જયપ્રકાશ નારાયણ | |
---|---|
જન્મની વિગત | સીતાબદીયારા, સારન જિલ્લો, બંગાળ પ્રેસીડેન્સી, બ્રિટીશ ભારત | 11 October 1902
મૃત્યુ | 8 October 1979 | (ઉંમર 76)
રાષ્ટ્રીયતા | ભારતીય |
અન્ય નામો | જેપી, લોકનાયક |
વ્યવસાય | કાર્યકર્તા, સિદ્ધાંતકાર, રાજનેતા |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જનતા પક્ષ |
ચળવળ | ભારત છોડો આંદોલન, સર્વોદય, જેપી ચળવળ |
જીવનસાથી | પ્રભાવતી દેવી |
પુરસ્કારો | રેમન મેગ્સેસ પુરસ્કાર (૧૯૬૫) ભારત રત્ન (૧૯૯૯) (મરણોપરાંત) |
જયપ્રકાશ નારાયણ ( ૧૧મી ઓક્ટોબર, ૧૯૦૨ - ૮મી ઓક્ટોબર, ૧૯૭૯) જે પી અથવા લોકનાયક તરીકે જાણીતા ભારતીય સ્વતંત્રતા સેનાની, સિદ્ધાંતકારી, સમાજવાદી અને રાજનેતા હતા. તેઓ ભારત છોડો આંદોલનના નાયક તરીકે પણ ઓળખાય છે તથા પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી વિરુદ્ધ ૧૯૭૦ના દશકના લોકતાંત્રિક વિરોધ માટે યાદ કરવામાં આવે છે. તેમનું જીવનચરિત્ર તેમના રાષ્ટ્રવાદી મિત્ર અને હિન્દી સાહિત્યના પ્રખ્યાત લેખક રામવૃક્ષ બેનીપુરીએ લખ્યું હતું. ૧૯૯૯માં તેમના સામાજીક કાર્યો માટે ભારતના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ભારત રત્નથી (મરણોપરાંત) સન્માનિત કરવામાં આવ્યા. અન્ય પુરસ્કારોમાં મેગ્સેસ એવોર્ડ (૧૯૬૫) મુખ્ય છે.
જયપ્રકાશ નારાયણનો જન્મ ૧૧ ઓક્ટોબર ૧૯૦૨[૧]ના રોજ તત્કાલીન બંગાળ પ્રેસીડેન્સીના સિતાબદીયારા ગામમાં (હાલ બલિયા જિલ્લો, ઉત્તર પ્રદેશ) થયો હતો.[૨]તો કાયસ્થ જ્ઞાતિના હતા.[૩]તેઓ હરસૂ દયાલ અને ફુલરાની દેવીનું ચોથું સંતાન હતા. તેમના પિતા રાજ્ય સરકારના નહેર વિભાગમાં અધિકારી હતા. જયપ્રકાશ જ્યારે નવ વર્ષના હતા ત્યારે પટનાની કોલેજીએટ સ્કૂલમાં સાતમા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે ગામ છોડી દીધું.[૪] ગ્રામ્ય જીવનથી દૂર આ તેમનો પહેલો અનુભવ હતો. જેપી સરસ્વતી ભવન નામના એક છાત્રાલયમાં રહેવા લાગ્યા. છાત્રાલયમાં બિહારના કેટલાક ભાવિ નેતાઓ પણ હતા. જેમાં બિહારના પ્રથમ મુખ્યમંત્રી કૃષ્ણા સિંહ, તેમના નાયબ મુખ્યમંત્રી અનુરાગ નારાયણ સિંહા તથા અન્ય કેટલાક રાજનૈતિક અને શૈક્ષણિક જગતમાં વ્યાપકરૂપે જાણીતા હતા.[૫]
ઓક્ટોબર ૧૯૨૦માં ૧૮ વર્ષીય જયપ્રકાશના લગ્ન વ્રજકિશોર નારાયણની ચૌદ વર્ષીય પુત્રી પ્રભાવતી દેવી સાથે થયા.[૬] તેમના લગ્ન બાદ જયપ્રકાશ પટના રહેતા હતા આથી તેમનાં પત્ની માટે તેમની સાથે રહેવું શક્ય નહોતું. ગાંધીજીના આમંત્રણથી પ્રભાવતી દેવી અમદાવાદ ખાતેના સાબરમતી આશ્રમમાં અંતેવાસી તરીકે જોડાયા.[૭]
વિદ્યાપીઠનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી જયપ્રકાશે આગળનો અભ્યાસ અમેરિકામાં કરવાનું વિચાર્યું.[૬] ૨૦ વર્ષની ઉંમરે જયપ્રકાશ માલવાહક જહાજ જાનસ દ્વારા અમેરીકા રવાના થયા જ્યારે પ્રભાવતી સાબરમતી આશ્રમમાં જ રોકાયા. ૮ ઓક્ટોબર ૧૯૨૨ના રોજ તેઓ કેલિફોર્નિયા પહોંચ્યા અને જાન્યુઆરી ૧૯૨૩માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલી ખાતે પ્રવેશ મેળવ્યો.[૮] અહીં તેમણે રસાયણ શાસ્ત્રમાં પ્રવેશ મેળવ્યો[૯] પરંતુ પ્રથમ સત્ર પુરૂ થયા બાદ ફીમાં બમણો વધારો થવાના કારણે તેઓ આયોવા વિશ્વવિદ્યાલય ખાતે સ્થળાંતરીત થવા મજબૂર બન્યા. ત્યારબાદ તેઓ એક પછી એક વિશ્વવિદ્યાલય બદલવા માટે વિવશ થતા રહ્યા. આખરે પ્રો. ઍડવર્ડ એ રોસની મદદથી પોતાના પસંદગીના વિષય સમાજશાસ્ત્ર સાથે આગળ વધ્યા.
આ દરમિયાન જયપ્રકાશ કાર્લ માર્ક્સના પુસ્તક દાસ કેપીટલના પરીચયમાં આવ્યા. ૧૯૧૭ની રશિયન ક્રાન્તિની સફળતા પરથી જયપ્રકાશ એ તારણ પર આવ્યા કે માર્ક્સવાદએ જનસામાન્યના દુ:ખોને ઓછા કરવાનો રસ્તો છે. તેઓ ભારતીય બૌદ્ધિક અને કમ્યુનિસ્ટ સિદ્ધાંતકાર એમ.એન.રોયના પુસ્તકોથી પણ પ્રભાવિત થયા.
૧૯૨૯ના અંતમાં નારાયણ એક માર્ક્સવાદી સમર્થકરૂપે ભારત પાછા ફર્યા.[૧૦] ૧૯૨૯માં જવાહરલાલ નહેરુના નિમંત્રણ પર તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાયા. અહીં મહાત્મા ગાંધી તેમના માર્ગદર્શક બન્યા. તેમના ખૂબ જ નજીકના મિત્ર અને રાષ્ટ્રવાદી ગંગા શરણ સિંહા સાથે પટના ખાતે કદમ કૂવા નામના ઘરે ભાગીદારીમાં રહ્યા.[૧૧]
બ્રિટીશ શાસન વિરુદ્ધ સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લેવા બદલ ૧૯૩૨માં તેમને નાસિક જેલમાં કેદ કરવામાં આવ્યા. જેલવાસ દરમિયાન તેમની મુલાકાત રામ મનોહર લોહિયા, મીનૂ મસાણી, અચ્યુત પટવર્ધન, અશોક મહેતા, યુસુફ દેસાઈ, સી. કે. નારાયણસ્વામી તથા અન્ય રાષ્ટ્રીય નેતાઓ સાથે થઈ. કારાવાસમાંથી છૂટ્યા બાદ કોંગ્રેસના વામપંથી જૂથે કોંગ્રેસ સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી. જેના અધ્યક્ષપદે આચાર્ય નરેન્દ્ર દેવ તથા જયપ્રકાશ મહાસચિવ બન્યા.
જ્યારે મહાત્મા ગાંધીએ ભારત છોડો આંદોલનની જાહેરાત કરી ત્યારે યોગેન્દ્ર શુક્લા, જયપ્રકાશ નારાયણ, સૂરજ નારાયણ સિંહ, ગુલાબચંદ ગુપ્તા, પંડિત રામનંદન મિશ્ર, શાલિંગ્રામ સિંહ તેમજ શ્યામ બરઠવાર સહિતના નેતાઓએ આઝાદી માટે ભૂમિગત આંદોલન શરૂ કરવાના લક્ષ્ય સાથે હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ ઓળંગી ભાગી છૂટ્યા હતા.[૧૨]
૧૯૪૭થી ૧૯૫૩ દરમિયાન જયપ્રકાશ ભારતીય રેલવેના સૌથી મોટા શ્રમિક સંઘ અખિલ ભારતીય રેલકર્મી મહાસંઘના અધ્યક્ષપદે રહ્યા હતા.[૧૩]
ઈન્દિરા ગાંધીને ચૂંટણી કાયદાઓના ઉલ્લંઘન માટે હૈદરાબાદ ઉચ્ચ ન્યાયાલય દ્વારા દોષિત ઠરાવવામાં આવ્યા. નારાયણે ઈન્દિરાના રાજીનામાની માંગ કરી સાથે પોલીસ તથા સૈન્યને અસંવૈધાનિક અને અનૈતિક આદેશોની અવહેલના કરવા માટે આહ્વાન કર્યું. તેમણે સામાજીક પરિવર્તનના એક કાર્યક્રમમાં સંપૂર્ણ ક્રાંતિની હાકલ કરી. જેના તુરંત બાદ ઈન્દિરા ગાંધીએ ૨૫ જૂન ૧૯૭૫ની મધ્યરાત્રિએ દેશમાં કટોકટીની ઘોષણા કરી. મોરારજી દેસાઈ, વિપક્ષી નેતાઓ તેમજ તેમના પક્ષના અસંતુષ્ટ સભ્યોની પણ ધરપકડ કરવામાં આવી.
જયપ્રકાશ નારાયણે રામલીલા મેદાનમાં ૧,૦૦,૦૦૦ લોકોની ભીડને સંબોધિત કરતાં રામધારીસિંહ દિનકરની કવિતા સિંહાસન ખાલી કરો કે જનતા આતી હૈ...નું ગાન કર્યું.[૧૪]
જયપ્રકાશની ધરપકડ કરી ચંદીગઢ ખાતે રખાય હતા. ૨૪ ઓક્ટોબરે તેમની તબિયત લથડતાં ૧૨ નવેમ્બરે મુક્ત કરવામાં આવ્યા હતા.
૧૮ જાન્યુઆરી ૧૯૭૭ના રોજ કટોકટી હટાવીને ચૂંટણીની ઘોષણા કરવામાં આવી. જેપીના માર્ગદર્શન હેઠળ જનતા પક્ષની રચના કરવામાં આવી. કટોકટીકાળના ઈન્દિરા ગાંધીના વ્યાપક વિરોધને પગલે દેશમાં પહેલી બિનકોંગ્રેસી સરકાર બની.[૧૫]
૮ ઓક્ટોબર ૧૯૭૯ના રોજ તેમના ૭૭મા જન્મદિવસથી ત્રણ દિવસ પહેલાં જ બિહારના પટના ખાતે મધુપ્રમેહ અને હૃદય સંબંધિત બીમારીઓના કારણે તેમનું અવસાન થયું.[૧૬]