રાય બહાદુર નંદશંકર મહેતા | |
---|---|
જન્મ | નંદશંકર તુળજાશંકર મહેતા 21 April 1835 સુરત, બ્રિટિશ ભારત |
મૃત્યુ | 17 July 1905 સુરત, બ્રિટિશ ભારત | (ઉંમર 70)
વ્યવસાય | નવલકથાકાર, સુધારાવાદી |
ભાષા | ગુજરાતી |
નોંધપાત્ર સર્જન | કરણ ઘેલો (૧૮૬૬) |
જીવનસાથી | નંદાગૌરી |
સંતાનો | વિનાયક મહેતા, મનુભાઇ મહેતા |
સંબંધીઓ | હંસા જીવરાજ મહેતા (પૌત્રી) સુમંત મહેતા (પૌત્ર) |
નંદશંકર મહેતા (૨૧ એપ્રિલ ૧૮૩૫ – ૧૭ જુલાઇ ૧૯૦૫) ગુજરાતી ભાષાના લેખક હતા. તેઓ તેમની નવલકથા કરણ ઘેલો માટે પ્રખ્યાત છે, જે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કહેવાય છે.[૧][૨][૩]
નંદશંકર મહેતાનો જન્મ ૨૧ એપ્રિલ ૧૮૩૫ના રોજ ગંગાલક્ષ્મી અને તુળજાશંકરને ત્યાં નાગર બ્રાહ્મણ કુટુંબમાં સુરત ખાતે થયો હતો. ૧૦ વર્ષની વયે તેમણે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસની શરુઆત કરી હતી. ૧૮૫૫માં નંદગૌરી સાથે લગ્ન બાદ તેઓ એ જ શાળામાં સહાયક શિક્ષક તરીકે જોડાયા.[૪]
૧૮૫૮માં શાળામાં મુખ્યશિક્ષક તરીકે નિમાયા અને પછીથી સુરતમાં ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજમાં પ્રિન્સીપાલ પદે નિમાયા, જે પદ તેમણે ૧૮૬૭ સુધી સંભાળ્યું. તેમની કુશળતા જોઇને સરકારના પાઠ્યપુસ્તક મંડળના સભ્ય સર થિયોડોર હોપ નામના અંગ્રેજે તેમને સનદી સેવામાં જોડાવા સમજાવ્યા અને તેઓ અંકલેશ્વર ખાતે મામલતદાર તરીકે જોડાયા. ૧૮૮૦માં તેઓ કચ્છના દિવાનપદે રહ્યા અને ૧૮૮૩માં ગોધરામાં સહાયક પોલિટિકલ એજન્ટ તરીકે તેમની નિમણૂક થઇ.[૧][૪]૧૮૭૭માં તેમને રાય બહાદુરનો ખિતાબ મળ્યો.
તેઓ સામાજીક અને ધાર્મિક સુધારાવાદી હતા. તેઓ સ્ત્રી શિક્ષણ, વિધવા વિવાહ, પરદેશ જવા પર પ્રતિબંધ મૂકતી પ્રથાની નાબૂદી, અસ્પૃશ્યતાનો વિરોધ, અંધવિશ્વાસ દૂર કરવો વગેરે પર કામ કરતી ઘણી સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ અને અન્ય સુધારાવાદી જેવા કે દુર્ગારામ મહેતા, દલપતરામ અને અન્ય બે સહકાર્યકરોએ માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી જે સામાજીક અને ધાર્મિક સુધારાઓ પર કામ કરતી હતી. તેઓ બુદ્ધિવર્ધક સભાના પણ સભ્ય હતા, જેની સ્થાપના મુંબઈમાં ૧૮૫૧માં થઇ હતી.[૪] ડો. સુમંત મહેતા તેમના પૌત્ર હતા.[૫]
૧૮૯૦માં નિવૃત્તિ પછી તેમણે ઘણી સંસ્થાઓ સાથે કામ કર્યું. ૧૭ જુલાઇ ૧૯૦૫ના રોજ સુરતમાં તેમનું અવસાન થયું.[૪]
તેમણે ૧૮૬૩માં કરણ ઘેલો લખવાની શરુઆત કરી અને ૧૮૬૬માં પ્રકાશિત કરી. આ નવલકથા ગુજરાતના વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવ બીજાનું (c. ૧૨૯૭-૧૩૦૪) જીવનચરિત્ર ધરાવે છે, જેની અલ્લાઉદ્દિન ખીલજીની તુર્કીશ સેના સામે ૧૨૯૮માં હાર થઇ હતી.[૧][૬][૭]
તેમણે આર.જી. ભંડારકરની સંસ્કૃત માર્ગોપદેશિકા અને અંગ્રેજી ત્રિકોણમિતિ પાઠ્યપુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું. તેમણે અનેક સમાચારપત્રોમાં લેખો લખ્યા હતા. તેમનાં પુત્ર વિનાયક મહેતાએ તેમનું જીવનચરિત્ર લખ્યું છે.[૩][૪]
૨૦૧૫માં કરણ ઘેલોનું અંગ્રેજીમાં ભાષાંતર થયું છે.[૩]
|date=
(મદદ)