ઉપેન્દ્ર ત્રિવેદી | |
---|---|
જન્મની વિગત | ઈંદોર, મધ્ય પ્રદેશ, ભારત | 14 July 1936
મૃત્યુની વિગત | 4 January 2015 મુંબઇ,મહારાષ્ટ્ર, ભારત | (ઉંમર 78)
રાષ્ટ્રીયતા | ભારતીય |
વ્યવસાય | અભિનેતા, રાજકારણી |
ધર્મ | હિંદુ |
સગાંસંબંધી | અરવિંદ ત્રિવેદી (ભાઈ) |
ઉપેન્દ્ર ત્રિવેદી (૧૪ જુલાઇ, ૧૯૩૬ - ૪ જાન્યુઆરી, ૨૦૧૫) એ એક જાણીતા ગુજરાતી ચલચિત્ર અને નાટકોના અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા હતા. તેમણે મુખ્ય નાયક તરીકે, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણાં ચલચિત્રોમાં અભિનય કર્યો છે. તેઓ સક્રિય રાજકારણી પણ હતા. તેઓ અભિનય સમ્રાટ તરીકે પણ જાણીતા હતા.[૧][૨]
ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ ૧૯૩૬માં થયેલો. તેમનું કુટુંબ ઇડર નજીકનાં કુકડીયા ગામનું વતની હતું. તેમના માતા-પિતા મધ્ય પ્રદેશના ઉજ્જૈન ખાતે વસ્યા હતા. શરૂઆતમાં તેઓ પોતાના મોટાભાઈ પાસે મુંબઈમાં રહેતા હતા. તેમના પિતા કે જે મિલમજૂર હતા તેમને પક્ષઘાત થયેલો ત્યારે તેમણે કૂલી તરીકે અને છત્રી બનાવવાના કારખાનામાં મજૂર તરીકે પણ કામ કરેલું.[૨]
ઉપેન્દ્ર ત્રિવેદી – ત્રણ ભાઈ અને એક બહેન એમ ચાર ભાંડુળાઓમાંના એક હતા. તેમણે ’બોમ્બે યુનિવર્સિટી’માંથી, આર્ટ્સ વિદ્યાશાખામાં સ્નાતકની ઉપાધી મેળવી હતી. તેમના નાનાભાઈ અરવિંદ ત્રિવેદી પણ જાણીતા અભિનેતા હતા, જેમણે લોકપ્રિય હિન્દી ધારાવાહીક, રામાયણમાં રાવણનું પાત્ર ભજવેલું. ઉપેન્દ્રભાઈના મોટાભાઈ, ભાલચંદ્ર, શિક્ષણવિદ હતા.
ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગના ખુબ જ જાણીતા અભિનેતા ગણાતા ઉપેન્દ્ર ત્રિવેદીએ ગુજરાતી ચલચિત્રો અને નાટકો એમ બંન્નેમાં અભિનય આપ્યો હતો.
મુંબઈ ખાતે કોલેજ જીવન દરમિયાન ઉપેન્દ્ર ત્રિવેદીએ ઘણાં નાટકોમાં કામ કર્યું હતું. ચલચિત્ર જગતમાં તેમણે કારકિર્દીની શરૂઆત ૧૯૭૦માં કરી અને સતત ૪૦ વર્ષ સુધી તેઓ આ કારકિર્દીમાં રહ્યા. શરૂઆતમાં તેઓએ કોલેજની ફી ભરવા માટેના પૈસા કમાવા માટે કેટલાંક ગુજરાતી ચલચિત્રોમાં સહાયક ભૂમિકાઓ ભજવેલી. તેમણે વનરાજ ચાવડો, મહેંદી રંગ લાગ્યો જેવા ચલચિત્રોમાં આવી ભૂમિકાઓ ભજવેલી.[૨]
તેમને ગુજરાતી ચલચિત્રોમાં પ્રથમ મોટી તક રવિન્દ્ર દવે દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર જેસલ તોરલ (૧૯૭૧)માં મળી. ગુજરાતી નાટક અભિનય સમ્રાટમાં તેનો અભિનય જોઈને રવિન્દ્ર દવેએ તેમને આ તક આપી હતી. જેસલ તોરલ સફળ વ્યવસાયિક ચલચિત્ર હતું જેમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ જેસલ જાડેજાનું પાત્ર ભજવ્યું હતું.[૨]
તેમણે કેટલાંક ગુજરાતી ચલચિત્રોનું દિગ્દર્શન પણ કરેલું. તેમનું માનવીની ભવાઈ (૧૯૯૩), ગુજરાતી લેખક પન્નાલાલ પટેલની એ જ નામની નવલકથા પર આધારીત, રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ચલચિત્ર છે. આ ચલચિત્રની વાર્તા વિક્રમ સંવત ૧૯૫૬ (ઇ.સ. ૧૯૦૦)ના ભીષણ દુષ્કાળ અને ભૂખમરા સામે લડતા માનવીઓની વ્યથા વર્ણવે છે.[૩] તેમણે મનુભાઈ પંચોળીની ઝેર તો પીધાં જાણી જાણી નામક નવલકથા પર આધારીત એ જ નામના ચલચિત્રનું નિર્માણ-દિગ્દર્શન પણ કરેલું.[૧][૨]
તેમણે ૧૯૯૯માં ચલચિત્ર મા બાપને ભુલશો નહીંમાં નરેશ કનોડિયા સાથે જોડીદાર તરીકે પ્રથમ વખત અભિનય કરેલો તથા એમની અને સ્નેહલતાની જોડીએ ૭૦ અને ૮૦ ના દાયકા માં ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી હતી.
તેમણે ગુજરાતી નાટક અભિનય સમ્રાટમાં સાત અલગ અલગ ભૂમિકાઓ કરેલી.[૨] આ ઉપરાંત પારિજાત, આતમને ઓઝલમાં રાખ મા જેવા નાટકોમાં અભિનય કર્યો હતો. તેમણે ફ્રેન્ચ ફિલ્મ ‘ફેની’ પરથી રેતીનાં રતન નામક એક નાટક બનાવ્યું હતું જેને આંતરરાજ્ય નાટ્યસ્પર્ધામાં શ્રેષ્ઠ લેખન, દિગ્દર્શન, અભિનયનાં પારિતોષિકો મળ્યાં હતા.[૪]
તેમના ભાઈ અરવિંદ ત્રિવેદીએ પણ ઘણાં ગુજરાતી અને હિન્દી ચલચિત્રો તથા ટી.વી.શ્રેણીમાં અભિનય કરેલો છે. હિન્દી ચલચિત્ર જંગલમેં મંગલમાં તેમણે પોતાના ભાઈ અરવિંદ ત્રિવેદી સાથે નકારાત્મક ભૂમિકા ભજવેલી.[૨][૩]
ઉપેન્દ્ર ત્રિવેદી ૧૯૮૦માં, ગુજરાત ધારાસભાની ભિલોડા બેઠક પરથી ચૂંટાઈ અને, રાજકારણમાં જોડાયા. તેમણે ૩૧ માર્ચ, ૨૦૦૦ થી ૧૯ જુલાઇ, ૨૦૦૨ સુધી ગુજરાત ધારાસભાના નાયબ અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળેલો.[૨][૩][૫][૬] તેઓએ ’ગુજરાતી ફિલ્મ કોર્પોરેશન’નાં ચેરમેન તરીકે પણ સેવાઓ આપી હતી.[૭]
૪ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ વહેલી સવારે, મુંબઈ ખાતેના તેમના નિવાસસ્થાને, શ્વાસને લગતી બિમારી (brief respiratory arrest)ને કારણે, ૭૮ વર્ષની આયુમાં, તેમનું અવસાન થયું. તેઓ પોતાની પાછળ પત્ની અને બે પુત્રોને મૂકતા ગયા હતા.[૨][૩][૮]
તેઓને ૧૯૮૯માં પદ્મશ્રીથી સન્માનિત કરાયા ઉપરાંત તેમને પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા.[૨][૩][૮]
આ યાદી અપૂર્ણ છે; તમે તેને વિસ્તૃત કરીને મદદ કરી શકો છો. |
|archive-date=
(મદદ)