![]() | |
Defunct / Asset-less Shell | |
ઉદ્યોગ | formerly Energy |
---|---|
સ્થાપના | Omaha, Nebraska, 1985 |
મુખ્ય કાર્યાલય | Houston, Texas, United States |
મુખ્ય લોકો | Kenneth Lay, Founder, former Chairman and CEO Jeffrey Skilling, former President, CEO and COO Andrew Fastow, former CFO Rebecca Mark-Jusbasche, former Vice Chairman, Chairman and CEO of Enron International Stephen F. Cooper, Interim CEO and CRO John J. Ray, III, Chairman |
આવક | $101 billion (in 2000) |
વેબસાઇટ | http://www.enron.com/ |
ઓકટોબર 2001માં પર્દાફાશ થયેલા એનરોન કૌભાંડ ના પરીણામ સ્વરૂપે ટેકસાસના હ્યુસ્ટન સ્થિત અમેરિકન ઊર્જા કંપની એનરોન કોર્પોરેશનને નાદારીનો સામનો કરવો પડ્યો હતો. તે ઉપરાંત વિશ્વમાં સૌથી મોટી પાંચ ઓડિટ અને એકાઉન્ટન્સી ભાગીદારી કંપનીઓમાં સ્થાન ધરાવતી કંપની આર્થર એન્ડરસનને તાળાં મારી દેવા પડ્યાં. અમેરિકાન ઇતિહાસમાં તે સમયે સૌથી મોટી દેવાળીયા કંપની તરીકે ઓળખાયેલી એનરોન નિશંકપણે કંપનીઓના હિસાબ તપાસની નિષ્ફળતાનું સૌથી મોટું ઉદાહરણ પણ બની.[૧]
એનરોનની સ્થાપના કેનેથ લે દ્વારા 1985માં હ્યુસ્ટન નેચરલ ગેસ અને ઈન્ટરનોર્થના મર્જર બાદ કરવામાં આવી હતી. ઘણાં વર્ષો બાદ, જયારે જેફરી સ્કિલિંગને નોકરી પર રાખવામાં આવ્યા ત્યારે તેમણે અધિકારીઓનું એવું એક જૂથ તૈયાર કર્યું જે સોદા અને પ્રોજેકટ્સના નિષ્ફળ જવાને કારણે થયેલા અબજોના દેવાને હિસાબ વિધિ પદ્ધતિની છટકબારીઓ, ખાસ હેતુ માટે નિર્માણ કરવામાં આવેલી કંપનીઓ અને નબળા નાણાંકીય અહેવાલો મારફતે છૂપાવવા સક્ષમ હતું. મુખ્ય નાણાકીય અધિકારી (સીએફઓ) એન્ડ્ર્યુ ફેસ્ટો અને અન્ય અધિકારીઓ એનરોનના બોર્ડ ઓફ ડિરેકટર્સ અને ખૂબ જોખમી હિસાબ વિધિ પદ્ધતિના મુદ્દાઓ માટે નિમવામાં આવેલી કમિટીને ગેરમાર્ગે દોરવા અને આ મુદ્દાઓ અંગે આંખ આડા કાન કરવા માટે એન્ડરસન પર દબાણ ઉભું કરવા સક્ષમ હતી.
2000ના મધ્યભાગમાં 90 અમેરિકન ડોલર પ્રતિ શેર રહેલી એનરોનની શેરકિંમત નવેમ્બર 2001ના અંતમાં એક ડોલર પ્રતિ શેરથી નીચે ગબડી પડવાને કારણે શેરધારકોને લગભગ 11 અબજ ડોલરનું નુકસાન સહન કરવું પડ્યું. અમેરિકન સિકયુરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશન (એસઈસી) (SEC)એ તપાસ શરૂ કરી અને ડાયનેજીએ
કંપનીને ફાયર સેલ પ્રાઈસ (નાદારીની હાલતમાં ખૂબ નીચી કિંમતે) ખરીદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. આ સોદાની નિષ્ફળતા બાદ એનરોને 63.4 અબજ ડોલરની મિલકતો સાથે યુનાઈટેડ સ્ટેટ્સ બેન્ક્રપ્સી કોડ (અમેરિકન નાદારી કાયદા)ના ચેપ્ટર 11 હેઠળ 2 ડિસેમ્બર 2001ના રોજ નાદારી નોંધાવવા માટે અરજી કરી, જે અમેરિકન ઇતિહાસમાં 2002માં વર્લ્ડકોમે નાદારી નોંધાવી ત્યાર સુધીની કોઈ પણ કંપનીની સૌથી મોટી નાદારી હતી.[૨]
એનરોનના ઘણાં અધિકારીઓ પર વિવિધ ગુનાઓ હેઠળ દાવો માંડવામાં આવ્યો અને પછીથી તેમને જેલની સજા પણ ફટકારવામાં આવી. એનરોનના ઓડિટર આર્થર એન્ડરસનને યુનાઈટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિકટ કોર્ટ (અમેરિકન જિલ્લા અદાલત) દ્વારા દોષિત ઠરાવવામાં આવ્યા, પરંતુ અમેરિકન સુપ્રીમ કોર્ટે આ ચુકાદાને ફગાવ્યો ત્યાં સુધીમાં કંપનીએ તેના મોટાભાગના ગ્રાહકો ગુમાવી દીધા હતા અને કંપની બંધ કરી દેવામાં આવી હતી (જુઓ આર્થર એન્ડરસન એલએલપી વિરુદ્ધ યુનાઈટેડ સ્ટેટ્સ). એનરોનના કર્મચારીઓ અને શેરધારકોએ પેન્શન અને શેરના મૂલ્યમાં અબજો ડોલર ગુમાવ્યા છતાં પણ દિવાની દાવામાં તેમને મર્યાદિત વળતર મળ્યું. આ કૌભાંડના પરીણામ સ્વરૂપે, જાહેર કંપનીઓ માટેના નાણાંકીય અહેવાલોની વિશ્વસનિયતામાં વધારો કરવાના હેતુથી નવા નિયંત્રણો અને કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યા.[૩] કાયદાના એક ભાગ સાર્બેંન્સ-ઓકસલી એકટે સંઘીય તપાસ અથવા તો શેરધારકોને અંધારામાં રાખીને છેતરપિંડી કરવા માટે રેકોર્ડનો નાશ કરવા, તેમાં ફેરફાર કરવા તથા બનાવટી રેકોર્ડ તૈયાર કરવાના ગુના બદલ કરવામાં આવતી સજાને વધારે આકરી બનાવવામાં આવી.[૪] આ કાયદાને કારણે તેમના ગ્રાહકો સાથે નિષ્પક્ષ અને સ્વતંત્ર રહેવા અંગેની ઓડિટિંગ કંપનીઓની જવાબદારીમાં વધારો થયો.[૩]
કેનેથ લેએ 1985માં હ્યુસ્ટન નેચરલ ગેસ અને ઈન્ટરનોર્થ નામની બે કુદરતી ગેસ પાઈપલાઈન કંપનીઓના મર્જર દ્વારા એનરોનની સ્થાપના કરી હતી.[૫] 1990ના દાયકાના પ્રારંભિક વર્ષોમાં તેમણે વિજળીને બજારભાવે વેચવાની શરૂઆત કરવામાં મદદ કરી અને થોડા જ સમય બાદ અમેરિકન કોંગ્રેસે કુદરતી ગેસના વેચાણને નિયંત્રણમુકત કરતો કાયદો પસાર કર્યો. તેના પરિણામ સ્વરૂપે એનરોન જેવા વેપારીઓને ઉંચી કિંમતે વિજળી વેચવી શકય બન્યું, જેના કારણે ઊર્જા કંપનીઓનો ખૂબ વિકાસ થયો.[૬] કુદરતી ગેસને નિયંત્રણમુકત કરવાના પરિણામે કિંમતમાં પ્રવાહિતા આવતા ઉત્પાદકો અને સ્થાનિક સરકારોએ તેની આકરી નિંદા કરી હતી અને નિયંત્રણો વધારવા માટે દબાણ કર્યું હતુ ત્યારે એનરોન તથા અન્ય કંપનીઓ મજબૂત જૂથબંધી મારફતે મુકત બજાર તંત્ર ચાલું રાખવામાં સફળ રહ્યાં હતા.[૬][૭]
1992 સુધીમાં એનરોન ઉત્તર અમેરિકાની કુદરતી ગેસનું વેચાણ કરતી સૌથી મોટી કંપની બની ગઇ હતી અને 122 મિલિયન ડોલરની વ્યાજ તેમજ કર પહેલાંની આવક સાથે ગેસના વેચાણનો કારોબાર એનરોનની ચોખ્ખી આવકમાં બીજા નંબરનો ફાળો આપતો કારોબાર બની ગયો હતો. નવેમ્બર 1999માં ઓનલાઈન ટ્રેડિંગ મોડલ એનરોનઓનલાઈનની સ્થાપનાથી કંપનીને વધારે વિકાસ કરવા તથા તેની વાટાઘાટ કરવાની અને ટ્રેડિંગ કારોબાર ચલાવવાની ક્ષમતામાં વધારો થયો હતો.[૮]
વધારે વૃદ્ધિ કરવાની પ્રયાસના ભાગરૂપે એનરોને અન્ય કારોબારમાં ઝંપલાવવાનો વ્યૂહ અપનાવ્યો. 2001 સુધીમાં એનરોન એવું ઔદ્યોગિક ગૃહ બની ગયું હતું જે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસપાઈપ લાઈન, પલ્પ અને પેપર પ્લાન્ટ, બ્રોડબેન્ડ મિલકતો, પાવર પ્લાન્ટ્સ અને વોટર પ્લાન્ટ્સની માલિકી ધરાવતું હતું તદઉપરાંત તેનું સંચાલન પણ કરતું હતું. કોર્પોરેશન નાણાં બજારમાં પણ કેટલાક ઉત્પાદનો અને સેવાનું વેચાણ કરતું હતું.[૯]
તેના પરીણામ સ્વરૂપે, એનરોનના શેરમાં 1990ના દાયકાથી 1998ના અંત સુધીમાં 311 ટકાનો વધારો નોંધાયો, જે સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર 500 સૂચકાંકમાં વૃદ્ધિ દરમાં નોંધપાત્ર વધારો હતો. કંપનીનો શેર 1999માં 56 ટકા અને 2000માં 87 ટકા વધ્યો, તેની સરખામણીમાં આ વર્ષો દરમિયાન સૂચકાંકમાં અનુક્રમે 20 ટકાનો વધારો અને 10 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ડિસેમ્બર 31, 2000 સુધીમાં એનરોનના શેરની કિંમત 83.13 ડોલર હતી અને તેની બજાર મૂડી 60 અબજ ડોલરની હતી, જે તેની આવકના 70 ગણી અને તેની બૂક વેલ્યુ કરતાં છ ગણી વધુ હતી. જે કંપનીના ભવિષ્ય અંગે શેરબજારની ઉચ્ચતમ અપેક્ષાઓ તરફ નિર્દેશ કરતું હતું. વધુમાં, ફોર્ચ્યુનના સૌથી વધુ પ્રતિષ્ઠિત કંપની સરવે માં એનરોનને અમેરિકાની સૌથી વધુ નવા સંશોધન અપનાવતી મોટી કંપની તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું.[૧૦]
એનરોનના અપારદર્શક નાણાકીય અહેવાલોમાં તેની કામગીરી અને નાણાંકીય વિગતોની સ્પષ્ટ વિગતો શેરધારકો અને વિશ્લેષકોને આપાવામાં આવતી ન હતી.[૧૧][૧૨] વધુમાં, તેનું જટીલ કારોબાર મોડલ એકાઉન્ટની મર્યાદાની બહાર હતું, જેનાથી એ જરૂરી બની ગયું હતું કે કંપની એકાઉન્ટિંગની મર્યાદાઓને તેની આવકનું વ્યવસ્થાપન કરવા અને કંપનીની કામગીરીને તેના હિતમાં દર્શાવવા માટે સરવૈયામાં ફેરફાર કરી શકે.[૧૩] મેકલિન અને એલકિડે તેમના પુસ્તક ધ સ્માર્ટેસ્ટ ગાયઝ ઈન ધ રૂમ માં જણાવ્યા અનુસાર, એનરોન કૌભાંડ વર્ષો પહેલાં શરૂ થયેલી આદતો અને મૂલ્યો તથા લીધેલા પગલાંના સાતત્યપૂર્ણ સંગ્રહિત થવાથી અને અંતમાં નિયંત્રણ બહાર થઇ જવાથી અસ્તિત્ત્વમાં આવ્યું હતું. એવું લાગે છે કે 1997ના અંતિમ સમયથી તેના અંત સુધી, એનરોનનો પ્રાથમિક ઉદ્દેશ એકાઉન્ટિંગ અને ફાયનાન્સિયલ વ્યવહારોમાં અનુમાનિત આવક અને અનુમાનિત નાણાં પ્રવાહ, મિલકતોના મૂલ્યોને અનેક ગણાં દર્શાવવાનો અને જવાબદારીને હિસાબની બહાર રાખવાનો હતો.[૧૪]
આ તમામ મુદ્દાઓ સાથે મળીને અંતમાં કંપનીને નાદારી તરફ દોરી ગયા અને તેમાંથી મોટાભાગનાં પગલાં લે, જેફરી સ્કિલિંગ, એન્ડ્ર્યુ ફેસ્ટો તથા અન્ય અધિકારીઓના આડકતરા અથવા સીધાં નિર્દેશોને કારણે જ લેવામાં આવ્યાં હતાં. કંપનીના છેલ્લાં કેટલાક વર્ષોમાં લે ચેરમેન હતા અને તેમણે સ્કિલિંગ અને ફેસ્ટો દ્વારા લેવામાં આવેલાં પગલાંની ચકાસણી કર્યા સિવાય જ તેને અનુમોદન આપી દીધું હતું. સ્કિલિંગે, જે સતત વોલ સ્ટ્રીટ (શેરબજાર)ની અપેક્ષાઓને પૂરી કરવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરતો હતો, માર્ક-ટુ-માર્કેટ એકાઉન્ટિંગના ઉપયોગની તરફેણ કરતો અને એનરોનના અધિકારીઓ પર દેવા પર ઢાંકપીછોડો કરવા નવી રીત-રસમો શોધી કાઢવા દબાણ કર્યા કરતો હતો. ફેસ્ટો અને અન્ય અધિકારીઓએ, "... ઓફ-બેલેન્સ-શીટ વ્હિકલ, જટિલ નાંણાકીય માળખાં અને વિચિત્ર પ્રકારના સોદા શોધી કાઢ્યાં જેને આજે પણ માત્ર બહુ જ ઓછા લોકો સમજી શકે છે."[૧૫]
એનરોન અને ઊર્જા વેચાણ સાથે સંકળાયેલા અન્ય વેપારીઓ વિજળી ઉત્પાદન મથકો, કુદરતી ગેસ પાઈપલાઈન, સંગ્રહ અને પ્રક્રિયા કરવા માટેની સગવડોના વિકાસ ઉપરાંત જથ્થાબંધ વેચાણ અને જોખમ સંચાલન જેવી સેવાઓ પૂરી પાડીને નફો કરતી હતી.[૧૬] જયારે ઉત્પાદનોના ખરીદ અને વેચાણનું જોખમ લેવાનું હોય ત્યારે વેપારીઓને વેચાણ કિંમત આવક તરીકે અને ઉત્પાદનની કિંમત વેચાયેલા માલની કિંમત તરીકે દર્શાવવાની છૂટ આપવામાં આવી હતી. તેનાથી વિપરીત, "એજન્ટ" ગ્રાહકને સેવા પૂરી પાડતો, પરંતુ ખરીદ અને વેચાણ માટે વેપારી જેવું જોખમ લેતો ન હતો. જયારે દલાલને સેવા પ્રદાતાના વર્ગમાં સામેલ કરવામાં આવે ત્યારે તે વેચાણ કિંમત અને દલાલીને રકમને આવક તરીકે દર્શાવી શકતો હતો, જો કે તે સમગ્ર સોદાના મૂલ્યને આવક તરીકે દર્શાવી શકતો ન હતો.[૧૭]
ગોલ્ડમેન શાક્સ અને મેરિલ લિન્ચ જેવી વેપારી કંપનીઓ આવક દર્શાવવા માટે રૂઢિવાદી એજન્ટ મોડલ (જેમાં માત્ર વેચાણ અથવા દલાલીને જ આવક તરીકે દર્શાવવામાં આવતા હતા)નો ઉપયોગ કરતાં હતા, એનરોને તેના દરેક સોદાની સમગ્ર વેચાણ કિંમતને આવક તરીકે દર્શાવવા પર પસંદગી ઉતારી. આ મર્ચન્ટ મોડલને એકાઉન્ટિંગ અર્થઘટનમાં એજન્ટ મોડલની સરખામણીએ વધારે આક્રમક માનવામાં આવતું હતું.[૧૮] વેચાણની આવકને વધારીને દર્શાવવાની એનરોનની પદ્ધતિને પછીથી ઊર્જા વેચાણના ક્ષેત્રમાં કાર્યરત અન્ય કંપનીઓએ પણ કંપનીની આવકમાં મોટા વધારા સાથે સ્પર્ધામાં ટકી રહેવાના પ્રયાસના ભાગરૂપે અપનાવી. ડ્યુક એનર્જી, રિલાયન્ટ એનર્જી અને ડાઈનેજી જેવી અન્ય ઊર્જા કંપનીઓ પણ એનરોનની સાથે ફોર્ચ્યુન 500ની ટોચની 50 કંપનીઓની યાદીમાં જોડાઈ જેનું મુખ્ય કારણ વેચાણ કામગીરીને કારણે મેળવવામાં આવેલી આવક હતી.[૧૯]
એનરોનનો વિકૃત, "વધારે પડતી" આવકનો ઉપયોગ કંપનીના દેવાને છૂપાવવા કરતાં કંપનીની નવતર સંશોધનોને પ્રોત્સાહન આપતી, ઊંચો વૃદ્ધિદર ધરાવતી અને ઉત્કૃષ્ટ કારોબારિક પ્રદર્શન ધરાવતી કંપની તરીકેની છાપ ઉપસાવવા માટે વધારે કરવામાં આવતો હતો. 1996 અને 2000ની વચ્ચે એનરોનની આવક 750 ટકા કરતાં વધારે વધીને 1996ના 13.3 અબજ ડોલરથી 2000માં 100.8 અબજ ડોલર થઇ ગઇ. લગભગ 65 ટકાનું બહોળું વાર્ષિક વિસ્તરણ માત્ર 2-3 ટકા વાર્ષિક વૃદ્ધિદરને પણ સન્માનજનક માનતા ઊર્જા ઉદ્યોગ સહિત સમગ્ર ઉદ્યોગજગત માટે અભૂતપૂર્વ હતું. વર્ષ 2001ના પ્રથમ નવ મહિનામાં જ એનરોને તેની આવક 138.7 અબજ ડોલર ધર્શાવી, જેના કારણે કંપનીએ ફોર્ચ્યુન ગ્લોબલ 500ની યાદીમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું.[૨૦]
એનરોનના કુદરતી ગેસ કારોબારનું એકાઉન્ટિંગ ખૂબ જ સીધું હતું; દરેક સમયગાળામાં કંપનીએ પૂરા પાડવામાં આવેલા ગેસના જથ્થાની મૂળ કિંમત અને આ વેચાણમાંથી થયેલી વાસ્તવિક આવક દર્શાવી હતી. જો કે, સ્કિલિંગ કંપની સાથે જોડાયા ત્યારે તેમણે વેચાણ કારોબાર માટે માર્ક-ટુ-માર્કેટ એકાઉન્ટિંગ પદ્ધતિ અપનાવવાની માંગ કરી, જેના માટે તેમણે એવું કારણ આપ્યું કે "... તે સાચું આર્થિક મૂલ્ય દર્શાવે છે."[૨૧] લાંબાગાળાના જટીલ કરારો માટે આ એકાઉન્ટિંગ પદ્ધતિનો ઉપયોગ કરનારી એનરોન પ્રથમ બિનનાણાકીય કંપની બની.[૨૨] માર્ક-ટુ-માર્કેટ એકાઉન્ટિંગમાં એક વખત લાંબાગાળાના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવે ત્યારબાદ ભવિષ્યના ચોખ્ખા રોકડ પ્રવાહ માટે વર્તમાન મૂલ્યએ આવકનો અંદાજ મેળવવામાં આવે છે. ઘણીવખત, આ પ્રકારા કરારોની યોગ્યતા અને તેને સંબંધિત કિંમતની આકારણી કરવી મુશ્કેલ બની જાય છે. [૨૩] નફા અને રોકડની વચ્ચે રહેલા મોટા તફાવતને પહોંચી વળવાના પ્રયાસરૂપે રોકાણકારોને ખોટા અથવા ગેરમાર્ગે દોરતાં અહેવાલો આપવામાં આવતા હતા. આ પદ્ધતિના ઉપયોગમાં પ્રોજેકટની આવક નોંધી શકાતી હતી, જે નાણાકીય આવકમાં વધારો કરતી હતી. જો કે, ભવિષ્યના વર્ષોમાં, નફાનો સમાવેશ કરી શકાય તેમ ન હતો, તેથી રોકાણકારોને ખુશ કરવા માટે વધારાનો વૃદ્ધિદર દર્શાવવા નવા અને વધારે પ્રોજેકટ્સની આવકનો સમાવેશ કરવામાં આવતો હતો.[૨૧] એનરોનના એક પ્રતિસ્પર્ધીએ કરેલા નિર્દેશ અનુસાર, "જો તમે તમારી આવકમાં વધારો દર્શાવો તો તમારે તેટલી જ કે વધારે આવક દર્શાવવા માટે વધારેને વધારે સોદા કરતાં રહેવું પડે."[૨૨] માર્ક-ટુ-માર્કેટ એકાઉન્ટિંગ પદ્ધતિની મર્યાદાઓ અને જોખમોનો ખ્યાલ હોવા છતાં યુ.એસ. સિકયુરીટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશન (એસઈસી) (SEC)એ કુદરતી ગેસના ભવિષ્યના કરારોના વેચાણમાં એનરોનની આ એકાઉન્ટિંગ પદ્ધતિને જાન્યુઆરી 30,1992ના રોજ મંજૂરી આપી.[૨૧] જો કે, વોલસ્ટ્રીટની ધારણાઓને પહાચી વળવા માટે એનરોને પછીથી આ પદ્ધતિનો ઉપયોગ કંપનીના બીજા ક્ષેત્રોમાં પણ કરવાનું શરૂ કર્યું.[૨૪]
જુલાઈ 2000માં એનરોન અને બ્લોકબસ્ટર વિડિયોએ વર્ષના અંત સુધીમાં અમેરિકાના વિવિધ શહેરોમાં માગ પ્રમાણેનું મનોરંજન પૂરું પાડવા માટેના 20 વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યાં. અસંખ્ય પ્રાયોગિક પ્રોજેકટ્સ પછી એનરોને આ સોદામાંથી 110 મિલિયન ડોલર કરતાં વધારેનો નફો થવાની ધારણા દર્શાવી, જો કે વિશ્લેષકોએ આ સેવાની તકનિકી યોગ્યતા અને બજારની માગ અંગે સવાલો ઉઠાવ્યા.[૨૩] જયારે આ નેટવર્ક કામ કરવામાં નિષ્ફળ ગયું ત્યારે બ્લોકબસ્ટરે કરારમાંથી પીછેહઠ કરી. આ સોદો નુકસાનમાં પરીણમ્યો હોવાં છતાં એનરોને ભવિષ્યનો નફો દર્શાવવાનું ચાલુ રાખ્યું.[૨૫]
ચોક્કસ અસ્કામતોને ભંડોળ પૂરું પાડવા અથવા તેની સાથે સંકળાયેલા જોખમોનું સંચાલન કરવા માટે એનરોને મર્યાદિત ભાગીદારી અથવા કામચલાઉ અથવા ખાસ હેતુ પૂરા કરવા માટે બનાવવામાં આવેલી ખાસ હેતુ માટેની કંપનીનો ઉપયોગ કર્યો. કંપનીએ ખાસ હેતુ માટેની કંપનીના ઉપયોગની ઓછામાં ઓછી અથવા નહિવત માહિતી પૂરી પાડવા પર પસંદગી ઉતારી.[૨૬] આ શેલ કંપનીઓનું નિર્માણ સ્પોન્સર દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ તેને સ્વતંત્ર ઈકિવટી રોકાણકારો અથવા દેવા દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતું હતું. નાણાકીય અહેવાલ રજૂ કરવાના હેતુથી ખાસ હેતુ માટેની કંપની સ્પોન્સરથી અલગ છે કે નહીં તે અંગેના શ્રેણીબદ્ધ નિર્દેશો બહાર પાડવામાં આવ્યા. એનરોને તેનું દેવું છુપાવવા માટે 2001 સુધીમાં કુલ મળીને સકડો ખાસ હેતુ માટેની કંપનીઓનો ઉપયોગ કર્યો હતો.[૨૩]
ખાસ હેતુ માટેની કંપનીઓનો ઉપયોગ માત્ર એકાઉન્ટગના નિયમો પર ઢાંકપીછોડો કરવા ઉપરાંત બીજા હેતુ માટે પણ કરવામાં આવતો હતો. એક જ નિયમનભંગના પરીણામ સ્વરૂપે એનરોનના સરવૈયામાં જવાબદારીઓને ઓછી આંકવામાં આવી અને તેની ઈકિવટી અને તેની આવકને અનેકગણી દર્શાવવામાં આવી.[૨૬] એનરોને તેના શેરધારકોને જણાવ્યું કે તેના બિનપ્રવાહી રોકાણોમાં રહેલા નુકસાન સામે તેણે ખાસ હેતુ માટેની કંપનીનો ઉપયોગ કરીને રક્ષણ મેળવી લીધું છે. જો કે, રોકાણકારો એ હકિકતથી અજાણ હતા કે ખાસ હેતુ માટેની કંપનીઓને ઉપયોગ કંપનીના પોતાના શેર અને નાણાકીય ગેરન્ટીઝનો ઉપયોગ આ હેજિંગ માટે કરતી હતી. આ માળખાને કારણે એનરોનને નુકશાનના જોખમ સામેનું રક્ષણ મળ્યું નહીં.[૨૬] એનરોને ઉપયોગ કરેલી ખાસ હેતુ માટેની કંપનીઓના નોંધપાત્ર ઉદાહરણોમાં જેઈડીઆઈ એન્ડ ચેવકો(JEDI and Chewco), વ્હાઈટવિંગ (Whitewing) અને એલજેએમ (LJM)નો સમાવેશ થાય છે.
====જેઈડીઆઈ એન્ડ ચેવકો (JEDI and Chewco)====
1993માં એનરોને ઊર્જા રોકાણ સાથે કેલિફોર્નિયા સ્ટેટ પેન્શન ફંડ કાલપેર્સ (CalPERS) સાથે મળીને જોઈન્ટ એનર્જી ડેવલપમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ્સ (જેઈડીઆઈ) (JEDI) નામના સંયુકત સાહસની સ્થાપના કરી.[૨૭] ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) (COO) તરીકે કામ કરતાં સ્કિલગે 1997માં કાલપેર્સને એક અલગ રોકાણમાં એનરોન સાથે ભાગીદારી કરવા જણાવ્યું. કાલપેર્સને આ વિચારમાં રસ પડ્યો પરંતુ જો જેઈડીઆઈમાંથી તેમની ભાગીદારી છૂટી કરવામાં આવે તો જ નવું રોકાણ કરવામાં રસ દર્શાવ્યો.[૨૮] જો કે, એનરોન જેઈડીઆઈમાં રહેલો કાલપેર્સનો હિસ્સો ખરીદીને કંપનીની બેલેન્સશીટ પર કોઇ દેવું દર્શાવવા માંગતી ન હતી. ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (સીએફઓ) (CFO) ફેસ્ટોએ ચેવકો ઈન્વેસ્ટમેન્ટસ એલ.પી. નામની ખાસ હેતુ માટેની કંપની સ્થાપી જેણે એનરોનની ખાતરી પર દેવું ઉભું કર્યું, જેનો ઉપયોગ સંયુકત સાહસમાં રહેલો કાલપેર્સનો હિસ્સો 383 મિલિયન ડોલરમાં ખરીદવા માટે કરવામાં આવ્યો.[૨૬] ફેસ્ટોએ ચેવકોનું નિર્માણ કર્યું હોવાને કારણે જેઈડીઆઈનું નુકસાન એનરોનના સરવૈયાની બહાર રહ્યું.
કાલપેર્સ અને એનરોન વચ્ચે થયેલી ગોઠવણ 2001માં કંપનીની પડતી દરમિયાન બહાર આવી, જેના કારણે એનરોનની ચેવકો અને જેઈઆઈડી એમ બંનેની એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટને ગેરલાયક ઠરાવવામાં આવી. આ ગેરલાયકાત માટે એનરોનની 1997થી 2001ની મધ્ય સુધીની આવકમાં 405 મિલિયન ડોલરનો ઘટાડો જરૂરી બન્યો. વધુમાં, કોન્સોલિડેશનના કારણે કંપનીના કુલ દેવામાં 628 મિલિયન ડોલરનો વધારો થયો.[૨૯]
સફેદ-પાંખ ધરાવતું કબૂતર ટેકસાસમાં વતન ધરાવતું પક્ષી છે અને એનરોન દ્વારા ફાઈનાન્સિયલ વ્હિકલ તરીકે ઉપયોગમાં લેવામાં આવેલી ખાસ હેતુ ધરાવતી કંપનીનું નામ પણ હતું.[૩૦] ડિસેમ્બર 1997માં, એનરોન દ્વારા પૂરાં પાડવામાં આવેલા 579 મિલિયન ડોલર અને બહારના રોકાણકારના 500 મિલિયન ડોલરના ભંડોળ સાથે વ્હાઇટવિંગ એસોસીયેટ્સ એલ.પી. સ્થાપવામાં આવી. બે વર્ષ બાદ, કંપનીની ગોઠવણમાં ફેરફાર કરવામાં આવ્યો જેથી તે એનરોન સાથે જોડાયેલી ન રહે અને તેનું દેવું કંપનીના સરવૈયામાં ગણતરીમાં લેવામાં ન આવે. વ્હાઇટવિંગનો ઉપયોગ એનરોનના વિજ મથકો, પાઈપલાઈન, શેર અને અન્ય રોકાણોમાં હિસ્સો ખરીદવા સહિતની મિલકતોની ખરીદી માટે કરવામાં આવતો હતો.[૩૧] 1999 અને 2001ની વચ્ચે, વ્હાઈટવિંગે એનરોનના શેરનો કોલેટરલ તરીકે ઉપયોગ કરીને એનરોન પાસેથી બે અબજ ડોલરની અસ્કયામતોની ખરીદી કરી. એનરોનના બોર્ડે આ સોદાને મંજૂરી આપી હોવા છતાં અસ્કયામતો સાચા અર્થમાં વેચાણ ન હતું અને તેને લોન તરીકે ગણવામાં આવી જોઈએ.[૩૨]
====એલજેએમ એન્ડ રેપ્ટર્સ (LJM અને Raptors)====
1999માં ફેસ્ટોએ બે મર્યાદિત ભાગીદારીનું સર્જન કર્યુઃ એલજેએમ કેમેન એલ.પી. (એલજેએમ1) અને એલજેએમ2 કો-ઈન્વેસ્ટમેન્ટ એલ.પી. (એલજેએમ2), જેનો હેતુ નાણાકીય અહેવાલોમાં સુધારો કરવા માટે એનરોનના નબળા દેખાવ કરતાં શેર અને તેમાં હિસ્સો ખરીદવાનો હતો. આ દરેક ભાગીદારી એક માત્ર બહારના ઈકિવટી રોકાણકારોને ખાસ સેવા પૂરી પાડવાનો જ હતો જેમને એવી ખાસ હેતુ ધરાવતી કંપનીની જરૂર હતી જેનો ઉપયોગ એનરોન દ્વારા કરવામાં આવતો હોય. ફેસ્ટોને (તે એનરોનના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર-સીએફઓ તરીકે કામ કરતા હોવાને કારણે) આ કંપની ચલાવવા માટે એનરોનના નિયમોમાંથી મુકિત મેળવવા માટે કંપનીના બોર્ડ ઓફ ડિરેકટર્સ સમક્ષ જવું જરૂરી હતું.[૩૩] એલજેએમ 1 અને 2ને જેપી મોર્ગન ચેઝ, સીટીગ્રૂપ, ક્રેડિટ સ્યુઈસ ફર્સ્ટ બોસ્ટોન અને વેકોવિયા દ્વારા લગભગ 390 મિલિયન ડોલરનું બહારનું ઈકિવટી ભંડોળ પૂરું પાડવામાં આવ્યું. આ ઈકિવટીનું માર્કેટિંગ કરનારી મેરિલ લિંચે પણ 22 મિલિયન ડોલરનો ફાળો આપ્યો.[૨૯]
એનરોને "રેપ્ટર્સ 1-4", જુરાસિક પાર્ક ના વેલોસીટીરેપ્ટર્સ પરથી નામકરણ કરવામાં આવેલી જેએલએમ સંબંધિત ચાર ખાસ હેતુવાળી કંપનીઓને "એનરોનના કરોડો સામાન્ય શેર અને લાંબાગાળે કરોડો શેર ખરીદવાના હક્કો સહિત 1.2 અબજ ડોલર કરતાં વધારેની અસ્કયામતો ઉપરાંત 150 મિલિયન ડોલરની એનરોનની પેયેબલ નોટ્સ તબદિલ કરી આપી."[૩૪][૩૫][૩૬] ખાસ હેતુ ધરાવતી કંપનીઓનો ઉપયોગ કંપનીઓના દેવા સાધનના ઉપયોગથી આ તમામ ચૂકવણી કરવા માટે કરવામાં આવ્યો. આ ઈન્સ્ટ્રુમેન્ટ્સની મૂળ રકમ કુલ મળીને 1.5 અબજ ડોલર હતી અને કંપનીઓનો ઉપયોગ એનરોન સાથે 2.1 અબજ ડોલરના નોશનલ મૂલ્યના ડેરીવેટીવ્સ કોન્ટ્રાકટ માટે કરવામાં આવ્યો.[૩૫]
એનરોને રેપ્ટર્સનો ભરપૂર ઉપયોગ કર્યો અને આવી જ અન્ય બાબતમાં જયારે કંપનીએ પબ્લિક ઓફરીંગ માટે શેર ઈશ્યુ કર્યા ત્યારે નોટ્સ પેયેબલને કંપનીના સરવૈયા પર અસ્કયામતો તરીકે દર્શાવી અને તેટલી જ રકમ માટે શેરધારકોની ઈકિવટીમાં વધારો કર્યો.[૩૭] આ પ્રકારનો વ્યવહાર પછીથી એનરોન અને તેના ઓડિટર આર્થર એન્ડરસન માટે સમસ્યારૂપ બની ગયો કારણ કે તેને કંપનીના સરવૈયા પરથી દૂર કરવાથી શેરધારકોની ઈકિવટીમાં 1.2 અબજ ડોલરનો ઘટાડો થતો હતો.[૩૮]
2.1 અબજ ડોલરના ડેરીવેટિવ્સ કોન્ટ્રાકટ્સને કારણે મૂલ્યનું ધોવાણ થયું. શેર કિંમતો તેના ઉચ્ચતમ મૂલ્ય સુધી પહાચી તેની સાથે જ એનરોને સ્વેપ્સ સ્થાપિત કરી દીધું. લગભગ પાંચ રાજકોષીય ત્રિમાસિકગાળામાં સ્વેપ્સ હેઠળ રહેલા પોર્ટફોલિયોના મૂલ્યમાં 1.1 અબજ ડોલરનો ઘટાડો થયો કારણ કે શેરની કિંમતો ગગડી ગઇ હતી (આ કોન્ટ્રાકટ હેઠળ હવે એનરોન પર ખાસ હેતુવાળી કંપનીઓનું 1.1 અબજ ડોલરનું દેવું હતું). એનરોન, "યોગ્ય મૂલ્ય" એકાઉન્ટિંગનો ઉપયોગ કરીને, 2000ના વાર્ષિક અહેવાલમાં સ્વેપ કોન્ટ્રાકટમાંથી 500 મિલિયન ડોલરનો ફાયદો દર્શાવવા સફળ રહી, જેણે સ્ટોક પોર્ટફોલિયોમાં થયેલા નુકસાનને ભરપાઈ કરી દીધું. આ ફાયદો (2001માં તેને ફરીથી જાહેર કરવામાં આવ્યો તે પહેલાં) 2000ની એનરોનની આવકમાં ત્રીજા ભાગનો હિસ્સો ધરાવતો હતો.[૩૯]
હિલી અને પેલેપુએ લખે છે કે, "સારી રીતે કામ કરતું નાણાં બજાર વ્યવસ્થાપકો અને રોકાણકારો વચ્ચે માહિતી, પ્રોત્સાહનો અને પ્રશાસન વચ્ચે યોગ્ય જોડાણ સ્થાપિત કરે છે. આ પ્રક્રિયા બહારના ઓડિટર્સ જેવા ખાતરીઆપતા વ્યાવસાયિકો અને કોર્પોરેટ બોર્ડ્સ જેવા આંતરિક પ્રશાસનના એજન્ટ્સ સહિતના ઈન્ટરમિડિયરીઝના નેટવર્ક દ્વારા કરવામાં આવવી જોઈએ."[૧૦] કાગળ પર એનરોનનું બોર્ડ ઓફ ડિરેકટર્સ આદર્શ હતું જેમાં મહત્ત્વપૂર્ણ હિસ્સાની માલિકી ધરાવતા બહારના ડિરેકટર્સ અને પ્રતિભાશાળી ઓડિટ કમિટીનો સમાવેશ થતો હતો. ચીફ એકિઝકયુટીવે શ્રેષ્ઠ કોર્પોરેટ બોર્ડ્સના 2000ના રીવ્યુમાં એનરોનનો સમાવેશ ટોચના પાંચ બોર્ડમાં કર્યો હતો.[૪૦] જટીલ કોર્પોરેટ પ્રશાસન અને ઈન્ટમિડિયરીઝના નેટવર્ક છતાં "એનરોન તેના પ્રશ્નાર્થ ધરાવતા કારોબાર મોડલને ભંડોળ પૂરું પાડવા મોટા પ્રમાણમાં નાણાં આકર્ષવામાં, એકાઉન્ટિંગ અને ફાઇનાન્સિંગની શ્રેણીબદ્ધ કવાયતના માધ્યમથી સાચું પ્રદર્શન છૂપાવવામાં, અને ન ટકી શકે તેવા સ્તર સુધી તેના શેરને લઇ જવામાં સફળ રહ્યું."[૪૧]
એનરોનના વળતર અને પ્રદર્શન વ્યવસ્થાપન તંત્રની રચના તેના સૌથી મૂલ્યવાન કર્મચારીઓને ટકાવી રાખવા અને તેને પુરુસ્કૃત કરવા માટે કરવામાં આવી હતી છતાં આ વ્યવસ્થાએ કોર્પોરેટ કલ્ચરને બિનકાર્યરત કરવામાં તેનો ફાળો આપ્યો જેનાથી કર્મચારીઓ મહત્તમ બોનસ મેળવવા માટે ટૂંકાગાળાની આવક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં ખૂંપેલા રહેવા લાગ્યા. કર્મચારીઓ તેમના પ્રદર્શનની સમીક્ષામાં ઉંચું રેટગ મેળવવા માટે નાણાંપ્રવાહની ગુણવત્તા કે નફાને ધ્યાનમાં લીધા સિવાય સતત મોટી રકમના સોદાઓ કરવામાં ધ્યાન આપવા લાગ્યા. વધુમાં, કંપનીના શેરની કિંમત સાથે તાલમેલ મિલાવવા માટે કંપનીના એકાઉન્ટિંગ પરીણામોને શકય તેટલા જલદીથી રેકર્ડ પર લઇ લેવામાં આવતા હતા. આ પ્રણાલી સોદો કરાવનારા અને સોદા સાથે સંકળાયેલા કંપનીના કર્મચારીઓને મોટા રોકડ બોનસ અને શેરની ખાતરી આપતી હતી.[૪૨]
અન્ય અમેરિકન કંપનીઓની જેમ જ એનરોનનું મેનેજમેન્ટ પણ વળતર આપવામાં સ્ટોક ઓપ્શન્સ બહોળો ઉપયોગ કરતું હતું. કંપનીના કર્મચારીઓને બહુમાન તરીકે શેર આપવાની વ્યવસ્થાએ કદાચ મેનેજમેન્ટ પક્ષે ખૂબ જ ઝડપી વૃદ્ધિની અપેક્ષાને જન્મ આપ્યો જેથી આવકને દર્શાવીને વોલસ્ટ્રીટની અપેક્ષાઓ પર ખરા ઉતરી શકાય. ડિસેમ્બર 31, 2000ના રોજ, એનરોનને સ્ટોક ઓપ્શન યોજના હેઠળ લગભગ 96 મિલિયન શેર આપવાના બાકી નીકળતા હતા (જે કંપનીના સામાન્ય શેરના લગભગ 13 ટકા જેટલા હતા). એનરોનના પ્રોકસી નિવેદને જણાવ્યું કે, ત્રણ જ વર્ષમાં આ ફાળવણીનો ઉપયોગ થવાની ધરાણા હતી.[૪૩] એનરોનની જાન્યુઆરી 2001ની શેર કિંમત 83.13 ડોલર અને 2001ના પ્રોકસી નિવેદનમાં જાહેર કરવામાં આવેલા ડિરકટર્સને મળેલા શેરનો ઉપયોગ કરતાં ડિરેકટર્સની માલિકીના શેરમાં લેના શેરની કિંમત 659 મિલિયન ડોલર અને સ્કિલિંગના શેરની કિંમત 174 મિલિયન ડોલર હતી.[૪૦]
કંપની સતત તેની શેર કિંમત પર જ ધ્યાન કેન્દ્રિત કરતી હતી. કંપનીના શેરની કિંમત દર્શાવતા સ્ટોક ટીકર્સ લોબી, લીફટ અને કંપનીના કમ્પ્યુટર્સમાં લગાવવામાં આવેલા હતા.[૪૪] બજેટ બેઠકમાં, સ્કિલિંગ એવું પૂછીને આવકના લક્ષ્યાંકને નક્કી કરતાં કે તમને શેરની કિંમતને ઉંચી લઇ જવા માટે કેટલી કમાણીની જરૂર છે? અને આ આંકડા પ્રમાણેની આવક શકય ન હોવા છતાં દર્શાવવામાં આવતી હતી.[૨૪]
સ્કિલિંગનું માનવું હતું કે જો એનરોનના કર્મચારીઓ સતત કિંમત-લક્ષી બની રહે તો તેમની મૂળભૂત વિચારક્ષમતામાં ખલેલ પડશે.[૪૫] જેના કારણે, કંપની સમગ્ર વિભાગોમાં અને ખાસ કરીને અધિકારી વર્ગ માટે ખૂબ જ ઉડાઉ રીતે ખર્ચ કરવામાં આવતા હતા. કર્મચારીઓના ખર્ચના હિસાબો ખૂબ જ મોટા હતા અને ઘણાં અધિકારીઓને તો કંપનીના સ્પર્ધકોની સરખામણીએ બમણું વળતર ચૂકવવામાં આવતું હતું.[૪૬] 1998માં, કંપનીના ટોચના 200 સૌથી વધુ પગાર ધરાવતા કર્મચારીઓને પગાર, બોનસ અને શેર પેટે 193 મિલિયન ડોલર ચૂકવવામાં આવ્યા હતા. બે વર્ષ બાદ આ આંકડો 1.4 અબજ ડોલરે પહોંચ્યો હતો.[૪૭]
પડતી પહેલાં, એનરોનની તેના સોફિસ્ટીકેટેડ નાણાકીય જોખમ વ્યવસ્થાપન માટે પ્રસંશા કરવામાં આવતી હતી.[૪૮] માત્ર તેના નિયમનકારી વાતાવરણ માટે જ નહીં પરંતુ તેના વ્યાવસાયિક આયોજન માટે પણ એનરોન માટે જોખમ વ્યવસ્થાપન ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું. ઊર્જા ઉદ્યોગમાં રહેલા કિંમત અને પૂરવઠાના ઉતાર-ચડાવના જોખમની પ્રતિક્રિયા તરીકે એનરોને લાંબાગાળાના કરારો કર્યા હતા જેની સામે રક્ષણ (હેજિંગ) વ્યવસ્થા જરૂરી હતી.[૪૯] એનરોનું નાદારી તરફનું ઝડપી પતનનું કારણ ડેરીવેટિવ્સ અને ખાસ હેતુવાળી કંપનીના આક્રમક અને શંકાપ્રેરીત ઉપયોગને ગણી શકાય. પોતાની માલિકીની ખાસ હેતુવાળી કંપનીઓ દ્વારા જોખમ સામે કવચ મેળવીને એનરોને આ સોદામાં જ જોખમનું તત્વ જાળવી રાખ્યું. એવી રીતે જોવા જોઈએ તો એનરોને પોતાની પાસેથી જ કવચ (હેજિંગ) મેળવ્યું.[૫૦]
એનરોનની ઉચ્ચ જોખમ ધરાવતી એકાઉન્ટિંગ પદ્ધતિ બોર્ડ ઓફ ડિરેકટર્સથી છૂપાયેલી ન હતી. બોર્ડને આ પ્રકારની પ્રણાલીની ખબર હતી અને તેનો એનરોનમાં ઉપયોગ રોકવા માટે કોઇ પગલાં ન લીધાં. બોર્ડને વ્હાઇટવિંગ, જેએલએમ અને રેપ્ટરના સોદાઓના હેતુ અને પ્રકાર અંગે જણાવવામાં આવ્યું હતું, આ દરખાસ્તોને સહમતી આપવામાં આવી અને તેની કામગીરી અંગેની માહિતી પણ મેળવવામાં આવતી હતી. દેવાને એનરોનની બેલેન્સશીટની બહાર રાખવા માટે કરવામાં આવેલી વ્યવસ્થાની બોર્ડને જાણ હતી, પરંતુ તે બોર્ડના ઠરાવથી જ શકય બનતી હતી.[૫૧] એનરોન ડેરિવેટીવ્સ કારોબાર ધરાવતી હોવા છતાં, એમ જણાય છે કે નાણાકીય સમિતિમાં અથવા તો સામાન્ય રીતે કહીએ તો બોર્ડમાં રહેલા લોકોને ડેરિવેટીવ્સ અંગેનું પૂરતું જ્ઞાન ન હતું જેથી તેઓ તમેને જે કહેવામાં આવી રહ્યું છે તે સમજી શકે અને તેનું અર્થઘટન કરી શકે.[૫૨]
એનરોનની ઓડિટર કંપની આર્થર એન્ડરસન પર એનરોન દ્વારા પેદા થતી નોંધપાત્ર કન્સલ્ટિંગ ફી મુદ્દે હિતોમાં ઘર્ષણ સર્જાતા તેમના ઓડિટમાં બેફામ ધોરણો લાગુ કરવાનો આક્ષેપ હતો. 2000માં આર્થર એન્ડરસને એડિટ ફીમાંથી $2.5 કરોડ અને કન્સલ્ટિંગ ફીમાંથી $2.7 કરોડની કમાણી કરી હતી.(આ રકમ આર્થર એન્ડરસનની હ્યુસ્ટન મથકાના પબ્લિક ક્લાયન્ટની ઓડિટ ફીના 27 ટકા જેટલી થતી હતી.) વિપરિત વળતર અથવા એનરોને ઉભી કરેલી નાણાકીય જટીલતાનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં નિપૂણતાના અભાવને કારણે ઓડિટરની પદ્ધતિઓ સામે સવાલ ઉભા થયા હતા.[૫૩]
એનરોને સંખ્યાબંધ સર્ટીફાઈટ પબ્લિક એકાઉન્ટન્ટ્સ (સીપીએ) (CPA) ઉપરાંત ફાયનાન્સિયલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ બોર્ડ (એફએએસબી) (FASB) સાથે એકાઉન્ટિંગના નિયમો ઘડવાનો અનુભવ ધરાવતા હોય તેવા લોકોને નોકરી પર રાખ્યા હતા. એકાઉન્ટન્ટ્સ કંપનીના નાણાં બચાવવાના નવા રસ્તાઓ શોધતા રહેતા, જેમાં એકાઉન્ટિંગ ઉદ્યોગના ધોરણો જનરલી એકસેપ્ટેડ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ (જીએએપી)(GAAP)માં રહેલી ખામીઓના ભરપૂર ઉપયોગનો સમાવેશ થતો હતો. એનરોનના એક એકાઉન્ટન્ટે જણાવ્યું કે અમે સાહિત્ય (જીએએપી) [GAAP]નો ઉપયોગ અમારા લાભ માટે આક્રમક રીતે કરતાં હતા. તમામ નિયમોએ આ તકોનું સર્જન કર્યું. અમે જયાં ઈચ્છતા હતા ત્યાં પહાચી શકયા કારણ કે અમે તે નબળાઈઓનો ભરપૂર ઉપયોગ કર્યો."[૫૪]
એન્ડરસનના ઓડિટર્સ પર એનરોનના મેનેજમેન્ટ દ્વારા ખાસ હેતુવાળી કંપનીઓના શુલ્કને જણાવવામાં વિલંબ કરવામાં આવે જેનાથી તેનું ધિરાણ જોખમ સમાપ્ત થઇ જાય. આ કંપનીઓ કયારેય નફા સ્વરૂપે વળતર આપી શકે તેમ ન હોવાથી, એકાઉન્ટિંગ માર્ગરેખા અનુસાર એનરોને રાઈટ-ઓફ લેવો જોઈએ જેનાથી આ કંપનીઓનું મૂલ્ય એનરોનની બેલેન્સશીટમાંથી નુકસાન તરીકે દર્શાવીને તેને તેમાંથી દૂર કરવામાં આવે. એનરોનની કમાણીની અપેક્ષાઓને પહાચી વળવા માટે એન્ડરસન પર દબાણ લાવવા એનરોને પ્રસંગોપાત એકાઉન્ટિંગ કંપનીઓ અર્ન્સ્ટ એન્ડ યંગ અથવા પ્રાઈસવોટરહાઉસકૂપર્સને એકાઉન્ટિંગની કામગીરી પૂરી કરવા માટેની જવાબદારી સાપી જેથી એવો ભ્રમ પેદા કરી શકાય કે કંપની એન્ડરસનને બદલે નવી એકાઉન્ટિંગ કંપનીને નિમવા માંગે છે.[૫૫] સ્થાનિક ભાગીદારોના સંઘર્ષમય પ્રોત્સાહનો સામે રક્ષણ મેળવવા માટે એન્ડરસન આંતરિક નિયમન ધરાવતી હોવા છતાં તે હિતોના સંઘર્ષને ટાળવામાં નિષ્ફળ ગઇ. એક કિસ્સામાં, એન્ડરસનની હ્યુસ્ટન ઓફિસ, જેણે એનરોનનું ઓડિટ કર્યું હતું, એન્ડરસનના શિકાગો ભાગીદાર દ્વારા એનરોનના એકાઉન્ટિંગ નિર્ણય અંગેની ટીકાત્મક સમીક્ષાને ઉપરવટ જવામાં સફળ રહી હતી. વધુમાં, એનરોનની એસઈસીની તપાસના સમાચારો જાહેર કરવામાં આવ્યા ત્યારે એન્ડરસને ટનબંધ સહાયકારી દસ્તાવેજો પૂરા પાડીને અને લગભગ 30,000 જેટલા ઈ-મેઈલ્સ અને કમ્પ્યુટર ફાઈલ ઉડાડી દઇને ઓડિટમાં રાખવામાં આવેલી બેદરકારી પર ઢાંકપીછોડો કરવાના પ્રયાસો કર્યા હતા.[૫૩][૫૬][૫૭]
એન્ડરસનના સમગ્રલક્ષી પ્રદર્શન અંગેની માહિતી બહાર આવતાં કંપનીની ભાગીદારી તૂટી ગઇ અને પાવર્સ કમિટી (એનરોનના બોર્ડે કંપનીના એકાઉન્ટિંગની ચકાસણી માટે ઓકટોબર 2001માં નિમેલી)એ મત વ્યકત કર્યો કેઃ "ઉપલબ્ધ પૂરાવાઓ સૂચવે છે કે એન્ડરસન એનરોનના નાણાકીય નિવેદનોના ઓડિટ માટેની અથવા તો સંબંધિત પક્ષકાર સાથેના એનરોનના આંતરિક કરારો સામેના વાંધાઓ એનરોનના બોર્ડ (અથવા ઓડિટ એન્ડ કમ્પ્લાયન્સ કમિટી) સમક્ષ લાવવાની તેની વ્યાવસાયિક જવાબદારીઓ પૂરી કરી શકી ન હતી.[૫૮]
સામાન્ય રીતે કોર્પોરેટ ઓડિટ કમિટી વર્ષમાં માત્ર થોડી વખત જ મળતી હોય છે અને તેના સભ્યો સામાન્ય રીતે એકાઉન્ટિંગ અને ફાઈનાન્સનું પ્રમાણમાં થોડું ઘણું બેકગ્રાઉન્ડ ધરાવતા હોય છે. એનરોનની ઓડિટ કમિટી અન્ય કંપનીઓની સરખામણીએ ઘણી નિપુણતા ધરાવતી હતી. તેમાં નીચે પ્રમાણેના લોકોનો સમાવેશ થતો હતોઃ[૫૯]
સામાન્ય રીતે એનરોનની ઓડિટ કમિટીની મીટિંગનો સમય ખૂબ ઓછો રહેતો જેમાં મોટી રકમના સોદાઓના ઓડિટની સમીક્ષા કરવામાં આવતી. ફેબ્રુઆરી 12,2001ના રોજ કમિટી માત્ર એક કલાક અને 25 મિનિટમાં પૂરી થઇ ગઇ હતી. એનરોનની ઓડિટ કમિટી પાસે પૂરતા પ્રમાણમાં ટેકનિકલ જ્ઞાન ન હતું જેથી તેઓ કંપનીના ખાસ હેતુ ધરાવતી કંપનીઓ સંબંધિત એકાઉન્ટિંગને લગતાં પ્રશ્નો યોગ્ય રીતે ઓડિટર્સને પૂછી શકે. કમિટી પર કરવામાં આવેલા દબાણને કારણે કમિટી કંપનીના મેનેજમેન્ટને પણ પ્રશ્ન પૂછવામાં અસક્ષમ હતી.[૬૦] ધ પરમેનન્ટ સબકમિટી ઓન ઈન્વેસ્ટીગેશન ઓફ ધ કમિટી ઓન ગવર્મેન્ટ અફેર્સના અહેવાલમાં બોર્ડ ઓફ ડિરેકટર્સને કંપનીના એકાઉન્ટિંગ પદ્ધતિની દેખરેખ કરવાની તેમની ફરજમાં હિતોના ટકરાવને કારણે અડચણ પેદા કરવા દેવા અંગે દોષી માનવામાં આવ્યા હતા. જયારે એનરોનનું પતન થયું ત્યાર ઓડિટ કમિટીના હિતોના ટકરાવને શંકાની નજરે જોવામાં આવતા હતા.[૬૧]
પ્રોજેકટ રદ થયો હોવાનું દર્શાવતો કોઇ જ સત્તાવાર પત્ર નહીં હોવાને આધાર બનાવીને એનરોને રદ થયેલા પ્રોજેકટના ખર્ચને અસ્કયામતો તરીકે દર્શાવવાની આદત પાડી હતી. આ પદ્ધતિને "ધ સ્નોબોલ" તરીકે ઓળખવામાં આવતી હતી અને પ્રારંભમાં સ્નોબોલ્સ 90 મિલિયન ડોલરથી નીચે રાખવાનો આદેશ હતો, પરંતુ તેને 200 મિલિયન ડોલર સુધી લઇ જવામાં આવ્યા હતા.[૬૨]
1998માં જયારે વિશ્લેષકોને એનરોન એનર્જી ર્સિવસિસની ઓફિસની મુલાકાતે લઇ જવામાં આવ્યા ત્યારે તેઓ કર્મચારીઓ જે ખંતથી કામ કરતાં હતા તેનાથી ખૂબ જ પ્રભાવિત થઇ ગયા હતા. વાસ્તવિક રીતે, સ્કિલિંગે (સખત કામ કરતાં હોવાનો ડોળ કરવાની સૂચના આપીને) અન્ય વિભાગમાંથી અન્ય કર્મચારીઓને ઓફિસમાં મોકલી દીધા હતા જેથી આ વિભાગ વાસ્તવિક કદ કરતાં ઘણો જ મોટો દેખાય.[૬૩] એનરોનના શેરની કિંમતમાં સુધારો કરવામાં મદદ મળે તે માટે વિવિધ વિભાગની પ્રગતિ અંગે વિશ્લેષકોને મૂર્ખ બનાવવા આ પ્રકારની યુકિતનો ઉપયોગ વારંવાર કરવામાં આવ્યો.
"At the beginning of 2001, the Enron Corporation, the world's dominant energy trader, appeared unstoppable. The company's decade-long effort to persuade lawmakers to deregulate electricity markets had succeeded from California to New York. Its ties to the Bush administration assured that its views would be heard in Washington. Its sales, profits and stock were soaring."
ફેબ્રુઆરી 2001, ચીફ એકાઉન્ટિંગ ઓફિસર રીક કૌઝીએ બજેટ મેનેજર્સને જણાવ્યું કેઃ "એકાઉન્ટિંગની રીતે આપણા માટે આ સૌથી સરળ વર્ષ બની રહેશે. આપણે 2001ના વર્ષને કબજામાં લઇ લીધું છે."[૬૫] પાંચમી માર્ચે બેથની મેકલિનના ફોર્ચ્યુન ના લેખ ઈઝ એનરોન ઓવરપ્રાઈઝ્ડ?માં તે સમયે તેની કમાણીના 55 ગણાં ભાવે વેચાઈ રહેલો એનરોનનો શેર આટલું ઉંચું મૂલ્ય કઇ રીતે જાળવી શકે તેની સામે સવાલ ઉઠાવવામાં આવ્યો.[૬૬] એનરોનની આવક દર્શાવવાની પદ્ધતિ અંગેની ચોક્કસ વિગતોથી વિશ્લેષકો અને રોકાણકારો કેમ ન જાણી શકયા તે અંગે પણ તેમણે આ લેખમાં નિર્દેશ કર્યો. મેકલિનને એક વિશ્લેષકે કંપનીના 10-કે અહેવાલ પર નજર નાંખવા આપેલી સલાહને કારણે તેઓ કંપની તરફ આકર્ષાયા, જેમાં તેમને "વિચિત્ર સોદાઓ", "અનિશ્ચિત નાણાં પ્રવાહ" અને "મોટુંમસ બજેટ" નજરે પડ્યું.[૬૭] આ લેખને પ્રકાશિત કરતાં પહેલાં તેમણે તેમના તારણોની ચર્ચા કરવા સ્કિલિંગને મળવા માટે સંપર્ક કર્યો, પરંતુ સ્કિલગે મેકલિનને કંપની અંગે પૂરતા પ્રમાણમાં સંશોધન નહીં કરવા માટે "અનૈતિક" ઠેરવીને તેમની વાત ટાળી દીધી.[૬૮] ફેસ્ટોએ ફોર્ચ્યુન ના પત્રકારને જણાવ્યું કે એનરોન કંપનીના માહિતને જાહેર કરી શકે નહીં કારણ કે કંપની મિશ્રિત કોમોડિટીઝ માટે લગભગ 1,200 કરતાં વધારે ટ્રેડિંગ બૂક ધરાવે છે અને "... કોઈપણ વ્યકિત આ ચોપડે શું છે તે જાણે તેવું ઈચ્છતી નથી. અમે કયાંથી કમાણી કરી રહ્યા છીએ તે અમે કોઇને કહેવા માંગતા નથી."[૬૬]
17 એપ્રિલ 2001ના રોજ બોલવવામાં આવેલી કોન્ફરન્સમાં, હવે ચીફ એકિઝકયુટિવ ઓફિસર (સીઈઓ) (CEO) બનેલા સ્કિલિંગે[૬૯] રેકોર્ડેડ કોન્ફરસન્સ કોલ દરમિયાન એનરોનની અસામાન્ય એકાઉન્ટિંગ પદ્ધતિ અંગે સવાલ ઉઠાવનાર વોલસ્ટ્રીટ વિશ્લેષક રીચાર્ડ ગ્રૂબમેન પર શાબ્દિક પ્રહાર કર્યા. જયારે ગ્રૂબમેને એવી ફરિયાદ કરી કે એનરોન જ એકમાત્ર કંપની છે જે બેલેન્સ શીટની સાથે તેની કમાણીના અહેવાલ પ્રકાશિત કરતી નથી, ત્યારે સ્કિલગે જવાબ આપ્યો કે, "ભલે, અમે તમારો આભાર માનીએ છીએ, અમે પ્રશંસા કરી છીએ તે....ગુદાની."[૭૦] આ ઘટના એનરોનના ઘણાં કર્મચારીઓમાં આંતરિક મજાક બની ગઇ જેઓ સ્કિલિંગની ચતુરાઇની કમીને બદલે ગ્રૂબમેનની કથિત દખલ અંદાજીની "આસ્ક વ્હાય, એસહોલ" જેવા સૂત્રોથી મજાક ઉડાવવા લાગ્યા.[૭૧] જો કે, સ્કિલિંગની આ ટીપ્પણીએ પ્રેસ અને લોકોને નિરાશા અને આશ્ચર્યમાં નાંખી દીધા કારણ કે અગાઉ તે એનરોન અંગેની ટીકા-ટિપ્પણીનો જવાબ શાંત રીતે અને હળવાશથી આપતા હતા અને ઘણાં લોકો માનવા લાગ્યા કે હવે કંપનીના પડતી શરૂ થઇ છે જે કંપનીની છેતરામણી પદ્ધતિઓને ખૂલ્લી પાડશે.
1990ના દાયકાના પાછલા વર્ષોમાં એનરોનના શેર 80-90 ડોલર પ્રતિ શેરની કિંમતે વેચાતા હતા અને કેટલાક લોકો કંપનીની નાણાંકીય જાહેરાતમાં રહેલી સંદિગ્ધતા અંગે ચિંતિત હતા. જુલાઇ 2001ના મધ્યમાં, એનરોને તેની આવક 50.1 અબજ ડોલર દર્શાવી, જે અગાઉના વર્ષની સરખામણીએ લગભગ ત્રણગણી હતી અને વિશ્લેષકોના અંદાજથી પ્રતિ શેર ત્રણ સેન્ટ જેટલી વધારે હતી.[૭૨] આમ છતાં, એનરોનનો નફાનો ગાળો 2.1 ટકા જેટલો સામાન્ય રહ્યો અને તેની શેરની કિંમત 2000ના સમાન ત્રિમાસિકગાળાની સરખામણીએ લગભગ 30 ટકા કરતાં વધારે ગબડ્યો હતો.[૭૨]
જો કે, ચિંતાઓ વધતી જતી હતી. એનરોને તાજેતરમાં જ અસંખ્ય ઓપરેશનલ પડકારોનો સામનો કર્યો હતો, જેમાં નવા બ્રોડબેન્ડ કમ્યુનિકેશન્સ વેપાર એકમને ચલાવવામાં નડતી વાહનવ્યવહાર સંબંધિત મુશ્કેલીઓ અને ભારતમાં સ્થાપવામાં આવેલા મોટા વીજ મથક દાભોલ પાવર પ્રોજેકટના બાંધકામમાં થયેલા નુકસાનનો સમાવેશ થતો હતો. 2000-2001ની કેલિફોર્નિયાની વીજ કટોકટીમાં તેની પેટાકંપની એનરોન એનર્જી ર્સિવસિસની ભૂમિકા માટે પણ કંપનીની ટીકાઓમાં સતત વધારો થઇ રહ્યો હતો.
"There are no accounting issues, no trading issues, no reserve issues, no previously unknown problem issues. I think I can honestly say that the company is probably in the strongest and best shape that it has probably ever been in."
14 ઓગષ્ટના રોજ સ્કિલગે જાહેરાત કરી કે તે માત્ર છ મહિના પછી તેના સીઈઓના પદ પરથી રાજીનામું આપશે. સ્કિલિંગને બઢતી આપીને સીઈઓ બનાવવામાં આવ્યા તે પહેલાં તેમણે પ્રેસિડેન્ટ અને સીઓઓ તરીકે લાંબા સમય સુધી સેવા આપી હતી. સ્કિલિંગે વ્યકિતગત કારણોસર કંપની છોડતા હોવાનું જણાવ્યું. નિરીક્ષકોએ નોંધ્યું કે નોકરી છોડવાના સમય સુધીમાં સ્કિલગે એનરોનના ઓછામાં ઓછા 450,000 શેર વેચ્યા હતા જેની કિંમત લગભગ 33 મિલિયન ડોલર જેટલી હતી (છતાં તેની વિદાયની તારીખે કંપનીના લાખો શેરની માલિકી હતી).[૭૪] તેમ છતાં, એનરોનના ચેરમેન લેએ દિગ્મૂઢ થયેલા બજારના નિરીક્ષકોને ખાતરી આપી કે સ્કિલિંગની વિદાયથી "કંપનીના પ્રદર્શન કે કંપનીની પ્રગતિ માટેની લક્ષ્યાંકોમાં કોઇ જ ફેર પડશે નહીં."[૭૪] લેએ ચીફ એકિઝકયુટિવ ઓફિસર તરીકેનું પદ ફરીથી ગ્રહણ કરવાની જાહેરાત કરી.
જો કે બીજા દિવસે સ્કિલગે સ્વીકાર્યું કે કંપની છોડવાનું ખૂબ જ મહત્ત્વનું કારણ શેરબજારમાં એનરોનની અનિશ્ચિત કિંમત હતી.[૭૫] ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ માં લખતા કટારલેખક પોલ ક્રૂગમેને ભારપૂર્વક જણાવ્યું કે ઊર્જા જેવી વસ્તુઓને નિયંત્રણમુકત કરવાના અને તેને કોમોડિટી તરીકે લેખવાના શું પરીણામો આવી શકે તેનું એનરોન ઉદાહરણ છે. થોડા દિવસ પછી, તંત્રીને લખેલા પત્રમાં કેનેથ લેએ એનરોન અને કંપનીની ફિલોસોફીનો બચાવ કર્યો.[૭૬]
The broader goal of [Krugman's] latest attack on Enron appears to be to discredit the free-market system, a system that entrusts people to make choices and enjoy the fruits of their labor, skill, intellect and heart. He would apparently rely on a system of monopolies controlled or sponsored by government to make choices for people. We disagree, finding ourselves less trusting of the integrity and good faith of such institutions and their leaders. The example Mr. Krugman cites of "financialization" run amok (the electricity market in California) is the product of exactly his kind of system, with active government intervention at every step. Indeed, the only winners in the California fiasco were the government-owned utilities of Los Angeles, the Pacific Northwest and British Columbia. The disaster that squandered the wealth of California was born of regulation by the few, not by markets of the many.
15 ઓગસ્ટના રોજ કોર્પોરેટ ડેવલપમેન્ટ વિભાગના વાઈસ પ્રેસિડેન્ટ શેરોન વોટકિન્સે કંપનીની એકાઉન્ટિંગ પદ્ધતિઓ અંગે ચેતવણી આપતો અનામી પત્ર લખ્યો. આ પત્રમાં એક એવું નિવેદન હતું કે, "હું ખૂબ જ ચિંતિત છું કે આપણે એકાઉન્ટિંગ કૌભાંડના મોજામાં ધડાકો કરવા જઇ રહ્યા છીએ."[૭૭] વોટકિન્સે આર્થર એન્ડરસન માટે કામ કરતા એક મિત્રનો સંપર્ક કર્યો અને તેમણે ઓડિટ ભાગીદારોને તેમણે ઉભા કરેલા મુદ્દાઓ અંગેનો મેમો તૈયાર કર્યો. 22 ઓગસ્ટે વોટકિન્સે લેની વ્યકિતગત મુલાકાત લીધી અને એનરોનની એકાઉન્ટિંગ સમસ્યાઓ અંગેની વિસ્તારપૂર્વક સમજણ આપતો છ પાનાંનો પત્ર આપ્યો. લેએ તેમને પૂછ્યું કે તેમણે કંપનીની બહાર આ વાત કોઇને કરી છે કે નહીં અને પછીથી કંપનીની કાયદાકીય સલાહકાર કંપની વિન્સન એન્ડ એલ્કિન્સને આ મુદ્દાઓની સમીક્ષા સાપશે, જો કે એટકિન્સે દલીલ કરી કે કંપનીનો ઉપયોગ હિતોના સંઘર્ષમાં પરીણમશે.[૭૮][૭૯] લેએ અન્ય અધિકારીઓ સાથે પરામર્શ કર્યો અને તેઓ વોટકિન્સને નોકરીમાંથી કાઢી મૂકવા માંગતા હતા (કારણ કે ટેકસાસના કાયદાઓ કંપનીમાં ચાલતી ગેરરીતીઓ અંગે અવાજ ઉઠાવનારને રક્ષણ આપતા ન હતા), પરંતુ કાનૂની કેસ ન થાય તે હેતુથી તેમણે આ નિર્ણય મુલતવી રાખ્યો. [૮૦] 15 ઓકટોબરે વિન્સન એન્ડ એલ્કિન્સે જાહેર કર્યું કે એનરોનની એકાઉન્ટિંગ પદ્ધતિમાં કાંઈ જ ખોટું નથી કારણ કે એન્ડરસને દરેક મુદ્દો પૂરવાર કરી બતાવ્યો.[૮૧]
Something is rotten with the state of Enron.
ઓગસ્ટ 2001 સુધીમાં તેની કંપનીના શેરની કિંમતમાં હજુ પણ ઘટાડો થઇ રહ્યો હતો ત્યારે લેએ ગ્રેગ વ્હેલીને એનરોન હોલસેલ ર્સિવસીસના પ્રેસિડેન્ટ અને સીઓઓનો અને માર્ક ફ્રેવેર્ટને ચેરમેનનો હોદ્દો આપ્યો. કેટલાક નિરીક્ષકોએ સૂચવ્યું કે એનરોનના રોકાણકારોને પુનઃખાતરીની ખૂબ જ જરૂર હતી માત્ર એટલા માટે નહીં કે કંપનીના કારોબારને સમજવો મુશ્કેલ હતો (લગભગ "અવાચ્ય")[૮૨] પરંતુ એટલા માટે કે નાણાકીય નિવેદનોમાં પણ કંપનીનું યોગ્ય રીતે વર્ણન કરવું મુશ્કેલ હતું.[૮૩] એક વિશ્લેષકે જણાવ્યું કે "વિશ્લેષકો માટે એ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે કે નિશ્ચિત ત્રિમાસિકગાળામાં એનરોન કયાં કમાણી કરી રહી છે અને કયાં નુકસાન કરી રહી છે."[૮૩] લેએ સ્વીકાર્યું કે એનરોનનો કારોબાર ખૂબ જ જટીલ છે પરંતુ ભારપૂર્વક જણાવ્યું કે વિશ્લેષકોને તેમની આતુરતા સંતોષવા માટે "જોઈતી તમામ માહિતી કયારેય નહીં મળે." તેમણે એ પણ ખુલાસો કર્યો કે કારોબારની જટીલતા મોટાભાગે ટેકસના વ્યૂહ અને પોઝીશન- હેજિંગના કારણે હતી.[૮૩] લેના પ્રયાસોને મર્યાદિત સફળતા મળી હોય તેમ લાગતું હતું; 9 સપ્ટેમ્બર સુધીમાં એક મુખ્ય હેજ ફંડ મેનેજરે નોંધ્યું કે "(એનરોન)ના શેરનું વેચાણ શંકા હેઠળ થઇ રહ્યું છે."[૮૨] સ્કિલિંગની આકસ્મિક વિદાયની સાથે એનરોનની એકાઉન્ટિંગ બૂકસની સંદિગ્ધતાએ સાથે મળીને વોલસ્ટ્રીટ માટે યોગ્ય મૂલ્યાંકન મુશ્કેલ બનાવ્યું. વધુમાં, કંપનીએ "રીલેટેડ પાર્ટી ટ્રાન્સેકશન"નો વારંવાર ઉપયોગ થયો હોવાનું સ્વીકાર્યું, જેનો ઉપયોગ ખૂબ જ સરળતાથી અન્યથા એનરોનના પોતાના સરવૈયા પર બતાવવા પડતા નુકસાનને તબદિલ કરવા માટે થયો હોવાનો ભય કેટલાક લોકોને લાગ્યો. આ ટેકનિકનું મુશ્કેલીભર્યું પાસું ઘણી "રીલેટેડ-પાર્ટી" કંપનીઓ સીએફઓ ફેસ્ટો દ્વારા નિયંત્રિત હતી.[૮૨]
11 સપ્ટેમ્બર 2001ના હુમલાઓ બાદ, મિડિયાનું ધ્યાન કંપની અને તેની મુશ્કેલીઓથી બીજી બાજુ વળી ગયું; એકાદ મહિના કરતાં ઓછા સમય બાદ એનરોને તેના મુખ્ય કારોબાર ગેસ અને વિજળીના વેચાણ તરફ વધારે ધ્યાન આપવાના હેતુથી નીચું માર્જિન ધરાવતી અસ્કયામતોને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી. આ પગલાંમાં પોર્ટલેન્ડ જનરલ ઈલેકિટ્રકને અન્ય ઓરેગોન કંપની નોર્થવેસ્ટ નેચરલ ગેસને લગભગ 1.9 અબજ ડોલર રોકડ અને શેરની કિંમતે અને શકયતઃ ભારતમાં દાભોલ પ્રોજેકટમાં 65 ટકા હિસ્સો વેચવાનો સમાવેશ થતો હતો.[૮૪]
16 ઓકટોબરે એનરોને જાહેરાત કરી કે એકાઉન્ટિંગમાં થયેલા નિયમોના ઉલ્લંઘનને ઠીક કરવા માટે 1997થી 2000 સુધીના નાણાકીય નિવેદનોને ફરીથી જાહેર કરવા જરૂરી હતા. પુનઃનિવેદનમાં આ સમયગાળાની કમાણીમાં 613 મિલિયન ડોલર (અથવા આ સમયગાળામાં દર્શાવવામાં આવેલા નફામાં 23 ટકા)નો ઘટાડો, 2000ના અંત સુધીની જવાબદારીઓમાં 628 મિલિયન ડોલર (જે દર્શાવવામાં આવેલી જવાબદારીઓના 6 ટકા અને દર્શાવવામાં આવેલી ઈકિવટીના 5.5 ટકા થતા હતા)નો વધારો અને 2000ના અંત સુધીમાં ઈકિવટીમાં 1.2 અબજ ડોલર (દર્શાવવામાં આવેલી ઈકિવટીના 10 ટકા)નો ઘટાડો દર્શાવવામાં આવ્યો.[૨૬] વધુમાં, એનરોને જણાવ્યું કે બ્રોડબેન્ડ એકમ એકલું જ 35 અબજ ડોલરનું મૂલ્ય ધરાવે છે, જે દાવાને અવિશ્વાસની નજરે જોવામાં આવ્યો. સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સના એક વિશ્લેષકે જણાવ્યું કે હું નથી માનતો કે "કોઈને પણ આ બ્રોડબેન્ડ કામગીરીનું મૂલ્ય કેટલું છે તેની ખબર હોય."[૮૫]
એનરોનની વ્યવસ્થાપક ટીમે દાવો કર્યો કે મોટાભાગનું નુકસાન રોકાણમાં થયેલા નુકસાન સાથે-સાથે કંપનીના મુશ્કેલીમાં મુકાયેલા બ્રોડબેન્ડ વેચાણ એકમના પુનર્ગઠન માટે ખર્ચવામાં આવેલા લગભગ 180 મિલિયન ડોલરને કારણે હતું. એક નિવેદનમાં લેએ જણાવ્યું કે, "અમારા કારોબારોની ઉંડાણપૂર્વકની સમીક્ષા બાદ અમારા મુખ્ય કારોબાર ઊર્જા કારોબારની પ્રદર્શન અને કમાણીની ક્ષમતા અંગે રહેલી અસ્પષ્ટતા દૂર કરવા માટે અમે આ પદભાર સંભાળવાનું નક્કી કર્યું છે."[૮૫] કેટલાક વિશ્લેષકોને તેનાથી આઘાત લાગ્યો. અગાઉ કંપનીના કટ્ટર ટેકેદાર માનવામાં આવતા ગોલ્ડમેન શાક્સના એક વિશ્લેષક ડેવિડ ફ્લીશરે જણાવ્યું કે એનરોનના મેનેજમેન્ટે તેની વિશ્વસનિયતા ગુમાવી હતી અને હવે તેમને ફરીથી પોતાની જાતને પૂરવાર કરવી પડશે. તેમણે રોકાણકારોને વિશ્વાસ અપાવવો પડશે. તેમણે રોકાણકારોને સમજાવવા પડશે કે આ આવક વાસ્તવિક છે અને કંપની વાસ્તવિકતા માટે છે તેમજ વૃદ્ધિ હાંસલ કરી શકાશે."[૮૫][૮૬]
ફેસ્ટોએ 22 ઓકટોબરે એનરોનના બોર્ડ ઓફ ડિરેકટર્સ સામે ખુલાસો કર્યો કે જેએલએમ લિમિટેડ ભાગીદારીઓનું વ્યવસ્થાપન સંભાળતી વખતે તેણે વળતર વ્યવસ્થામાંથી 30 મિલિયન ડોલરની કમાણી કરી હતી. તે દિવસે, એસઈસીની એનરોન દ્વારા કરવામાં આવેલા અસંખ્ય સંદિગ્ધ સોદાઓની તપાસ કરવાની અને "કેટલાક સૌથી મોટા વ્યવહારો અત્યાર સુધી ન જોવામાં આવ્યા હોય" તે રીતે કંપનીની અંદર જ થયા હોવાની જાહેરાત બાદ કંપનીના શેરની કિંમત એક દિવસમાં 5.40 ડોલર ઘટીને 20.65 ડોલર થઇ ગઇ.[૮૭] કરોડો ડોલરના આક્ષેપનો ખુલાસો કરવાના અને રોકાણકારોને શાંત કરવાના પ્રયાસરૂપે એનરોના ખુલાસાએ દર્શાવ્યું કે શેરના સોદા કોઇપણ કિંમત સિવાય પ્રતિબંધિત વ્યવસ્થા અનુસાર કરવામાં આવ્યા હતા, ડેરીવેટિવ્સ ઈન્સ્ટ્રુમેન્ટ્સે વર્તમાન રીતે નિયંત્રિત વાયદાના અને કેટલાક વ્યાપારિક રોકાણો અને અન્ય અસ્કયામતોના હેજિંગ માટે તૈયાર કરવામાં આવેલા વ્યૂહના આપાતકાલિન સ્વરૂપને ખતમ કરી નાખ્યું હતું. આ પ્રકારના અસમંજસમાં નાંખી દે તેવા શબ્દસમૂહોના ઉપયોગે ઘણાં વિશ્લેષકોને એનરોન કેવી રીતે તેનો કારોબાર ચલાવતી હતી તે અંગે અજ્ઞાત રાખ્યા.[૮૭] એસઈસીની તપાસ અંગે ચેરમેન અને સીઈઓ લે એ જણાવ્યું કે, "અમે સંપૂર્ણ રીતે એસઈસીને સહયોગ આપીશું અને આ સોદાઓ અંગેની કોઈપણ ચિંતાને શાંત કરવા માટેની તક મળે તેની રાહ જોઈ રહ્યા છીએ."[૮૭]
એનરોનની પ્રવાહિતા અંગેની સમસ્યાથી ચિંતાતુર લે એ 23 ઓકટોબરના રોજ બોલાવવામાં આવેલી કોન્ફરન્સમાં રોકાણકારોને વિશ્વાસ આપવાનો પ્રયાસ કર્યો કે કંપનીના રોકડ સ્ત્રોત મજબૂત હતા અને ફરીથી "એક-સમયના ચાર્જ" નાંખવામાં નહીં આવે. બીજું, લે એ ભારપૂર્વક જણાવ્યું કે ફેસ્ટો દ્વારા ચલાવવામાં આવતી ભાગીદારીઓ સાથેના એનરોનના વ્યવહારોના સંદર્ભમાં કોઈ જ અયોગ્યતા નથી અને કંપનીના સીએફઓને તેમનો મજબૂત ટેકો હોવાનું જાહેર કર્યું.[૮૬] ગોલ્ડમેનના વિશ્લેષક ડેવિડ ફ્લીશરે ફરીથી સંશયાત્મક બનીને લે અને ફેસ્ટોને જણાવ્યું કે, "એવું લાગી રહ્યું છે કે તમે કાંઈક છૂપાવો છે." જો કે, ફલેશરે કંપનીના શેરની ખરીદીના ભલામણ ચાલુ રાખતાં દલીલ કરી કે "તેમને નહતું લાગતું કે એકાઉન્ટન્ટ્સ અને ઓડિટર્સ કોઈ પણ પ્રકારના દુઃસાહસને ચલાવવાની મંજૂરી આપે."[૮૬] એનરોનની તમામ એકાઉન્ટિંગ કવાયતોની ચકાચણી તેમના ઓડિટર આર્થર એન્ડરસન દ્વારા કરવામાં આવે છે તેમ ભારપૂર્વક જણાવીને લે એ કોન્ફરન્સમાં ભાગલેનારા લોકોને ખાતરી આપવાનો પ્રયાસ કર્યો. ઘણાં લોકોએ આ મૂદ્દે સવાલો પૂછીને દબાણ ઉભું કરતાં લેએ જણાવ્યું કે ફેસ્ટો દ્વારા ચલાવવામાં આવતી કંપનીઓ સહિતની ખાસ હેતુ ધરાવતી કંપનીઓ સાથેના કંપનીના સોદાને સારી રીતે સમજી શકાય તે માટે એનરોનનું મેનેજમેન્ટ વધારે માહિતી ધરાવતું નિવેદન પૂરું પાડવા માટે વિચારણા કરશે.[૮૬]
બે દિવસ બાદ, 25 ઓકટોબરે અગાઉ ખાતરી આપવા છતાં તેએ ફેસ્ટોને તેના પદ પરથી દૂર કર્યા અને એવું કારણ આપ્યું કે, "નાણાકીય સમુદાય સાથેની મારી સતત ચર્ચામાં મને એવું સ્પષ્ટ જણાયું કે રોકાણકારોનો વિશ્વાસ પાછો મેળવવા માટે અમારે એન્ડની જગ્યાએ નવો સીએફઓ મૂકવાની જરૂર છે."[૮૮] જો કે, સ્કિલિંગ અને ફેસ્ટો બંનેની વિદાય સાથે કેટલાક વિશ્લેષકોને એવો ભય લાગ્યો કે કંપનીના વ્યવહારો પર ઉપર પ્રકાશ પાડવો હવે વધારે મુશ્કેલ બનાવવામાં આવશે.[૮૮] એનરોનના શેર એક અઠવાડિયા કરતાં થોડા વધારે સમયમાં અડધું મૂલ્ય ગુમાવીને હવે 16.41 ડોલરે વેચાઈ રહ્યા હતાં.[૮૮]
એનરોનના નાણાંપ્રવાહના પૂરવઠા અંગેના રોકાણકારોના ભયને શાંત કરવાના પ્રયાસરૂપે 27 ઓકટોબરે કંપનીએ લગભગ 3.3 અબજ ડોલરની કિંમત ધરાવતા વ્યાપારિક પત્રોની પરત ખરીદી (બાય બેક) કરવાનો પ્રારંભ કર્યો. એનરોને અસંખ્ય બેંકમાં રહેલી તેની લાઈન ઓફ ક્રેડિટમાં ઘટાડો કરીને આ ખરીદીને ભંડોળ પૂરું પાડ્યું. કંપનીના ડેટ રેટિંગ (દેવા ક્રમાંક)ને હજુ પણ રોકાણ-વર્ગમાં માનવામાં આવતું હતું ત્યારે બોન્ડ્સ થોડાં નીચેના લેવેલે વેચાણ થઇ રહ્યાં હતા જે ભવિષ્યના વેચાણ સામે મુશ્કેલી ઉભી કરી શકે.[૮૯]
મહિનો નજીક આવતો જતો હતો તેમ કેટલાક નિરીક્ષકો દ્વારા એનરોનના સ્વીકૃત એકાઉન્ટિંગ નિયમોમાં ગરબડ કરવાની શકયતા અંગે ચિંતા વ્યકત કરવામાં આવી, જો કે, કેટલાક લોકોએ દાવો કર્યો કે જયાં સુધી એનરોન દ્વારા પૂરતી માહિતી પૂરી પાડવામાં ન આવે ત્યાં સુધી વિશ્લેષણ શકય નથી.[૯૦]
કેટલાક લોકોએ હવે ખૂલ્લી રીતે ભય વ્યકત કર્યો કે એનરોન નવું લાંબા ગાળાનું મૂડી વ્યવસ્થાપન હતું, એવું હેજ ફંડ જેની પડતીએ 1998માં આંતરરાષ્ટ્રીય નાણાં બજારની સિસ્ટેમેટિક (પદ્ધતિસરની) નિષ્ફળતાનો ભય પેદા કર્યો હતો. એનરોનની વિવિધ કારોબારમાં મોટાપાયા પર રહેલી હાજરીએ કેટલાક લોકોને એનરોનની સૂચિત પડતીના પરીણામો અંગે આશંકિત કર્યા.[૬૪] એનરોનના અધિકારીઓના હોઠ સિવેલા હતા અને તેઓ માત્ર લેખિત સ્વરૂપમાં પૂછાયેલા પ્રશ્નો જ સ્વીકારતા હતા.[૬૪]
ઓક્ટોબર 2001ના અંતે એનરોનના અસ્તિત્વ માટે કેન્દ્રીય ટૂંકા ગાળાનું જોખમ તેના પ્રતિષ્ઠા સ્તરમાં થયેલો ઘટાડો જણાતું હતું. તે સમયે નોંધાયું હતું કે,મૂડીઝ અને ફીચ, સૌથી મોટી ત્રણમાંથી બે ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ એનરોનનું રેટિંગ સંભવિત રીતે ઘટાડવા સમીક્ષા કરવાની માંગ કરી હતી.[૬૪] આવા ડાઉનગ્રેડિંગથી એનરોનને તેણે ખાતરી આપેલી લોનને કવર કરવા માટે સ્ટોકના લાખો શેર ઇશ્યુ કરવા પડે તેમ હતું. આ પગલાથી એનરોનના વર્તમાન સ્ટોકના મૂલ્યમાં વધુ ઘટાડો થઇ શકે તેમ હતો. વધુમાં, તમામ પ્રકારની કંપનીઓએ એનરોન સાથેના તેમના કોન્ટ્રાક્ટોની સમીક્ષા કરવાનું શરૂ કરી દીધું હતું. લાંબા ગાળે જો એનરોનનું રેટિંગ રોકાણ ગ્રેડથી નીચે જાય તો તેના ભાવિ ટ્રાન્જેક્શન સામે અવરોધ ઉભો થઇ શકે તેમ હતો.[૬૪]
વિશ્લેષકો અને નિરીક્ષકોએ રહસ્યમય નાણાકીય અહેવાલો ધરાવતી કંપનીની યોગ્ય આકરણી કરવામાં એનરોનની મુશ્કેલી કે અક્ષમતા અંગે ફરિયાદ કરવાનું ચાલું રાખ્યું હતું. કેટલાકે ભય વ્યક્ત કર્યો હતો કે એનરોનમાં સ્કિલિંગ અને ફેસ્ટો સિવાય કોઇ પણ વ્યક્તિ કંપનીના વર્ષોના રહસ્યમય સોદાને સંપૂર્ણપણે સમજાવી શકશે. ઓગસ્ટ 2001માં એનરોનના કારોબાર અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં લેએ જણાવ્યું હતું કે, "તમે મારા માથા પર ચડી રહ્યાં છો" આવા જવાબથી વિશ્લેષકોમાં ચિંતા ફેલાઇ હતી.[૬૪]
એનરોન પાસે ટૂંકાગાળા માટે અપૂરતી રોકડ હાથ પર હોઇ શકે તેવી સતત વધતી જતી ચિંતાના પ્રતિભાવરૂપે 29 ઓકટોબરના રોજ એવા સમાચારો ફેલાયા કે એનરોન બેન્કો પાસેથી 1-2 અબજ ડોલરનું ભંડોળ મેળવવા માંગે છે.[૯૧] જે પ્રમાણેની આશંકા સેવવામાં આવતી હતી તે મુજબ બીજા દિવસે મૂડીઝે એનરોનના ઋણ ક્રમાંક અથવા સિનિયર અનસિકયોર્ડ લાગ-ટર્મ ડેટરેટગ્સ ઘટાડીને બીએએ2 કર્યો, જે જંક સ્ટેટ્સ ગણવામાં આવતા સ્તર બીએએ1થી માત્ર બે જ સ્તર ઉપર હતો. સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સે પણ ક્રમાંક ઘટાડીને બીબીબી+ (BBB+) કર્યો, જે મૂડીઝના રેટિંગની સમકક્ષ હતો. મૂડીઝે એવી પણ ચેતવણી આપી કે તે એનરોનના વ્યાવસાયિક પત્રોનો ક્રમાંક હજુ પણ ઘટાડી શકે છે, જેનું પરીણામ કંપનીને નાણાકીય સદ્ધરતા ટકાવી રાખવા માટે વધારે ભંડોળ મેળવવા સામે અવરોધ પેદા કરી શકે.[૯૨]
નવેમ્બરનો પ્રારંભ એવી જાહેરાતથી થયો કે એનરોનના "સંબંધિત પક્ષકારો"ઓ સાથેના વ્યવહારો સામે ઉભા થયેલા સવાલોને કારણે એસઈસી હવે ઔપચારિક તપાસ હાથ ધરવાની હતી. એનરોનના બોર્ડ પણ એવી જાહેરાત કરી કે તે આ સોદાઓની તપાસ કરવા માટે યુનિવર્સિટી ઓફ ટેકસાસની લો સ્કૂલના ડિન વિલિયમ સી પાવર્સની આગેવાની હેઠળ એક ખાસ કમિટી રચશે.[૯૩] બીજા દિવસે, ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ ના તંત્રી લેખમાં આ બાબતમાં આક્રમક તપાસની માંગણી કરવામાં આવી.[૯૪] એનરોન તેના ક્રોસ-ટાઉન હરીફ ડાયનેજી પાસેથી લગભગ 1 અબજ ડોલરનું વધારાનું ભંડોળ મેળવવામાં 2 નવેમ્બરે સફળ થયું, પરંતુ આ સમાચારને સાર્વત્રિક રીતે વધાવવામાં ન આવ્યા કારણ કે આ દેવું કંપનીની મૂલ્યવાન નોર્ધર્ન નેચરલ ગેસ અને ટ્રોન્સવેસ્ટર્ન પાઈપલાઈનની ખાતરી સામે લેવામાં આવ્યું હતું.[૯૫]
સૂત્રોએ દાવો કર્યો કે એનરોન વિશ્વાસ વધારવાના પ્રયાસોના ભાગરૂપે એનરોન નજીકના ભવિષ્યમાં તેના કારોબારની પ્રણાલીઓને વધારે સમજાવવાનું આયોજન કરી રહી હતી.[૯૬] એનરોનના શેર હવે 7 ડોલરની કિંમતે વેચાઈ રહ્યા હતા કારણ કે રોકાણકારોને ચતા હતી કે કંપનીને કોઈ ખરીદાર નહીં મળે.
ઘણી જગ્યાએથી પ્રતિકૂળ પ્રતિભાવ મળ્યા બાદ, જયારે હ્યુસ્ટન સ્થિત અન્ય ઊર્જા વેચાણ કંપની ડાયેનેજીના બોર્ડે 7 નવેમ્બરની મોડી રાત્રે એનરોનને આઠ અબજ ડોલરની ફાયર-સેલ પ્રાઈસે તેટલી રકમના શેર આપીને ખરીદવાની તરફેણમાં મતદાન કર્યું ત્યારે એનરોનના મેનેજમેન્ટને દેખીતી રીતે ખરીદાર મળ્યો.[૯૭] તે વખતે ડાયનેજીની લગભગ ચોથા ભાગની માલિકી ધરાવતા ચેવરોન ટેકસાકોએ એનરોનને 2.5 અબજ ડોલર રોકડમાં ખાસ કરીને 1 અબજ ડોલર સોદા પહેલાં અને બાકીની રકમ સોદો પતી ગયા બાદ આપવા સંમતિ દર્શાવી. ઉપરાંત ડાયનેજીએ લગભગ 13 અબજ ડોલરનું દેવું ઉપરાંત એનરોનના મેનેજમેન્ટની રહસ્યમય વ્યાવસાયિક પ્રણાલીઓને કારણે[૯૭] લગભગ 10 અબજ ડોલર જેટલા "છૂપા દેવા"ની પણ જવાબદારી લેવાની હતી.[૯૮] ડાયનેજી અને એનરોને આ સોદાને 8 નવેમ્બર 2001ના રોજ પુષ્ટિ આપી.
કોમેન્ટેટર્સ ડાયેનજી અને એનરોન વચ્ચેના કોર્પોરેટ કલ્ચર વચ્ચેના તફાવત અને ડાયનેજીના સીઈઓ ચાર્લ્સ વોટસનની સીધી વાત કરવાની પ્રતિભા અંગે ટીપ્પણીઓ કરી.[૭] કેટલાક લોકોને વિસ્મય પણ થયું કે એનરોનની મુશ્કેલીઓ માત્ર એકાઉન્ટિંગની નિર્દોષ ભૂલોનું પરીણામ ન હતી.[૯૯] નવેમ્બર સુધીમાં એનરોન ભારપૂર્વક જણાવતી હતી કે ઓકટોબરમાં જણાવવામાં આવેલ એક અબજ કરતાં વધારે ડોલરના 'એક વખતના ચાર્જીસ" હકીકતમાં માત્ર 200 મિલિયન ડોલર જેટલા જ હોવા જોઈએ, જયારે બાકીની રકમ માત્ર એકાઉન્ટિંગમાં થયેલી સંખ્યાબંધ ભૂલોનો સુધારા માટે હોઇ શકે.[૧૦૦] ઘણાં લોકોને ડર હતો કે અન્ય "ભૂલો" અને પુનઃનિવેદન હજુ પણ જણાવવાનું બાકી હતું.[૧૦૧]
9 નવેમ્બરના રોજ એનરોનની કમાણીમાં વધુ એક સુધારો જાહેર કરવામાં આવ્યો જે અનુસાર 1997-2000ની જાહેર કરવામાં આવેલી આવકમાં 591 મિલિયન ડોલરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ઘટાડો મોટાભાગે બે ખાસ હેતુવાળી ભાગીદારીઓ (જેઈડીઆઈ અને ચેવકો)ને કારણે કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવતું હતું. આ સુધારાને કારણે નાણાકીય વર્ષ 1997નો નફો ધોવાઈ ગયો ઉપરાંત દરેક વર્ષના નફામાં મહત્ત્વપૂર્ણ ઘટાડો નોંધાયો. આ જાહેરાત બાદ પણ ડાયેનજીએ જાહેરાત કરી કે તે હજુ પણ એનરોનને ખરીદવાનો ઈરાદો ધરાવતી હતી.[૧૦૦] કોઈપણ કંપનીને ખરીદવાના સોદો પૂર્ણ થવાથી ડાયનેજી અને એનરોન એમ બંને કંપનીઓના ક્રેડિટ રેટિંગ પર શું અસર પડી શકે તે સમજવા માટેના આ સૂચિત વેચાણ અંગેના મૂડીઝ અને એસએન્ડપીના સત્તાવાર મૂલ્યાંકનનો અહેવાલ મેળવવા બંને કંપનીઓમાં ઉત્સુક હોવાનું માનવામાં આવતું હતું. વધુમાં, અવિશ્વસનીય નિયંત્રણ મુશ્કેલીઓ સૂચિત અવરોધ જે સંભવિત વેચાણ તરફ દોરી જતો હતો, ઉપરાંત કેટલાક નિરીક્ષકોના જણાવ્યા અનુસારના એનરોન અને ડાયનેજી કોર્પોરેટ કલ્ચરલના તફાવતને લઈને ચિંતાઓ વ્યકત કરવામાં આવતી હતી.[૯૮]
બંને કંપનીઓ આક્રમક રીતે આ સોદા માટે આગળ વધી રહી હતી અને કેટલાક નિરીક્ષકો આશાવાદી હતા; ઊર્જા બજારમાં સૌથી મોટી હાજરીનું સર્જન કરવાના પ્રયાસો માટેના વિઝન માટે વોટસનની પ્રશંસા કરવામાં આવતી હતી.[૧૦૧] તે સમયે વોટસને જણાવ્યું કે,"અમને લાગે છે કે (એનરોન) આગામી મહિનાઓમાં જે પણ ઘટનાક્રમ બને તેને પહાચી વળવા માટેની પુષ્કળ ક્ષમતા ધરાવતી ખૂબ જ મજબૂત કંપની છે."[૧૦૧] એક વિશ્લેષકે આ સોદાને "મહાકાય સોદા તરીકે ઓળખાવ્યો છે [...] નાણાકીય રીતે ખૂબ જ સારો સોદો, તેવી જ રીતે વ્યૂહાત્મક રીતે પણ ચોક્કસ રીતે સારો સોદો અને તે એનરોન માટે કેટલા તાત્કાલિક બેલેન્સ-શીટ ટેકો પૂરી પાડે છે."[૧૦૨]
જો કે, ઋણ સંબંધિત સમસ્યાઓ ગંભીર બની રહી હતી. જયારે આ સોદાને જાહેર કરવામાં આવ્યો તે સમય સુધીમાં મૂડીઝ અને એસએન્ડપી બંનેએ એનરોનનું રેટિંગ જંક સ્ટેટ્સથી માત્ર થોડું જ ઉંચું રાખવા સુધી લાવી દીધું હતું. કંપનીનું રેટિંગ ઈન્વેસ્ટમેન્ટ-ગ્રેડથી નીચે આવી જવાની સાથે તેની તેના હરીફો સાથેની ક્રેડિટ લાઈન્સ પર મર્યાદા આવી જવાથી કે દૂર થયા બાદ તેની વેપાર કરવાની ક્ષમતા ખૂબ જ મર્યાદિત થઇ જાય છે.[૧૦૧] કોન્ફરન્સમાં એસએન્ડપીએ ભારપૂર્વક જણાવ્યું કે એનરોનને જો ખરીદવામાં આવનાર ન હોત તો એસએન્ડપી તેને નીચું બીબી (BB) અથવા ઉંચું બી (B) રેટિંગ આપતી, જે "જંકમાં પણ ઉંચો ક્રમાંક" ગણી ન શકાય.[૧૦૩] વધુમાં, ઘણાં વેપારીઓએ માઠા સમાચારના ભયને કારણે એનરોન સાથેનો વેપાર મર્યાદિત અથવા સંપૂર્ણ રીતે બંધ કરી દીધો હતો. પરંતુ વોટસને ફરીથી ખાતરી આપવાનો પ્રયાસ કરતાં ન્યૂ યોર્કમાં રોકાણકારો સમક્ષના પ્રેઝન્ટેશન દરમિયાન જણાવ્યું કે એનરોનના "કારોબાર"માં કાંઈ જ ખોટું ન હતું.[૧૦૨] તેમણે એમ પણ જણાવ્યું કે લે અને અન્ય ટોચના અધિકારીઓએ કટોકટી તરફ દોરી જતા મહિનાઓમાં કંપનીના સેંકડો મિલિયન ડોલરની કિંમત ધરાવતા શેર વેચી દીધા હોવાનું જાણ્યાં પછી કંપનીના મેનેજમેન્ટ તરફ દુશ્મનાવટ ભર્યું વલણ ધરાવતા એનરોનના ઘણાં કર્મચારીઓની સમસ્યાને દૂર કરવા માટે (વધારે સ્ટોક ઓપ્શન આપવાના સ્વરૂપમાં) વળતર સંબંધી પગલાં ભરવામાં આવશે.[૧૦૨] વોટસનના આ નિવેદનની કોઈ જ મદદ પરિસ્થિતિમાં સુધાર લાવવામાં ન મળી કારણ કે ડાયનેજીના હસ્તાંતરણ સોદાને પરીણામે સંચાલન પરિવર્તનને કારણે "કાગળ પરની પ્રતિષ્ઠા"ને લીધે લે ને 60 મિલિયન ડોલર મળવા પાત્ર થતાં હતા,[૧૦૪] જયારે કંપનીના કર્મચારીઓનું નિવૃત્તિ એકાઉન્ટમાં જે મોટાભાગે એનરોનના શેર પર આધારિત હતું તેમાં કંપનીના શેરની કિંમતમાં એક વર્ષમાં 90 ટકાનો ઘટાડો થવાને કારણે માત્ર નજીવી રકમ જ આવશે તે હકીકત જાહેર થઇ ગઇ હતી. એનરોનની માલિકીની કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે અમારી કંપનીમાં ઘણાં દંપતિઓ હતા, જે બંને કામ કરે હતા અને તેમણે લગભગ 800,000 ડોલર કે 900,000 ડોલર જેટલી રકમ ગુમાવી હતી. આ ઘટનાએ લગભગ દરેક કર્મચારીઓના બચતના આયોજન ધોઇ નાંખ્યા હતા."[૧૦૫]
વોટસને રોકાણકારોને ખાતરી આપી કે એનરોનના કારોબારના ખરા સ્વરૂપને તેમની સમક્ષ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું: અમને એ વાતથી સંતોષ છે કે હવે કોઇ વધારે નુકસાનની શકયતા નથી. જો કોઇ નુકસાનન ન હોય તો તે ખૂબ જ સારો સોદો ગણી શકાય."[૧૦૩] વોટસને એમ પણ જણાવ્યું કે એનરોનનો ઊર્જા વેચાણ ભાગનું મૂલ્ય ડાયનેજી દ્વારા આખી કંપની માટે ચૂકવવામાં આવતી કિંમત બરાબર છે.[૧૦૬]
નવેમ્બરની મધ્ય સુધીમાં, એનરોને જાહેરાત કરી કે તે ક્ષમતા કરતાં નબળું પ્રદર્શન કરતી લગભગ 8 અબજ ડોલરની અસ્કયામતોને વેચવાની સાથે-સાથે નાણાકીય સ્થિરતા માટે તેનું કાર્યક્ષેત્ર પણ ઘટાડવાનું આયોજન ધરાવે છે.[૧૦૭] 19 નવેમ્બરે એનરોને સ્થિતિ ગંભીર હોવાના વધારે પૂરાવા લોકો સમક્ષ જાહેર કર્યા. સૌથી મહત્ત્વની વાત એ હતી કે કંપની 2002ના અંત સુધીમાં લગભગ 9 અબજ ડોલર જેટલું દેવું ચૂકવવા અંગેની જવાબદારીઓનો સામનો કરી રહી હતી. આ દેવું તેની ઉપલબ્ધ રોકડ કરતાં "ઘણું જ વધારે" હતું.[૧૦૮] વધુમાં, ખાસ કરીને તેની અસ્કયામતોના વેચાણ અને દેવાને પુનઃભંડોળ પૂરું પાડવા અંગેના તેની નાણાંકીય સદ્ધરતાને સાચવી રાખવા અંગેના પગલાંની સફળતાની કોઇ ખાતરી ન હતી. એક નિવેદનમાં એનરોને જાહેર કર્યું કે, "આ મુદ્દાઓ પરની કોઇપણ પ્રકારની વિપરીત અસર કંપનીની કામગીરી ચાલુ રાખવાની ક્ષમતા ઉપર વિપરીત અસર કરી શકે છે."[૧૦૮]
બે દિવસ બાદ 21 નવેમ્બરે વોલસ્ટ્રીટે ડાયનેજી આ સોદમાં આગળ વધશે કે કેમ અથવા તો પુનઃ ભાવતોલ કરીને કિંમતમાં મોટાપાયે ઘટાડો કરે તે અંગે ગંભીર શંકા વ્યકત કરવામાં આવી. વધુમાં એનરોને 10-કયુ ફાઈલિંગમાં જણાવ્યું કે તેણે વ્યાવસાયિક પત્રો ખરીદવા સહિતના હેતુ માટે તાજેતરમાં ઉછીના મેળવેલા નાણાં અથવા લગભગ 5 અબજ ડોલર માત્ર 50 દિવસમાં જ વપરાઇ ગયા હતા. આ જાહેરાતથી વિશ્લેષકો ચિંતામાં પડી ગયા ખાસ કરીને ડાયનેજીને પણ કદાચ એનરોનના રોકડના ઉપયોગની ઝડપ અંગેની જાણ ન હતી.[૧૦૯] આ સૂચિત ખરીદીમાંથી બહાર નિકળવા માટે ડાયનેજીને સોદાની પરિસ્થિતિમાં "મૂળભૂત પરિવર્તન" આવ્યું હોવાનું કાનૂની રીતે પૂરવાર કરવું પડે તેમ હતું, 22 નવેમ્બર સુધીમાં ડાયનેજીની નજીકના સૂત્રો આશંકિત હતા કે છેલ્લી જાહેરાતમાં મજબૂત પૂરાવાઓ મળી જતા હતા.[૧૧૦]
એસઈસી (SEC)એ એન્ડરસન સામે સિવિલ ફ્રોડ ફરીયાદ દાખલ કર્યો હોવાની જાહેરાત કરી.[૧૧૧] થોડા દિવસ બાદ સૂત્રોએ દાવો કર્યો કે એનરોન અને ડાયનેજી તેમની વ્યવસ્થા અંગેની શરતો અંગે સક્રિય રીતે ફરીથી વાટાઘાટો કરી રહ્યા હતા.[૧૧૨] ડાયનેજીએ હવે માંગણી કરી કે હવે અગાઉના 8 અબજ ડોલરની જગ્યાએ 4 અબજ ડોલરમાં ખરીદી માટે એનરોને સંમતિ આપવી. નિરીક્ષકોને એનરોનની કઈ કંપની અથવા કોઈ પણ કંપની નફો કરતી હોવાનું જણાવવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો. જોખમમાં ઘટાડો કરવા માટે એનરોનના હરીફોના કારોબારમાં મોટાપાયે ફેરફાર થઇ રહ્યા હોવાના અહેવાલો મળતા હતા. આખરે, મૂડીઝના નવા અહેવાલે વોલસ્ટ્રીટને ચિંતામાં ગરકાવ કરી દીધું.[૧૧૨]
28 નવેમ્બર 2001ના રોજ એનરોન અંગેની બે સૌથી ખરાબ ભીતીઓ સાચી પડી. ડાયનેજી એન્કે બંને તરફની સંમતિ બાદ કંપનીની ખરીદીના સોદામાંથી પીછેહઠ કરી અને એનરોનનું ક્રેડિટ રેટિંગ જંક સ્ટેટ્સ કરતાં પણ નીચું ઉતરી ગયું. વોટસને પછીથી જણાવ્યું કે "આખરે તમે મને તે (એનરોન) આપી ન શકયા."[૧૧૩] કારોબાર ચલાવવા માટે ખૂબ જ ઓછી મૂડી બચી હોવાથી અને એકલાજ મોટુંમસ દેવું ભરપાઈ કરવાની જવાબદારી હોવાને કારણે કંપનીએ ભાંગી પડી. તે દિવસે ટ્રેડિંગ પૂરું થયું ત્યારે કંપનીના શેરની કિંમત 0.61 ડોલર થઇ ગઇ. એક તંત્રી નિરીક્ષકે લખ્યું કે, "એનરોન માટે હવે પરીપૂર્ણ નાણાકીય તોફાનનો સામનો હાથવતમાં છે."[૧૧૪]
પ્રણાલીગત પરીણામોનો અહેસાસ થવા લાગ્યો હતો કારણ કે એનરોનના દેવાદારો અને અન્ય ઊર્જા વેચાણ કંપનીઓને ટકાવારીની રીતે ઘણું જ નુકસાન સહન કરવું પડ્યું હતું. કેટલાક વિશ્લેષકોને જણાયું કે એનરોનની નિષ્ફળતાએ 11 સપ્ટેમ્બર બાદની અર્થવ્યવસ્થાના જોખમને ઉજાગર કર્યું છે અને વેપારીઓને જયાં પણ નફો મળે તે મેળવી લેવા માટે પ્રોત્સાહિત કર્યા છે.[૧૧૫] આ સવાલ હવે એનરોનની નિષ્ફળતાને લીધે બજાર અને અન્ય વેપારીઓના કુલ જોખમનો નિર્ધારક બની ગયો. પ્રારંભિક આકડાઓ અનુસાર તે 18.7 અબજ ડોલર હતું. એક સલાહકારે જણાવ્યું કે, "અમને એ ખરેખર ખબર નથી કે એનરોનની ક્રેડિટનું જોખમ કોના-કોના પર રહેલું છે. હું મારા ગ્રાહકોને ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માટે જણાવું છું."[૧૧૬]
એનરોનની દેવા સંબંધી જવાબદારીઓ લગભગ 23 અબજ ડોલર જેટલી હતી તેમાં બાકી દેવા અને ગેરન્ટીડ લોનનો સમાવેશ થતો હતો. એનરોનની પડતીને કારણે ખાસ કરીને સીટી ગ્રૂપ અને જેપી મોર્ગન ચેઝને મોટાપ્રમાણમાં રકમ ગૂમાવવી પડશે તેમ લાગતું હતું. વધુમાં, એનરોનની મુખ્ય અસ્કયામતો સીકયોર લોન લેવા માટે ગીરવે મૂકવામાં આવી હોવાથી નાદારીની પ્રક્રિયામાં અસુરક્ષિત દેણદારો અને અંતમાં શેરધારકોને શું મળશે તે અંગે ગંભીર આશંકા વ્યકત કરવામાં આવી.[૧૧૭]
એનરોનની યુરોપિયન કામગીરીએ 30 નવેમ્બર 2001ના રોજ નાદારી નોંધાવવા માટે અરજી કરી અને બે દિવસ બાદ 2 ડિસેમ્બરે અમેરિકામાં ચેપ્ટર 11 રક્ષણની માંગણી કરી. આ અમેરિકન ઇતિહાસની સૌથી મોટી નાદારી હતી (તેના પછીના વર્ષે વર્લ્ડકોમે નોંધાવેલી નાદારી પહેલાં) અને લગભગ 4,000 જેટલા કર્મચારીઓને તેમની નોકરી ગુમાવવી પડી.[૨][૧૧૮] જે દિવસે એનરોને નાદારી નોંધાવવા માટે અરજી કરી કર્મચારીઓને તેમનો સામાન બાંધી લેવા જણાવવામાં આવ્યું અને ઇમારત ખાલી કરવા માટે 30 મિનિટનો સમય આપવામાં આવ્યો.[૧૧૯] લગભગ 15,000 જેટલા કર્મચારીઓની 62 ટકા બચત એનરોનના શેરમાં રોકાયેલી હતી, જે 2001ના પ્રારંભમાં 83.13 ડોલરની કિંમતે ખરીદવામાં આવેલી હતી, જયારે કંપની ઓકટોબર 2001માં નાદાર જાહેર થઇ ત્યારે એનરોનના શેરની કિંમત એક ડોલર કરતાં પણ નીચે ગગડી ગઇ હતી.[૧૨૦]
In its accounting work for Enron, Andersen had been sloppy and weak. But that's how Enron had always wanted it. In truth, even as they angrily pointed fingers, the two deserved each other.
17 જાન્યુઆરી 2002ના દિવસે એનરોને એકાઉન્ટિંગ સલાહ અને દસ્તાવેજોના નાશનું કારણ આપીને તેના ઓડિટર તરીકેથી આર્થર એન્ડરસનની છટણી કરી. એન્ડરસને વળતી દલીલ કરી કે જયારે કંપનીએ નાદારી નોંધાવી તે દિવસથી તેણે એનરોન સાથેનું જોડાણ સમાપ્ત કરી દીધું હતું.[૧૨૨]
ફેસ્ટો અને તેમના પત્ની લી બંને તેમના પર મુકવામાં આવેલા આરોપોમાં દોષિત પુરવાર થયા હતા. ફેસ્ટો પર પ્રાથમિક છેતરપીંડીના 98 ગુના, મની લોન્ડરિંગ, ઇનસાઇડર ટ્રેડિંગ, અને કાવતરું તેમજ અન્ય ગુનાના આરોપ મુકાયા હતા.[૧૨૩] ફેસ્ટો કાવતરાના બે આરોપોમાં દોષિત પુરવાર થયા હતા અને તેને લે, સ્કિલિંગ અને કોઝીના વિરુદ્ધમાં પુરાવા આપવાની સોદાબાજીમાં પેરોલ વગર દસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.[૧૨૪] લી છ ગંભીર ફોજદારી ગુનામાં દોષિત પુરવાર થઇ હતી પરંતુ વકીલે બાદમાં તેને કરવેરા ભંગના એક જ આરોપમાં ફેરવીને પડતા મૂક્યા હતા. લીને સરકારની આવક છૂપાવવામાં તેના પતિને મદદ કરવા માટે એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.[૧૨૫]
જાન્યુઆરી 2006માં લી અને સ્કિલિંગ એનરોન કૌભાંડના ખટલામાં તેમના તરફથી આગળ વધ્યા હતા. 53 ગુના, 65 પાનાના આરોપનામામાં બેન્ક છેતરપીંડી, બેન્કો અને ઓડિટરોને ખોટા સરવૈયા આપવા, જામીનગીરી છેતરપીંડી, વાયર છેતરપીંડી, મની લોન્ડરિંગ, કાવતરું અને ઇનસાઇડર ટ્રેડિંગ સહિતના વ્યાપક નાણાકીય ગુનાનો સમાવેશ થાય છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ સિમ લેકે બચાવપક્ષની અલગ સુનાવણી અને કેસ હ્યુસ્ટનની બહાર ચલાવવાની દરખાસ્ત ફગાવી દીધી હતી. આ દરખાસ્તમાં તેમણે વિનંતી કરી હતી કે એનરોનના અંતને ફરતે રહેલો નકારાત્મક પ્રચાર તેમને ન્યાયિક સુનાવણી મેળવવું અશક્ય બનાવશે. 25 મે2006ના રોજ 0}લે અને સ્કિલિંગની સુનાવણીમાં જ્યુરીએ તેના ચૂકાદા પાછા લીધા હતા. સ્કિલિંગ જામીનગીરી છેતરપીંડી અને વાયર છેતરપીંડીના 28માંથી 19 ગુનામાં દોષિત ઠર્યો હતો અને ઇનસાઇડર ટ્રેડિંગના ગુના સહિતના બાકીના નવ ગુનામાં નિર્દોષ છૂટ્યો હતો. તેને 24 વર્ષ અને 4 મહિનાની જેલની સજા થઇ હતી.[૧૨૬]
લે અગિયાર ફોજદારી આરોપોમાં દોષિત પુરવાર થયો ન હતો અને દાવો કર્યો હતો કે તેની આસપાસ રહેલા લોકોથી ગેરમાર્ગે દોરાયો હતો. તેમણે કંપનીના પતન માટે ફેસ્ટોને જવાબદાર ગણાવ્યા હતા.[૧૨૭] લે જામીનગીરી અને વાયર છેતરપીંડીના તમામ છ ગુનામાં દોષિત પુરવાર થયો હતો અને તેને જેલમાં કુલ 45 વર્ષની સજા થઇ હતી.[૧૨૮] જો કે સજા શરૂ થાય તે પહેલા જ લેનું 5 જુલાઇ 2006ના રોજ નિધન થયું હતું. તેના મૃત્યુ સમયે એસઇસીને લે પાસેથી નાગરિક દંડ ઉપરાંત 9 કરોડ ડોલરથી વધુ રકમ લેવાની બાકી નિકળતી હતી. લેની પત્ની લિન્ડાની ફરતેનો કેસ મુશ્કેલ છે. 28 નવેમ્બર 2001ના રોજ એનરોન તૂટી રહી છે તેવી માહિતી જાહેર થાય તેના પહેલાના દસથી ત્રીસ મિનીટના સમયગાળામાં તેણીએ એનરોનના લગભગ 500,000 શેર વેચી માર્યા હતા.[૧૨૯] લિન્ડા પર એનરોન સાથે સંકળાયેલો એક પણ આરોપ મુકાયો ન હતો.[૧૩૦]
માઇકલ કોપર એનરોન માટે સાત વર્ષથી કામ કરતા હતા તેમ છતાં કંપનીની નાદારી બાદ પણ લે કોપરને જાણતી ન હતી. કોપર સમગ્ર કિસ્સામાં પોતાનુ નામ ગુપ્ત રાખી શકતો હતો કારણકે સમગ્ર ધ્યાન ફેસ્ટો પર કેન્દ્રિત થયેલું હતું.[૧૩૧] કોપર એનરોનનો પ્રથમ એક્ઝિક્યુટિવ હતો જે દોષિત પુરવાર થયો હતો.[૧૩૨] ચીફ એકાઉન્ટિંગ ઓફિસર રિક કોઝી સામે તેના કાર્યકાળ દરમિયાન એનરોનની નાણાકીય બાબતો છૂપાવવા માટે છ ગંભીર આરોપો દાખલ કરાયા હતા.[૧૩૩] દોષિત નહીં થયા બાદ તેને દોષિતમાં તબદીલ કરાયો હતો અને તેને સાત વર્ષની જેલની સજા ફટકારાઇ હતી.[૧૩૪]
કંપનીમાં આચરવામાં આવેલા ગુનામાં સોળ લોકો દોષિત પુરવાર થયા હતા. આ ઉપરાંત આ કાનૂની ખટલામાં મેરિલ લિન્ચના ચાર ભૂતપૂર્વ કર્મચારી સહિત પાંચ દોષિત જાહેર થયા હતા. એનરોનના આઠ ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ્ઝે લે અને તેમના ભૂતપૂર્વ બોસ સ્કિલિંગ સામે સાક્ષી આપી હતી જેમાં મુખ્ય સાક્ષી ફેસ્ટો હતો.[૧૧૮] અન્ય એક્ઝિક્યુટિવ એનરોન કોર્પના હાઇ-સ્પીડ ઇન્ટરનેટ એકમનો ભૂતપૂર્વ વડો કેનિથ રાઇસ હતો તેણે ખટલામાં સહકાર આપ્યો હતો અને તેની જુબાનીએ સ્કિલિંગ અને લેને દોષિત પુરવાર કરવામાં મદદ કરી હતી. જૂન 2007માં તેને 27 મહિનાની સજા થઇ હતી.[૧૩૫]
આર્થર એન્ડરસન પર હજારો દસ્તાવેજોનો નાશ કરવા માટે અને ઇ-મેઇલ અને એનરોનના ઓડિટ સાથે જોડાયેલી કંપનીની ફાઇલો ડિલીટ કરવા માટે ન્યાયમાં અવરોધ પેદા કરવાના પ્રયાસનો આરોપ મુકવામાં આવ્યો હતો અને તેમાં તે દોષિત પુરવાર થયા હતા.[૧૩૬] બાદમાં, એન્ડર સામે દાખલ કરવામાં આવેલા ગુનાઓમાં જ્યુરીને યોગ્ય રીતે સૂચનાઓ આપવામાં આવી ન હતી તે કારણસર યુએસ સુપ્રીમ કોર્ટે આ ચૂકાદો રદ કર્યો હતો. એન્ડરસનને દોષિત જાહેર કરતો ચૂકાદો રદ થયો હોવા છતાં તેણે તેના મોટા ભાગના ક્લાયન્ટ્સ ગુમાવ્યા હતા અને તેને જાહેર કંપનીઓના ઓડિટિંગથી દૂર રાખવામાં આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડમાં આર્થર એન્ડરસનના બહુ જ ઓછી સંખ્યામાં કર્મચારીઓ સંકળાયેલા હતા તેમ છતાં કંપનીને બંધ કરવી પડી હતી અને 85,000 લોકો બેકાર બન્યા હતા.[૧૩૭][૧૩૮]
ગાઇલ્સ ડાર્બી, ડેવિડ બર્મિંગહામ અને ગેરી મલગ્રૂ ગ્રીનવિચ નેટવેસ્ટ માટે કામ કરતા હતા. આ ત્રણ બ્રિટીશરોએ ફેસ્ટોએ વિશેષ ઉદેશ માટે સ્થાપેલી સ્વેપ સબ નામની કંપની પર ફેસ્ટો સાથે કામ કર્યું હતું. ફેસ્ટોની જ્યારે એસઇસી (SEC) દ્વારા તપાસ થઇ રહી હતી ત્યારે આ ત્રણ વ્યક્તિઓએ તેમની ફેસ્ટો સાથે થયેલી વાતચીત અંગે ચર્ચા કરવા નવેમ્બર 2001માં બ્રિટીશ ફાઇનાન્સિયલ સર્વિસિસ ઓથોરિટી (એફએસએ) (FSA)નો સંપર્ક કર્યો હતો.[૧૩૯] જૂન 2002માં અમેરિકાએ વાયર છેતરપીંડીના સાત આરોપમાં તેમની સામે ધરપકડ વોરન્ટ કાઢ્યા હતા અને તેમનું અમેરિકામાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. એનરોનના મુખ્ય સાક્ષી નીલ કુલબેકને પણ અમેરિકા લાવવાનો હતો પરંતુ 12 જુલાઈના રોજ તે નોર્થ-ઇસ્ટ લંડનના એક બગીચામાં મૃત હાલતમાં મળ્યો હતો.[૧૪૦] અમેરિકાએ આક્ષેપ કર્યો હતો અકે કુલબેક અને અન્ય આરોપીએ ફેસ્ટો સાથે મળીને કાવતરું રચ્યું હતું.[૧૪૧] નવેમ્બર 2007માં આ ત્રીપૂટી વાયર છેતરપીંડીના એક ગુનામાં દોષિત જાહેર થઇ હતી અને બાકીના છ ગુના પડતા મુકાયા હતા.[૧૪૨] ડાર્બી, બર્મિંગહામ અને મલગ્રૂ પ્રત્યેકને 37 મહિનાની સજા ફટકારવામાં આવી હતી.[૧૪૩]
કંપની નાદાર બની તે પહેલા એનરોનના શેરધારકોએ ચાર વર્ષમાં $74 અબજ ગુમાવ્યા હતા. (આ કૌભાંડ $40 થી $45 અબજનું હતું).[૧૪૫] એનરોનને ધિરાણદાતાઓ, કર્મચારીઓ અને શેરધારકોનું લગભગ $67 અબજ દેવું હતું અને એનરોનના વિભાજનથી તેને મર્યાદિત જ સહાય મળે તેમ હતું.[૧૪૬] ધિરાણદાતાઓને ચૂકવણી કરવા એનરોને કળા, ફોટોગ્રાફ, લોગોનું ચિહ્ન અને તેની પાઇપલાઇન સહિતની તેની અસ્કામતો વચેવા હરાજી પણ કરી હતી.[૧૪૭][૧૪૮][૧૪૯]
મે 2004માં એનરોનના 20,000થી વધુ ભૂતપૂર્વ કર્મચારીઓ પેન્શનમાં તેમણે ગુમાવેલા $2 અબજના વળતર સામે $85 મિલિયનનો દાવો જીતી ગયા હતા. તેમાં થયેલા સમજૂતિ મુજબ પ્રત્યેક કર્મચારીને $3,100 મળ્યા હતા.[૧૫૦] ત્યાર બાદના વર્ષમાં રોકાણકારોને પતાવટ પેટે કેટલીક બેન્કો તરફથી $4.2 અબજ મળ્યા હતા. સપ્ટેમ્બર 2008માં, $40-અબજના દાવામાં શેરધારકો વતી $7.2-અબજ માટે પતાવટ થઇ હતી. આ પતાવટ મુખ્ય ફરિયાદીઓ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા (યુસી) (UC), અને 15 લાખ વ્યક્તિઓ અને સમુદાય વચ્ચે વહેંચાઇ હતી. યુસીની કાયદા કંપની કફલિન સ્ટોઇયા ગેલે રુડમેન એન્ડ રોબિન્સને ફી પેટે $688 મિલિયન મળ્યા હતા, જે અમેરિકાના જામીનગીરી છેતપીંડી કેસમાં ચૂકવાયેલી મહત્તમ ફી હતી.[૧૫૧] વિતરણના સમયે યુસીએ જાહેરાત કરી હતી કે, "અમને આ ભંડોળ સભ્યોને પાછુ આપતા અનહદ ખુશી થાય છે. અહીં સુધી પહોંચવા માટે લાંબા અને પડકારજનક પ્રયાસ કરવા પડ્યાં છે પરંતુ એનરોનના રોકાણકારો માટે પરિણામ અણધાર્યું છે."[૧૫૨]
In the Titanic, the captain went down with the ship. And Enron looks to me like the captain first gave himself and his friends a bonus, then lowered himself and the top folks down the lifeboat and then hollered up and said, 'By the way, everything is going to be just fine.'
ડિસેમ્બર 2001 અને એપ્રિલ 2002ની વચ્ચે સેનેટ કમિટી ઓન બેન્કિંગ, હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ અને હાઉસ કમિટી ઓન ફાઇનાન્સિયલ સર્વિસિસ એ એનરોનની પડતી અને તેને સંબંધિત હિસાબો અને રોકાણકારોના હિતોના રક્ષણને લગતા મુદ્દાઓ પર અસંખ્ય સુનાવણી હાથ ધરી હતી. આ સુનાવણીઓ અને એનરોને આચરેલા કોર્પોરેટ કૌભાંડને પગલે 20 જુલાઇ 2002ના રોજ સાર્બેન્સ- ઓક્સલી એક્ટ માટે માર્ગ મોકળો થયો હતો.[૧૫૪] આ કાયદો એનરોનની લગભગ અરિસાની છાપ છે. એનરોન જ્યાં પણ કોર્પોરેટ ગવર્નન્સમાં નિષ્ફળ રહ્યું હતું તે પ્રત્યેક મુદ્દાને આ કાયદામાં મુખ્ય જોગવાઇ તરીકે સામેલ કરવામાં આવ્યા છે."[૧૫૫]
સાર્બેન્સ- ઓક્સલી એક્ટની મુખ્ય જોગવાઇઓમાં ઓડિટ અહેવાલ તૈયાર કરવા માટેના ધારાધોરણ ઘડવા માટે પબ્લિક કંપની એકાઉન્ટિંગ ઓવરસાઇટ બોર્ડની સ્થાપના કરવી, જાહેર એકાઉન્ટિંગ કંપની જ્યારે ઓડિટિંગ કરતી હોય ત્યારે તેનો કોઇ પણ બિન ઓડિટીંગ સેવા આપવા પર પ્રતિબંધ મુકવો, ફરીથી આર્થિક સરવૈયું કરવું પડે તેવા કિસ્સામાં ઓડિટ કમિટીના સભ્યોની સ્વતંત્રતા, એક્ઝિક્યુટિવ્સે નાણાકીય અહેવાલો અટકાવવા અને ચોક્કસ એક્ઝિક્યુટિવ્સના બોનસ રદ કરવા માટે જોગવાઇ કરવી, અને મુક્ત કંપનીઓ સાથે કંપનીના સંબંધો અંગે વિસ્તૃત નાણાકીય સ્પષ્ટતાનો સમાવેશ થાય છે.[૧૫૪]
કોર્પોરેટ ગેરરીતિઓ અને હિસાબી નિયમોના ભંગના બનાવોને પગલે એસઇસીએ 13 ફેબ્રુઆરી 2002ના રોજ શેર બજારના નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરી હતી. જૂન 2002માં ન્યૂ યોર્ક સ્ટોક એક્સ્ચેન્જએ નવી વહીવટી દરખાસ્તની જાહેરાત કરી હતી જેને એસઇસીએ નવેમ્બર 2003માં મંજૂરી આપી હતી. ન્યૂ યોર્ક સ્ટોક એક્સ્ચેન્જની અંતિમ દરખાસ્તની મુખ્ય જોગવાઇઓ આ મુજબ છે:[૧૫૪]
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ); Cite journal requires |journal=
(મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|journal=
(મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)[૩]
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ); Cite journal requires |journal=
(મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ); Cite journal requires |journal=
(મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|date=
(મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthors=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthors=
ignored (|author=
suggested) (મદદ)
|date=
(મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthors=
ignored (|author=
suggested) (મદદ)
|date=
(મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ)
|coauthor=
ignored (|author=
suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link)|coauthor=
ignored (|author=
suggested) (મદદ)|coauthor=
ignored (|author=
suggested) (મદદ)|coauthor=
ignored (|author=
suggested) (મદદ)|coauthor=
ignored (|author=
suggested) (મદદ)