કાન્હોજી આંગ્રે (જન્મ: ઓગસ્ટ ૧૬૬૯, મૃત્યુ : ૪ જુલાઈ ૧૭૨૯) ૧૮મી સદી ઈસ્વીસનના સમયમાં મરાઠા સામ્રાજ્યના નૌસેનાના સર્વપ્રથમ સિપાહીસાલાર હતા. તેમને સરખેલા આંગ્રે પણ કહેવામાં આવે છે. "સરખેલ"નો અર્થ નૌસેનાધ્યક્ષ (એડમિરલ) એવો થાય છે. તેઓ જીવનભર હિંદ મહાસાગર ખાતે બ્રિટિશ, પોર્ટુગીઝ અને ડચ નૌકા-સૈન્યોની ગતિવિધિઓ સામે લડાઈ લડ્યા હતા. તેમના પિતા તાન્હોજી આંગ્રે પણ છત્રપતિ શિવાજીની ફોજમાં નાયક હતા અને કાન્હોજી આંગ્રેનો બાળપણથી જ મરાઠા લશ્કર સાથે સંબંધો રહ્યા હતા. તેમણે મરાઠા નૌસેનાને એક નવા સ્તર પર પહોંચાડી હતી અને ઘણાં સ્થળો પર મરાઠા નૌસૈનિક છાવણીઓની સ્થાપના કરી હતી, જેમાં આંદામાન ટાપુ, વિજયદુર્ગ (મુંબઈથી ૪૨૫ કિમી દૂર) વગેરેનો સમાવેશ થાય છે. તેઓ આજીવન અપરાજિત રહ્યા હતા.[૧]