![]() રાજેન્દ્ર પ્રસાદ અને અનુરાગ નારાયણ સિંહા (બેઠેલા; ડાબેથી જમણે), સ્થાનિક વકીલો રામનવમી પ્રસાદ અને શંભુશરણ મિશ્રા(ઊભેલા; ડાબેથી જમણે) ચંપારણ સત્યાગ્રહ દરમિયાન | |
તારીખ | ૧૯ એપ્રિલ ૧૯૧૬ |
---|---|
સ્થાન | ચંપારણ, બિહાર, ભારત |
સંચાલક | ગાંધીજી, વ્રજકિશોર પ્રસાદ, રાજેન્દ્ર પ્રસાદ, અનુરાગ નારાયણ સિંહા, રામનવમી પ્રસાદ, મઝરૂહ–ઉલ–હક તથા જે.બી.કૃપલાણી |
ચંપારણ સત્યાગ્રહ (૧૯૧૭) એ મહાત્મા ગાંધીથી પ્રેરીત પહેલું સત્યાગ્રહ આંદોલન અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો એક મોટો વિદ્રોહ હતો. આ એક ખેડૂત વિદ્રોહ હતો જે બિહારના ચંપારણ જિલ્લામાં થયો હતો. ખેડૂતો ગળીનો પાક લેવા માટે મજબૂર કરાતા તેમણે બ્રિટીશ ઉપનિવેશવાદ વિરુદ્ધ આ બળવો કર્યો હતો.[૧]
ચંપારણ સત્યાગ્રહ પ્રથમ સફળ અને લોકપ્રિય સત્યાગ્રહ હતો જેણે ભારતના યુવાનો અને ભારતીય સ્વતંત્રતા ચળવળને યોગ્ય દિશા આપી. આ પૂર્વે ભારતની સ્વાંતત્ર્યની લડત નરમપંથીઓ કે જેઓ બ્રિટીશ ઉપનિવેશીય પ્રણાલીમાં ભારતીય ભાગીદારીની તરફેણ કરતા હતા અને ચરમપંથીઓ કે જેઓ આઝાદી માટે હિંસક પ્રતિક્રિયાની તરફેણ કરતા હતા તેમની વચ્ચે વહેંચાયેલી હતી.[૨]
ગળી મુખ્યત્ત્વે રંગ બનાવટના કામ માટે વપરાતી. જર્મની દ્વારા સસ્તા કૃત્રિમ રંગની શોધ પછી ગળીની માંગમાં ઘટાડો થયો હતો. પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન કૃત્રિમ રંગ મળતો બંધ થવાથી ગળીની માંગમાં ફરી વધારો થયો. આથી ચંપારણમાં હજારો ભૂમિ રહીત ગરીબ ખેડૂતો અને બંધિયા મજૂરો પાસે બળજબરીથી ખોરાક માટે જરૂરી એવા ધાન્યને બદલે ગળી અને અન્ય રોકડીયા પાક લેવડાવવામાં આવતા હતા. વળી આ પાકો તેમની પાસેથી અત્યંત ઓછી કિંમતે ખરીદાતા. આ ખેડૂતો જમીનદારોના (મોટે ભાગે બ્રિટિશ) દમન નીચે કચડાયેલા હતાં. તેમની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય હતી અને ત્યાં ભૂખમરાની સ્થિતિ ફાટી નીકળી. આવી સ્થિતિમાં અંગ્રેજ સરકારે તેમના પર અતિરિક્ત કર લાદ્યો. ખોરાક અને ધન બન્નેની અછતમાં અસંતોષની આ પરિસ્થિતિ સ્ફોટક બની ગઈ અને ખેડૂતોએ ગળીનો પાક લેવા સામે બળવો પોકાર્યો.[૩][૪]
ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ૧૭૫૦માં બેરાર (હાલ બિહાર), ઔધ (હાલ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ) તેમજ બંગાળમાં વ્યાવસાયિક રીતે ગળીની ખેતી કરાવવામાં આવતી હતી. કંપની દ્વારા આ ગળી ચીન, બ્રિટન અને યુરોપમાં નિકાસ કરવામાં આવતી. ગળી એક રોકડિયો પાક હોવાથી પાણીની વધુ પ્રમાણમાં જરૂરિયાત રહેતી તેમજ જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થતો હતો. આથી ખેડૂતોએ ગળીનો પાક લેવાનો વિરોધ કર્યો. ગળીનો વ્યાપાર ઘણી એશિયાઈ તેમજ યુરોપીયન કંપનીઓ માટે લાભપ્રદ હતો પરિણામે બ્રિટીશ ઉપનિવેશકો ખેડૂતોને ઋણ (લોન) આપવાની શરતે કે સ્થાનિક રાજાઓ, નવાબો અને જમીનદારોના માધ્યમથી ગળીની ખેતી કરવા મજબૂર કરતા હતા.[૬]
૧૯મી સદીના પ્રારંભિક દશકોમાં ચીનમાં ગળીના વ્યાપારને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યો. વળી ૧૯૧૦માં સંયુક્ત રાજ્ય અમેરિકામાં તેને પ્રતિબંધિત કરાતા વ્યાપારીયોએ ગળીનું ઉત્પાદન વધારવા માટે ગળીના બગીચા ધારકો પર દબાણ કરવાનું શરૂ કર્યું. એવો પણ આરોપ લગાવવામાં આવતો હતો કે જમીનદારોએ ધાકધમકીથી ગેરકાયદે કર વસૂલ કરી ગળી ઉત્પાદન માટે દબાણ શરૂ કર્યું. આ મુદ્દાને ઘણા વકીલો તેમજ નેતાઓએ ઉજાગર કર્યો હતો અને તે માટે તપાસ સમિતિ પણ મોકલવામાં આવી હતી. પીર મુનિષ અને ગણેશ શંકર વિદ્યાર્થીએ તેમના પ્રકાશનોમાં ચંપારણની વાસ્તવિક પરિસ્થિતિ રજૂ કરી હતી આથી તેમને નોકરી છોડવી પડી હતી.[૭]
બિહારના પશ્ચિમોત્તર ક્ષેત્રમાં આવેલા ચંપારણમાં અંગ્રેજો દ્વારા પ્રત્યેક વિઘા જમીનમાં ત્રણ ભાગ પર ગળીની ખેતી કરવા માટે ખેડૂતોને બાધ્ય કરવામાં આવ્યા હતા. ઉપરાંત તેમના પર અલગ અલગ પ્રકારના કર નાખવામાં આવ્યા હતા. રાજકુમાર શુક્લ આ ક્ષેત્રના એક સમૃદ્ધ ખેડૂત હતા. તેમણે શોષણની આ વ્યવસ્થાનો પૂરજોર વિરોધ કર્યો. તેમણે ગળી ઉત્પાદન બાબતે ખેડૂતોની પીડા અને અંગ્રેજો દ્વારા થતા શોષણ વિશે મહાત્મા ગાંધીને માહિતગાર કર્યા. શરૂઆતમાં ગાંધીજી આ બાબતે ગંભીર નહોતા પરંતુ શુક્લા દ્વારા વારંવાર ધ્યાન દોરવામાં આવતા તેઓ ચંપારણ જવા તૈયાર થયા. ૧૦ એપ્રિલ ૧૯૧૭ના રોજ ગાંધીજી ચંપારણ પહોંચ્યા. તેમની સાથે વ્રજકિશોર પ્રસાદ, રાજેન્દ્ર પ્રસાદ, અનુરાગ નારાયણ સિંહા, બાબુ ગયાપ્રસાદ સિંહ, રામનવમી પ્રસાદ અને જે.બી.કૃપલાણી સહિત પ્રખ્યાત વકીલોની ટીમ હતી.[૮]
ગ્રામલોકો સાથે વિશ્વાસ સંપાદિત કરતાં ગાંધીજીએ સફાઈ કામગીરી, શાળા અને આરોગ્ય કેન્દ્રોના નિર્માણનું કામ શરૂ કર્યું. દારૂની લત, અસ્પૃશ્યતા અને પડદા પ્રથા જેવા કુરિવાજો દૂર કરવા માટે જાગૃત કર્યા. તેમણે ૧૩ નવેમ્બર ૧૯૧૭ના રોજ પોતાના સમર્થકો અને સ્વયંસેવકોની મદદથી પૂર્વીય ચંપારણના જિલ્લા મુખ્યાલયથી ૩૦ કિમીના અંતરે એક બુનિયાદી શાળાની સ્થાપના કરી. આ ઉપરાંત ૧૭ જાન્યુઆરી ૧૯૧૮ના રોજ મધુવન જિલ્લામાં અન્ય એક શાળા શરૂ કરી. શાળા નિર્માણનો મુખ્ય આશય નિરક્ષરતાને દૂર કરી લોકોમાં જાગરૂકતા લાવવાનો હતો.[૯] રાજેન્દ્ર પ્રસાદ, અનુરાગ નારાયણ સિંહા, બાબુ ગયાપ્રસાદ સિંહ સહિતની તેમની સમર્થક વકીલ ટુકડીએ ગામનું વિસ્તૃત અધ્યયન અને સર્વેક્ષણ કર્યું જેમાં અત્યાચાર, ઉત્પીડન તેમજ લોકોના દયનીય જીવન માટેના કારણો તારવવામાં આવ્યા.
ચંપારણમાં ગાંધીજીના આ અભિયાનથી અંગ્રેજ સરકાર હરકતમાં આવી ગઈ. ચંપારણ ક્ષેત્રમાં અશાંતિ ફેલાવવાના આરોપસર તેમની ધરપકડ કરી પ્રાંત છોડવાનો આદેશ આપવામાં આવ્યો. જેલ, પોલીસ સ્ટેશનો અને ન્યાયાલયની બહાર હજારો લોકોએ તેમને છોડી મૂકવાની માંગ કરી. અદાલતે અનિચ્છાએ તેમને છોડવા પડ્યા. ગાંધીજીના નેતૃત્ત્વમાં જમીનદારો વિરુદ્ધ સુનિયોજિત વિરોધ પ્રદર્શન અને હડતાલનું આયોજન કરવામાં આવ્યું. પરિણામે અંગ્રેજ સરકારના નિર્દેશનમાં એક કરાર થયો. જેમાં ખેડૂતોને વધારે વળતર અને પાકની પસંદગી કરવાની છૂટ આપવામાં આવી, કરમાં કરાયેલો વધારો નાબૂદ થયો અને ભૂખમરાની વિપદા ટળે ત્યાં સુધી કરવધારો મોકૂફ રખાયો. આ ચળવળ દરમિયાન પહેલીવાર ગાંધીજીને લોકોએ પ્રેમથી "બાપુ" અને "મહાત્મા" તરીકે સંબોધવાનું શરૂ કર્યું.[૧૦][૧૧]
ચંપારણ સત્યાગ્રહના શતાબ્દી સમારોહના ઉપલક્ષમાં ૧૦ એપ્રિલ ૨૦૧૭ના રોજ રાષ્ટ્રીય સંમેલન સાથે ઊજવણી–શૃંખલાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં પ્રખ્યાત ગાંધીવાદી વિચારકો, દાર્શનિકો અને વિદ્વાનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન શિક્ષા વિભાગ અને જન શિક્ષા નિયામક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.[૧૨] કાર્યક્રમના સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા.[૧૩]
ભારતીય ટપાલ વિભાગ દ્વારા સત્યાગ્રહની સો વર્ષની ઊજવણીના ભાગરૂપે ૧૩મે મે ૨૦૧૭ના રોજ રૂ.૨૫, રૂ.૧૦ અને રૂ. ૫ ના મૂલ્યની ત્રણ સ્મારક ટપાલ ટિકિટ તથા એક લઘુચિત્ર (મીનીએચર શીટ) બહાર પાડવામાં આવી છે.[૧૪][૧૫]
લોકોની તકલીફોને દાદ મળે તે માટે ઘણા નગર સંગઠનો સરકારને અરજીઓ મોકલવી કે વર્તમાનપત્રોમાં અગ્રલેખ લખવા જેવા પગલા લેતા હતાં પરંતુ ગાંધીજીએ "સત્યાગ્રહ" - અહિંસક કાનૂન ભંગનો માર્ગ સૂચવ્યો. અહીંસક રહેવા સાથે ગાંધીજી ભારતીય લોકોમાં દમનનો પ્રતિરોધ કરવાની ઈચ્છા શક્તિને જાગૃત કરવા ઈચ્છતા હતા.
ગાંધીજીએ એ વાત પર પણ જોર આપ્યું હતું કે આ લડત દ્વારા "સ્વરાજ્ય" કે "સ્વતંત્રતા" જેવા રાજનૈતિક મુદ્દાઓ ન આવરી લેવાય. આ લડત રાજનૈતિક મુક્તિની ન હોતા માનવ હક્કોના દમનના વિરોધમાં હતી. દેશના અન્ય ભાગો પાસેથી આવેલી મદદ સ્વીકારતાં ગાંધીજીએ એ વાત પર પણ જોર આપ્યું કે દેશના અન્ય જિલ્લાઓ કે રાજ્યો સરકાર વિરુદ્ધ બળવો ન કરે. આ ઉપરાંત રાષ્ટ્રીય મહાસભા નૈતિક ટેકો આપવાના ઠરાવ સિવાય અન્ય રીતે આ લડતમાં સામેલ ન થાય તેની પણ તેમણે તકેદારી રાખી હતી. અંગ્રેજ સરકાર આ લડતને બળવામાં ખપાવીને તેને દાબી ન શકે એ ઉદ્દેશ્યથી આવા પગલાં લેવાયાં હતાં.
|archive-date=
(મદદ)