સૌમ્ય જોશી | |
---|---|
![]() સૌમ્ય જોશી ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, એપ્રીલ ૨૦૧૩ | |
જન્મ | સૌમ્ય જયંતભાઇ જોશી July 3, 1973 અમદાવાદ, ગુજરાત |
વ્યવસાય | કવિ, લેખક, નાટ્યલેખક, દિગ્દર્શક, અભિનેતા |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | એમ.એ. |
માતૃ શિક્ષણ સંસ્થા | ગુજરાત યુનિવર્સિટી |
લેખન પ્રકારો | નાટક, ગઝલ, મુક્ત પદ્ય, ગીત |
નોંધપાત્ર સર્જનો |
|
નોંધપાત્ર પુરસ્કારો |
|
સક્રિય વર્ષો | ૧૯૯૧ - હાલ પર્યંત |
સંબંધીઓ | અભિજીત જોશી (મોટા ભાઇ) |
સહી | ![]() |
સૌમ્ય જોશી એ ગુજરાતી ભાષાના કવિ, લેખક, નાટ્યકાર, દિગ્દર્શક અને અભિનેતા છે. તેઓ ગુજરાતી રંગભૂમિમાં તેમના નાટકો વેલકમ જિંદગી અને ૧૦૨ નોટ આઉટ માટે જાણીતા છે. ગ્રીનરૂમમાં (૨૦૦૮) તેમનો કાવ્ય સંગ્રહ છે. ગુજરાતી નાટ્ય જગતમાં તેમના યોગદાન માટે તેમને ૨૦૧૩માં ચંદ્રવદન ચીમનલાલ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમને યુવા ગૌરવ પુરસ્કાર (૨૦૦૭) અને તખ્તસિંહ પરમાર પારિતોષિક (૨૦૦૮-૦૯) પણ મળેલા છે.[૧]
સૌમ્ય જોશીનો જન્મ ૩ જુલાઇ ૧૯૭૩ના રોજ અમદાવાદ, ગુજરાતમાં જયંત અને નીલા જોશીને ત્યાં થયો હતો. ૧૯૯૦માં તેમણે વિજયનગર હાઇસ્કૂલમાંથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. તેમણે ૧૯૯૩માં બી.એ.ની પદવી એચ.કે. આર્ટસ કોલેજ, અમદાવાદ અને ૧૯૯૫માં એમ.એ.ની પદવી ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાંથી અંગ્રેજી સાહિત્ય વિષય સાથે મેળવી.[૨]
તેમણે પોતાની કારકિર્દી ૧૯૯૫થી એચ.કે. આર્ટસ કોલેજમાં અંગ્રેજી સાહિત્યના પ્રાધ્યાપક તરીકે શરૂ કરી હતી. ૨૦૧૦માં તેમણે અન્ય યુવાનો સાથે ફેડ-ઇન થિયેટરની સ્થાપના કરી હતી. સપ્ટેમ્બર ૨૦૧૧માં તેમણે પ્રોફેસરનું પદ છોડીને પૂર્ણ સમય સાથે નાટ્યજગત સાથે સંકળાયા.
સૌમ્ય જોષીએ ૧૮ વર્ષની ઉંમરે કવિતાઓ લખવાની શરૂઆત કરી હતી. તેમની પ્રથમ કવિતા કવિલોકમાં પ્રકાશિત થઇ હતી. ત્યાર પછી, તેમની કવિતાઓ અન્ય ગુજરાતી સામયિકો શબ્દસૃષ્ટિ, કવિતા, શબ્દાલય, નવનીત સમર્પણ, અને કુમારમાં પ્રગટ થઇ હતી. તેમના નાટક રમી લો ને યાર! સાથે તેમણે ગુજરાતી રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો.[ક્યારે?][૧][૨][૩]
ગ્રીનરૂમમાં, તેમના એકમાત્ર કાવ્યસંગ્રહ છે, જે ૨૦૦૮માં પ્રગટ થયો હતો. તેમની કવિતાઓ વિવિધ શૈલીની છે. જેવી કે ગઝલ, નઝમ, ગીત અને મુક્ત પદ. તેમજ તે અલગ અલગ વિષયો જેવા કે વેશ્યા, મીરાં દ્વારા તરછોડાયેલા રાણાનું પ્રણયગીત, શિવાકાશીની ફટાકડાની ફેક્ટરીનો એક છોકરો, જેઠા નામનો ભરવાડ, નાની ગરીબ બહેન, તડકામાં ગુણી ઉંચકીને છાંયો શોધતો મજૂર વગેરે. આ પુસ્તક વિવેચનાત્મક રીતે વખાણાયેલું.[૧]
ગુજરાતી રંગભૂમિમાં તેમનું પ્રથમ નાટક રમી લો ને યાર! હતું. ૨૦૦૨ના ગુજરાતના તોફાનો પરથી તેમણે રચેલું સંગીતમય કટાક્ષ નાટક દોસ્ત ચોક્કસ અહીં એક નગર વસતું હતું વિવેચનાત્મક રીતે વખાણાયેલું. આ નાટકે તેમને ધ વીક સાપ્તાહિકના ૨૦૦૩ના ભારતના ૫૦ ઉગતા તારલાઓની યાદીમાં તેમનું નામ અપાવ્યું હતું. ૨૦૦૫માં તેમનું નાટક આથમા તારુનું આકાશ પ્રતિષ્ઠિત પૃથ્વી થિયેટર ફેસ્ટિવલ, મુંબઈમાં પસંદ પામેલું ગુજરાતનું પ્રથમ નાટક હતું. વેલકમ જિંદગી અને ૧૦૨ નોટ આઉટ વિવેચનાત્મક રીતે વખાણાયેલ અને વ્યાપારીક રીતે સફળ નાટકો છે. તેમના અન્ય નાટકો મુંઝારો, મહાત્મા બોમ્બ, તુ તુ તુ તુ તુ તારા અને ધારો કે તમે મનજી છો છે.[૩]
તેમનું નાટક ૧૦૨ નોટ આઉટ હિંદી ચલચિત્ર ૧૦૨ નોટ આઉટ તરીકે ઉમેશ શુક્લાના દિગ્દર્શન હેઠળ રૂપાંતરિત થયું છે. તેમાં તેમને લેખક તરીકે દર્શાવેલ છે.[૪]
ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાન માટે તેમને યુવા ગૌરવ પુરસ્કાર (૨૦૦૭) અને તખ્તસિંહ પરમાર પારિતોષિક (૨૦૦૮-૦૯) મળ્યા છે. ૨૦૧૩માં ગુજરાતી રંગભૂમિમાં યોગદાન માટે તેમને પ્રખ્યાત ગુજરાતી નાટ્યકાર ચંદ્રવદન મહેતાના માનમાં અપાતો ચંદ્રવદન ચીમનલાલ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમને રાવજી પટેલ એવોર્ડ, બળવંતરાય ઠાકોર એવોર્ડ અને સદ્ભાવના એવોર્ડ (૨૦૧૪) પણ પ્રાપ્ત થયેલ છે.[૫]