કનૈયાલાલ મુનશી | |
---|---|
![]() કનૈયાલાલ મુનશી, મુનશી ગ્રંથાવલીનાં મુખપૃષ્ઠ પરનું ચિત્ર. | |
જન્મ | ડિસેમ્બર ૩૦, ૧૮૮૭ ભરૂચ |
મૃત્યુ | 8 February 1971 મુંબઇ | (ઉંમર 83)
વ્યવસાય | વકીલાત, રાજકારણી, સાહિત્યકાર |
રાષ્ટ્રીયતા | ભારતીય |
માતૃ શિક્ષણ સંસ્થા | મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય[૧] |
જીવનસાથીઓ | અતિલક્ષ્મી પાઠક (લ. 1900–1924) [૨], લીલાવતી મુનશી (લ. 1926) [૨] |
સંતાનો | જગદીશ મુનશી, સરલા શેઠ, ઉષા રઘુપતિ, લતા મુનશી, ગિરિશ મુનશી |
ઉત્તર પ્રદેશના ગવર્નર | |
પદ પર ૨ જૂન ૧૯૫૨ - ૯ જૂન ૧૯૫૭ | |
પુરોગામી | હોમી મોદી |
અનુગામી | વી. વી. ગીરી |
કનૈયાલાલ માણેકલાલ મુનશી (૩૦ ડિસેમ્બર ૧૮૮૭ - ૮ ફેબ્રુઆરી ૧૯૭૧) (ઉપનામ: ઘનશ્યામ વ્યાસ[૩]) જેઓ ક. મા. મુનશી તરીકે પણ જાણીતા હતા, ભારતીય સ્વતંત્રતાસેનાની, રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા. તેઓ વ્યવસાયે વકીલ હતા, અને પછીથી લેખન અને રાજકારણ તરફ વળ્યા હતા. ગુજરાતી સાહિત્યમાં તેઓ અત્યંત જાણીતા હતા. તેમણે ૧૯૩૮માં શિક્ષણ સંસ્થા ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી.[૪]
મુનશીએ ગુજરાતી ઉપરાંત હિંદી અને અંગ્રેજીમાં પણ લેખન કર્યું છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા, તેઓ બંધારણ સભાના સભ્ય રહ્યા અને આઝાદ ભારતના સૌપ્રથમ કૃષિપ્રધાન હતા. ઉત્તર પ્રદેશના બીજા રાજ્યપાલ તરીકેની ફરજ બજાવ્યા બાદ નહેરૂ સાથે મતભેદના લીધે સ્વતંત્ર પક્ષમાં જોડાયા. ૧૯૬૦માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધા બાદ પાછળથી તેમણે વિશ્વ હિંદુ પરિષદની સ્થાપનામાં અગ્રિમ ભૂમિકા ભજવી.
તેમનો જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ ભરૂચમાં માણેકલાલ અને તાપીબાને ત્યાં થયો હતો. તેમનો શાળાકીય અભ્યાસ આર. એસ. દલાલ હાઇસ્કૂલમાં થયો હતો. ૧૯૦૧માં તેમણે મૅટ્રિકની પરિક્ષા પાસ કરીને ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. વડોદરામાં તેમના શિક્ષક અરવિંદ ઘોષનો તેમના પર ઊંડો પ્રભાવ પડ્યો હતો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ભુલાભાઈ દેસાઇ પણ તેમના આદર્શ હતા.[૫] ૧૯૦૫માં પ્રથમ વર્ગ સાથે અંબાલાલ સાકરલાલ પારિતોષિક જીતીને ઇન્ટરની પરીક્ષા પસાર કરી[૨] અને ૧૯૦૭માં એલિયટ પ્રાઈઝ સાથે બી.એ.ની પદવી મેળવી. ૧૯૧૦માં તેમણે એલ.એલ.બી.ની પરિક્ષા ઉત્તિર્ણ કરી અને ૧૯૧૩માં તેમણે મુંબઈ હાઇકોર્ટમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો.[૨]
૧૯૦૦માં નાની ઉંમરે તેમના લગ્ન અતિલક્ષ્મી સાથે થયા. ૧૯૨૪માં અતિલક્ષ્મીનું અવસાન થયું હતું. ૧૯૨૬માં તેમણે લીલાવતી શેઠ સાથે પુન:લગ્ન કર્યા હતા.[૨] લીલાવતી મુનશી પણ જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા.
૧૯૧૫-૨૦ દરમિયાન તેઓ હોમરુલ લીગના મંત્રી રહ્યા હતા. તેમની સુદિર્ઘ રાજકીય કારકિર્દી દરમ્યાન તેઓ ૧૯૨૫માં મુંબઈ ધારાસભામાં ચૂંટાયા. ૧૯૩૦માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને ત્યાર પછી ૧૯૩૦-૩૨ દરમિયાન સ્વતંત્રતાની ચળવળમાં જેલવાસ ભોગવ્યો. ૧૯૩૭-૩૯ દરમિયાન મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન રહ્યા. ૧૯૪૮માં તેમણે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને પછી હૈદરાબાદના ભારતમાં વિલિનીકરણમાં અગત્યની ભૂમિકા ભજવી હતી.[૨] ૧૯૪૮માં તેઓ રાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય બન્યા અને એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં કૃષિપ્રધાન રહ્યા. ૧૯૫૨ની ચૂંટણી પછી ૧૯૫૨ થી ૧૯૫૭ દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલના હોદ્દા પર રહ્યા હતા. ૧૯૫૮-૫૯ દરમિયાન કોંગ્રેસ પક્ષ સાથે મતભેદો થતા પક્ષમાંથી રાજીનામું આપ્યું અને ૧૯૫૯માં તેઓ રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં જોડાયા.[૨] ૧૯૬૦માં તેમણે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી.
સાહિત્યની સેવાના પ્રારંભ રૂપે તેમણે ૧૯૧૨માં ભાર્ગવ અને ૧૯૨૨માં ગુજરાત માસિકનો પ્રારંભ કર્યો. ૧૯૨૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણમાં તેમણે અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેમણે ૧૯૩૮માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી અને ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે રહ્યા. ૧૯૫૯માં તેમણે સમર્પણ માસિકનો પ્રારંભ કર્યો.
૮ ફેબ્રુઆરી ૧૯૭૧ના દીવસે ૮૩ વર્ષની જૈફ વયે મુંબઈમાં તેમનું અવસાન થયું.[૩]
કનૈયાલાલ મુનશીની પહેલી નવલકથા પાટણની પ્રભુતા જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી. જ્યારે પાટણની પ્રભુતાને આવકાર મળ્યો ત્યાર પછી તેમણે પોતાના સાચા નામે ગુજરાતી સાહિત્યમાં લખવાનુ શરૂ કર્યું. જય સોમનાથ એ રાજાધિરાજ કૃતિ છે, પણ હંમેશા પહેલી ગણાય છે. જીવનના અંતિમ વર્ષોમાં તેઓ કૃષ્ણભક્તિ તરફ વળ્યા હતા અને એટલે તેમની છેલ્લી રચના કૃષ્ણાવતાર છે, જે અધુરી છે.
તેમણે લખેલા સાહિત્યમાં કેટલીક ઉલ્લેખનીય રચનાઓ નીચે મુજબ છે:
નવલકથાઓ
નાટકો
અન્ય
શ્યામ બેનેગલની ટૂંકી હપ્તાવાર ધારાવાહિક સંવિધાનમાં તેમની ભૂમિકા કે.કે. રૈનાએ ભજવી હતી.
૧૯૮૮માં તેમના માનમાં ભારતના ટપાલ વિભાગ તરફથી ટપાલ ટિકિટ બહાર પડાઇ હતી.[૧]