયક્ષેત્રે પોતાનું કલાપ્રદાન આપ્યું. દૂરદર્શન (ગુજરાતી) પર સામાજીક બદલાવ, સ્ત્રી સશક્તિકરણ, પર્યાવરણ જેવા જીવનને સ્પર્શતા વિષયો પર દર્પણ અકાદમીના સહયોગથી અનેક કાર્યક્રમો તૈયાર કર્યા.[૮] ‘ટર્નિંગ પોઈન્ટ’ , ‘આઇ વિટનેસ’ , ‘સ્ટોરી ટેલર’ જેવા સંખ્યાબંધ ટી.વી. કાર્યક્રમોમાં ઉદઘોષક અને પ્રસ્તુતિકર્તા તરીકેની ભૂમિકા અદા કરી.
તેમની બહુમુખી પ્રતિભાનો પરિચય આપતાં કલાવિષયક પુસ્તકોના સંપાદનો કર્યા. લેખનની શરુઆત ‘શક્તિ’થી કરી. ત્યારથી તેમના મોટાભાગના શોની સ્ક્રીપ્ટ તે જાતે જ તૈયાર કરે છે. ઇસરોની શૈક્ષણિક શ્રેણી, ફિલ્મ સ્ક્રિપ્ટ, ઉપરાંત ભરતનાટ્યમના પણ લખ્યાં. ગુજરાતી દૈનિક દિવ્ય ભાસ્કર, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, વનીત, ધ વીક, હંસ તથા ડી.એન.એ.માં કટારલેખક તરીકે લેખ લખે છે.
૧૯૮૪માં કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું. જેમાં તેમની લાલકૃષ્ણ અડવાણી સામે કારમી હાર થઈ. ડિપોઝીટ પણ ગુમાવી. વર્ષ ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં ફરી ગાંધીનગરની લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીના હરીફ તરીકે સ્વતંત્ર ઉમેદવારીની જાહેરાત કરી.[૯][૧૦] [૧૧] ૨૦૧૧માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સદભાવના મિશનનો વિરોધ કર્યો.[૧૨] ૨૦૦૨ના ગુજરાત કોમી તોફાનો અનુસંધાને નરેન્દ્ર મોદી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પીટીશન ફાઈલ કરી.[૧૨] ૮ જાન્યુઆરી ૨૦૧૪ થી તેઓ આમ આદમી પાર્ટી માં જોડાયાં છે.[૧૩]
૧૯૮૨માં તેમના લગ્ન બિપીન શાહ જોડે થયાં. સાત વર્ષના સહજીવન બાદ તેઓ છૂટા પડ્યાં અને બાદમાં તેમણે છૂટાછેડા લીધા. તેમના બે સંતાનો છે. પુત્ર રેવન્ત અને પુત્રી અનાહિતા.[૧૪] બિપીન શાહ અને મલ્લિકા સારાભાઈએ ૧૯૮૪માં સાથે મળીને મેપીન પબ્લીશીંગની સ્થાપના કરેલી જે આજદિન સુધી કાર્યરત છે.[૧૫]