કર્ટ ગોલ્ડસ્ટીન (English: Kurt Goldstein) (૬ નવેમ્બર ૧૮૭૮ – ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૫) જર્મનીના ન્યુરોલોજી અને સાઇકિયાટ્રીના વિદ્વાન હતા.[૧]
કર્ટ ગોલ્ડસ્ટીનનો જન્મ ૬ નવેમ્બર ૧૮૭૮ના રોજ જર્મનીમાં થયો હતો. તેમના પિતાનુ નામ અબ્રાહમ ગોલ્ડસ્ટીન અને માતાનુ નામ રોઝલી કેસિરર હતું. તેઓ બચપણથી શાંત, ગંભીર પ્રકૃતિના હતાં અને શાળામાં તેઓ 'પ્રોફેસર'ના હુલામણા નામથી જાણીતા હતા.[૧] ૧૯૦૩માં લોઅર સિલેસિયાની બ્રેસલાઉ યુનિવર્સિટીમાંથી તબીબી વિદ્યાશાખાની (એમ.ડીની) પદવી મેળવ્યા બાદ તેમણે ફ્રાંકફૂર્ત યુનિવર્સિટીની ન્યુરોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ન્યુરોલૉજી અને સાઇકિયાટ્રીના પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન જર્મનીની મિલિટરી હૉસ્પિટલના અધ્યક્ષ તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા, જ્યાં ખાસ કરીને તેમને મસ્તિષ્ક-ઈજાવાળા સૈનિકોના ઉપચારનું કાર્ય સોંપવામાં આવ્યું. તેમાંથી તેમણે મસ્તિષ્ક-ઈજા અને તેની વર્તન ઉપર થતી અસરમાં રસ કેળવ્યો. આમ, મસ્તિષ્ક-ઈજા એ તેમનું સંશોધનનું કેન્દ્ર બન્યું.[૨] ૧૯૧૯માં તેઓ ફ્રન્કફર્ટ ખાતે ન્યુરોલૉજીના પ્રોફેસર તરીકે નિયુક્તી પામ્યા હતા.[૧]
૧૯ સપ્ટેમબર ૧૯૬૫ના રોજ તેમનુ અવસાન થયું હતું.[૧]
ગોલ્ડસ્ટીનના મહત્ત્વના પુસ્તકોમાં 'ધ ઑર્ગેનિઝમ' (૧૯૩૯), 'હ્યુમન નેચર ઇન ધ લાઇટ ઑવ્ સાયકોપૅથોલૉજી' (૧૯૪૦), 'આફ્ટર-ઇફેક્ટસ ઑવ્ બ્રેઇન ઇઞરીઝ ઇન વૉર' (૧૯૪૨) તેમજ 'લૅંગ્વેજ ઍન્ડ લૅંગ્વેજ ડિસ્ટર્બન્સિસ' (૧૯૪૮)નો સમાવેશ થાય છે.[૩]
ગોલ્ડસ્ટીનના સૌથી મહત્ત્વનું સંશોધન મૂર્ત (concrete) અને અમૂર્ત (abstract) વર્તન અંગેનું છે. વ્યક્તિની અમૂર્ત વર્તનની ક્ષમતાને અવરોધે તેવી બાબતોની જાણકારી મેળવવા માટેની કેટલીક કસોટીઓ ગોલ્ડસ્ટીન અને તેમના સાથીઓએ તૈયાર કરેલ છે.[૩]