એલિસ બ્રિજ એ અમદાવાદ, ગુજરાતમાં આવેલો લગભગ સો વર્ષ જૂનો પુલ છે. તે સાબરમતી નદી પર આવેલો છે અને અમદાવાદના પશ્ચિમ ભાગને પૂર્વ ભાગ સાથે જોડે છે. આ કમાન ધરાવતો પુલ અમદાવાદનો પ્રથમ પુલ હતો, જે ૧૮૯૨માં બાંધવામાં આવ્યો હતો. પાછળથી ૧૯૯૭માં તેની બંને બાજુએ નવા પુલ બાંધવામાં આવ્યા અને તેને સ્વામી વિવેકાનંદ પુલ નામ આપવામાં આવ્યું. તેમ છતાં, હજી તે એલિસ બ્રિજ તરીક જ ઓળખાય છે.
બ્રિટિશરો દ્વારા મૂળ લાકડાનો પુલ ૧૮૭૦-૭૧ની સાલમાં ૫૪,૯૨૦ પાઉન્ડના ખર્ચે બાંધવામાં આવ્યો હતો. કાંઠા પરના બે ભાગ સિવાય આખો પુલ ૧૮૭૫ ના પૂરમાં નાશ પામ્યો.[૧] સ્ટિલનો નવો પુલ ૧૮૯૨માં એન્જિનિયર હિંમતલાલ ધીરજરામ ભચેચ દ્વારા બાંધવામાં આવ્યો અને સર બરો હેલબર્ટ એલિસ, જેઓ ઉત્તર વિભાગના કમિશ્નર હતા, પરથી એલિસ બ્રિજ નામ પાડવામાં આવ્યું. આ પુલનું સ્ટિલ બર્મિંગહામમાંથી આયાત કરવામાં આવ્યું હતું. હિંમતલાલે આ પુલનું બાંધકામ ૪,૦૭,૦૦૦ રૂપિયામાં કર્યું જે ૫,૦૦,૦૦૦ ના પ્રસ્તાવિત ખર્ચ કરતાં ઓછા હતાં. સરકારને આ પરથી શંકા આવી અને હિંમતલાલે ઉતરતી કક્ષાનો માલ-સામાન વાપર્યો છે એવું વિચાર્યું. આના માટે એક સમિતિની સ્થાપના કરવામાં આવી અને તપાસમાં તારણ આવ્યું કે વાપરેલો માલ-સામાન ઉચ્ચ કક્ષાનો છે. સરકારના રૂપિયા બચાવવા માટે હિંમતલાલને રાવ સાહેબનો ઇકલાબ એનાયત થયો.[૨][૩]
એલિસ બ્રિજની સ્થાપના તકતી પાછળથી સંસ્કાર કેન્દ્ર, પાલડીમાં ખસેડવામાં આવી. તેમાં આ પ્રમાણે લખેલું છે, The Ellis Bridge - So named by Government after Sir Barrow Helbert Ellis : K.G.S.I. was built in 1869 and 1870. At a cost of Rs:549,210 destroyed by the great flood of 22 September 1875 and rebuilt in 1890 and 1895 by Government, Local Bodies and Private Subscribers. At a further cost of Rs. 407,564. This the First Stone of the new bridge was laid by His Excellency Donald James eleventh Lord Reay C.C.I.E.LL.D. Governor of Bombay 19 December 1889.
મહાત્મા ગાંધીના દાંડી સત્યાગ્રહની ઘોષણા જોવા માટે ૮ માર્ચ ૧૯૩૦ ના રોજ હજારો લોકો આ પુલ પર એકઠાં થયેલા.[૪]
૧૯૭૩, ૧૯૮૩, ૧૯૮૬માં આ પુલને તોડી પાડવાના પ્રસ્તાવો નકારી કાઢવામાં આવ્યા હતા. પાછળથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એલિસ બ્રિજ અને તેની આજુ-બાજુનો વિસ્તાર, માણેક બુરજ અને સાબરમતી નદીમાં પાણીનો નિકાલ કરતી પદ્ધતિને મે, ૧૯૮૯માં આરક્ષિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા હતા.[૨]
મૂળ પુલ એ સાંકડો હતો અને વધતાં જતાં વાહનો માટે યોગ્ય ન હતો તેથી તેને ૧૯૯૭માં બંધ કરવામાં આવ્યો. તેની બંને બાજુ નવો પુલ ૧૯૯૯માં ૧૮૦ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવ્યો હતો અને જૂના પુલને સ્મારક તરીકે જાળવી રાખવામાં આવ્યો. બાંધકામ બાદ માણેક બુરજ અને ગણેશ બારીને વધુ જગ્યા માટે ફરી બાંધવામાં આવ્યા હતા. નવા પુલને સ્વામી વિવેકાનંદ પુલ નામ આપવામાં આવ્યું હતું.[૨][૫][૬]
એવું જાણવા મળ્યું કે પુલના સ્ટિલના થાંભલાઓ સાબરમતી નદીના પ્રદૂષણને કારણે કાટ પામવા લાગ્યા છે. તજજ્ઞોએ પુલની મજબૂતી માટે ૨૦૧૨માં તેને તોડી પાડવાનું સૂચન આપ્યું, કારણ કે નવો પુલ બાંધવાનું વધારે સસ્તું પડે તેમ હતું. પહેલાં બીઆરટીએસને નવા પુલ પર દોડાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને સ્ટિલની કમાનો ને નવા પુલ પર ખસેડવાનું સૂચવવામાં આવ્યું.[૪][૫][૭] પાછળથી કોર્પોરેશને નવા પુલનો પ્રસ્તાવ પડતો મૂક્યો.[૮][૯]
આ ૧૨૦ વર્ષ જૂનો પુલ અમદાવાદની ઓળખ બની રહ્યો છે.[૨][૪] તેનુ દ્રશ્ય કાઇ પો છે! (૨૦૧૩) અને કેવી રીતે જઈશ? (૨૦૧૨) ફિલ્મોમાં દેખાડવામાં આવ્યા હતા. એલિસ બ્રિજની પશ્ચિમ બાજુએ કર્ણાવતી આર્ટ ગેલેરી આવેલી છે, જ્યાં અવારનવાર સાંસ્કૃૃતિક અને કલા પ્રદર્શનો યોજાય છે.