તિરુવેલોર થટ્ટાઈ કૃષ્ણમાચારી | |
---|---|
![]() ૨૦૦૨ની ભારતીય ટપાલ ટિકિટ પર કૃષ્ણમાચારી | |
સાંસદ, મદ્રાસ દક્ષિણ લોકસભા મતવિસ્તાર | |
પદ પર ૧૯૫૭ – ૧૯૬૨ | |
પ્રધાન મંત્રી | જવાહરલાલ નેહરુ |
પુરોગામી | — |
સાંસદ, મદ્રાસ લોકસભા મતવિસ્તાર | |
પદ પર ૧૯૫૧ – ૧૯૫૭ | |
પ્રધાન મંત્રી | જવાહરલાલ નેહરુ |
પુરોગામી | — |
અનુગામી | મદ્રાસ ઉત્તર અને મદ્રાસ દક્ષિણ મતવિસ્તારોમાં વિભાજિત |
અંગત વિગતો | |
જન્મ | ૧૮૯૯ મદ્રાસ, બ્રિટીશ ભારત |
મૃત્યુ | ૧૯૭૪ (વર્ષ ૭૪-૭૫) |
રાષ્ટ્રીયતા | ભારતીય |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
સંતાનો | ટીટી રંગાસ્વામી ટીટી નરસિંહન |
ક્ષેત્ર | રાજકારણી, ઉદ્યોગસાહસિક ટીટીકે જૂથ |
તિરુવેલોર થટ્ટાઈ કૃષ્ણમાચારી (૧૮૯૯-૧૯૭૪) એક ભારતીય રાજકારણી અને ઉદ્યોગસાહસિક હતા, જેમણે ૧૯૫૬થી ૧૯૫૮ સુધી અને ૧૯૬૪થી ૧૯૬૬ સુધી નાણાં મંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ નવી દિલ્હીમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (એનસીએઇઆર)ની પ્રથમ સંચાલક સંસ્થાના સ્થાપક સભ્ય પણ હતા, જે ૧૯૫૬માં સ્થપાયેલી ભારતની પ્રથમ સ્વતંત્ર આર્થિક નીતિ સંસ્થા હતી. તેઓ ૧૯૪૭-૧૯૫૦ સુધી ડેપ્યુટી વાઇસરોય પદે રહ્યા હતા.
કૃષ્ણમાચારીએ મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજ (એમસીસી)માંથી સ્નાતકની પદવી મેળવી હતી અને તેઓ એમસીસીના અર્થશાસ્ત્ર વિભાગના વિઝિટિંગ પ્રોફેસર હતા. તેઓ ટીટીકેના નામથી જાણીતા હતા.
ટી. ટી. કૃષ્ણમાચારીનો જન્મ ૧૮૯૯માં મદ્રાસ (હવે ચેન્નાઈ) શહેરમાં એક તમિલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા ટી.ટી.રંગાચારી હાઇકોર્ટમાં જજ હતા. તેમણે ધર્મમૂર્તિ રાવ બહાદુર કેલાવાલા કુન્નન ચેટ્ટીની હિન્દુ ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી અભ્યાસ કર્યો હતો અને બાદમાં મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી હતી.[૧] તેમણે વર્ષ ૧૯૨૮માં ટીટીકે (TTK) જૂથની સ્થાપના કરી હતી, જે એક ભારતીય બિઝનેસ જૂથ છે, જે તેની પ્રેસ્ટિજ બ્રાન્ડ માટે પ્રખ્યાત છે.
ટી. ટી. કૃષ્ણમાચારી શરૂઆતમાં મદ્રાસ ધારાસભામાં અપક્ષ સભ્ય તરીકે ચૂંટાયા હતા અને પછીથી તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. ૧૯૪૬માં તેમને કેન્દ્રમાં બંધારણ સભાના સભ્ય બનાવવામાં આવ્યા હતા. ૧૯૫૨થી ૧૯૬૫ સુધી તેમણે કેન્દ્રીય મંત્રી તરીકે બે વખત દેશની સેવા કરી હતી. તેઓ વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રથમ પ્રધાન હતા અને ૨(બે) વખત નાણાં પ્રધાન તરીકે પણ સેવા આપી હતી. તેઓ છેલ્લા ઘણા સમય સુધી સ્ટીલ મંત્રાલયનો હવાલો પણ સંભાળી રહ્યા હતા. તેઓ ૧૯૬૨માં આર્થિક અને સંરક્ષણ સહકાર મંત્રી અને પછી ૧૯૬૪માં ફરીથી નાણાં પ્રધાન બન્યા હતા અને ૧૯૬૬માં નિવૃત્ત થયા હતા.[૨]
પછીનું જીવન હરિદાસ મુંધરા કાંડમાં તેમની સંડોવણીને કારણે કૃષ્ણમાચારીને ૧૮ ફેબ્રુઆરી ૧૯૫૮ના રોજ નાણાં પ્રધાનપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.[૩] ૧૯૬૨માં તેઓ પુનઃ ચૂંટાયા હતા અને જવાહરલાલ નેહરુએ તેમને નાણામંત્રાલય સિવાય કેબિનેટના કોઈ પણ હોદ્દાની ઓફર કરી હતી[૪], પરંતુ ૧૯૬૨માં કોઈ પણ પદ વિના કેબિનેટ પ્રધાન તરીકે તેમની પુનઃનિમણૂક કરવામાં આવી હતી અને ફરીથી નાણાં પ્રધાન તરીકે તેઓ ૧૯૬૬ સુધી હોદ્દા પર રહ્યા હતા. તેઓ મદ્રાસ સંગીત અકાદમી સાથે સંકળાયેલા હતા. મદ્રાસનો એક સંગીત ખંડ તેમનું નામ ધરાવે છે. ૧૯૭૪માં વય સંબંધિત બીમારીને કારણે તેમનું અવસાન થયું હતું.
તેમના મૃત્યુ પછી ચેન્નઈના મોબ્રેના રોડનું નામ બદલીને ટીટીકે રોડ કરવામાં આવ્યું હતું.