હરિલાલ ગાંધી | |
---|---|
હરિલાલ ગાંધી, ૧૯૧૨ | |
જન્મની વિગત | હરિલાલ ગાંધી 23 August 1888 દિલ્હી, બ્રિટિશ ભારત |
મૃત્યુ | 18 June 1948 | (ઉંમર 59)
અન્ય નામો | હિરાલાલ ગાંધી |
જીવનસાથી | ગુલાબ ગાંધી |
સંતાનો | રાણી, મનુ, કાંતિલાલ, રસિકલાલ, શાંતિલાલ. |
માતા-પિતા | મોહનદાસ કરમચંદ ગાંધી કસ્તુરબા ગાંધી |
હરિલાલ મોહનદાસ ગાંધી (૨૩ ઓગસ્ટ ૧૮૮૮ – ૧૮ જૂન ૧૯૪૮) મોહનદાસ કરમચંદ ગાંધી અને કસ્તુરબા ગાંધીના સૌથી મોટા પુત્ર હતા.[૧] તેમને ત્રણ નાના ભાઈઓ મણીલાલ ગાંધી, રામદાસ ગાંધી અને દેવદાસ ગાંધી હતા.
હરિલાલનો જન્મ ૨૩ ઓગસ્ટ ૧૮૮૮ના રોજ તેમના પિતા ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા તેના થોડા સમય પહેલાં જ થયો હતો.[૨] હરિલાલ તેમની માતા સાથે ભારતમાં રહ્યા.
હરિલાલે ભારતની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો અને ૧૯૦૮ અને ૧૯૧૧ની વચ્ચે સત્યાગ્રહી તરીકે ૬ વખત જેલમાં ગયા હતા.[૩] તેમની વારંવાર જેલવાસ સહન કરવાની તૈયારીના કારણે તેમને છોટે ગાંધીનું બિરુદ મળ્યું હતું.
તેઓ પણ ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવાની ઇચ્છા રાખતા હતા અને તેમને પિતાની જેમ બેરિસ્ટર બનવાની આશા હતી. જોકે તેમના પિતાએ આ બાબતનો ભારપૂર્વક વિરોધ કર્યો હતો અને તેઓ એવું માનતા હતા કે પશ્ચિમી શૈલીનું શિક્ષણ ભારત પરના બ્રિટીશ શાસન સામેના સંઘર્ષમાં મદદરૂપ થશે નહીં. જેનાથી પિતા અને પુત્ર વચ્ચે તણાવ સર્જાયો હતો.[૪] આખરે તેના પિતાના નિર્ણય સામે બળવો કરીને, ૧૯૧૧માં હરિલાલે કુટુંબ સાથેના બધા સંબંધો તોડી નાખ્યા.
૧૯૦૬માં[૫] તેમણે ગુલાબ ગાંધી સાથે લગ્ન કર્યા, જેની સાથે તેમને પાંચ સંતાનો હતા: બે પુત્રી, રાણી અને મનુ; અને ત્રણ પુત્રો, કાંતિલાલ, રસિકલાલ અને શાંતિલાલ. રસિકલાલ અને શાંતિલાલનું નાની ઉંમરે અવસાન થયું. તેમને રાણીના ચાર પૌત્રો (અનુશ્રી, પ્રબોધ, નીલમ સોલંકી, અને નવમલિકા), કાંતિલાલના બે પૌત્રો (શાંતિ અને પ્રદીપ) અને મનુની એક પૌત્રી (ઉર્મિ) હતા. ૧૯૧૮ના સ્પેનિશ ફ્લૂ દરમિયાન ગુલાબનું મૃત્યુ થયા પછી, હરિલાલ તેના બાળકોથી અલગ થઈ ગયા. તેમણે પોતાની પત્નીની બહેન કુમિ અડાલજા સાથે લગ્ન કરવાનું વિચાર્યું, જે એક બાળ વિધવા હતી, તેમ છતાં તે પરિપૂર્ણ થયું નહીં. આનાથી હરિલાલની વધુ પડતી થઈ અને તે ધીરે ધીરે દારૂના બંધાણી બન્યા. ૧૯૪૭ સુધી તેમણે તેમના પિતા સાથે છૂટાછવાયો સંપર્ક રાખ્યો.[૬]
હરિલાલ તેમના પિતાના અંતિમ સંસ્કારમાં એટલી અવ્યવસ્થિત સ્થિતિમાં દેખાયા કે માત્ર થોડા જ લોકો તેમને ઓળખી શક્યા હતા.
હરિલાલના બાળકોમાં સૌથી મોટા રામીબહેનની પુત્રી નીલમ પરીખે તેમનું જીવનચરિત્ર 'ગાંધીજીનું ખોવાયેલું ધન: હરિલાલ ગાંધી' લખ્યું છે.
મે ૧૯૩૬માં, ૪૮ વર્ષની વયે હરિલાલે જાહેરમાં ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો અને પોતાનું નામ અબ્દુલ્લા ગાંધી રાખ્યું.[૭] જોકે ૧૯૩૬ના પાછલા ભાગમાં તેમની માતા કસ્તુરબા ગાંધીની વિનંતીથી તેઓ આર્ય સમાજ દ્વારા હિંદુ ધર્મમાં પાછા ફર્યા અને નવું નામ હિરાલાલ અપનાવ્યું.[૮]
જૂન ૧૯૩૫માં, મહાત્મા ગાંધીએ હરિલાલને એક પત્ર[૯] લખીને, "દારૂડિયા અને વ્યાભિચારી" હોવાનો આરોપ લગાવ્યો. તેમના પત્રોમાં,[૧૦] મહાત્મા ગાંધીએ જણાવ્યું હતું કે હરિલાલની સમસ્યાઓ તેમના માટે ભારત માટેના સંઘર્ષ કરતાં વધુ મુશ્કેલ હતી.
૨૦૧૪માં મહાત્મા ગાંધી દ્વારા ૧૯૩૫માં હરિલાલને લખેલા ત્રણ પત્રો હરાજી માટે મૂકવામાં આવ્યા હતા.[૧૧] એક પત્રના અનુવાદમાં ગાંધીજીએ હરિલાલને તેમની પોતાની પુત્રી, મનુ અથવા તેની ભાભી પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો.[૧૨] તુષાર ગાંધીએ (મહાત્મા ગાંધીના પૌત્ર) કહ્યું હતું કે પત્રનું નબળું ભાષાંતર કરવામાં આવ્યું છે, અને બળાત્કાર તરીકે ભાષાંતર કરાયેલા આ શબ્દનો અર્થ જાતીય શોષણનો અર્થ ન પણ હોઈ શકે.
ગાંધીજીના મૃત્યુ પછીના ચાર મહિના પછી હરીલાલનું મૃત્યુ ૧૮ જૂન, ૧૯૪૮ની રાતે, ૫૯ વર્ષની વયે મુંબઇની મ્યુનિસિપલ હોસ્પિટલમાં (હાલમાં સીવરી ટીબી હોસ્પિટલ) મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુનું પ્રમાણપત્ર બ્રૃહદ મુંબઈ મહાનગરપાલિકાના સંગ્રહમાં વાકોલા ખાતે સાચવી રખાયું છે. હરિલાલના મૃત્યુનું પ્રમાણપત્ર દર્શાવે છે કે તેઓ કમાઠીપુરામાં બેભાન અવસ્થામાં મળ્યા પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.[૧૩] હરિલાલે હોસ્પિટલના કર્મચારીઓ સમક્ષ ખુલાસો કર્યો ન હતો કે તે ગાંધીના પુત્ર છે, અને તેમના પરિવારને તેમના મૃત્યુ પછી જ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા તે વિશે જ ખબર પડી હતી.[૧૪]
ગાંધી, માય ફાધર ચલચિત્ર અને નાટક હરિલાલ અને તેમના પિતા વચ્ચેના મુશ્કેલ સંબંધોનું નિરૂપણ છે. ૩ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ ચલચિત્ર રજૂ થયું હતું અને તેના દિગ્દર્શક ફિરોઝ અબ્બાસ ખાન અને નિર્માતા અનિલ કપૂર હતા. અક્ષય ખન્ના દ્વારા હરિલાલની ભૂમિકા ભજવવામાં આવી છે. ખાનનું નાટક, મહાત્મા વિ. ગાંધી,[૧૫] જે આ ચલચિત્રથી અલગ હતું પરંતુ વિષય એક જ હતો. ગાંધી વિરુદ્ધ ગાંધી નામનું મરાઠી નાટક પણ આ વિષય પર નિર્માણ થયું છે.