નારાયણ દેસાઈ | |
---|---|
![]() નારાયણ દેસાઈ, વેડછી ખાતે, જાન્યુઆરી ૨૦૦૭ | |
જન્મની વિગત | નારાયણ મહાદેવભાઈ દેસાઈ December 24, 1924 |
મૃત્યુ | March 15, 2015 સુરત, ગુજરાત | (ઉંમર 90)
રાષ્ટ્રીયતા | ભારતીય |
વ્યવસાય | ચરિત્રકાર, અનુવાદક, લેખક |
પ્રખ્યાત કાર્ય | ગાંધી કથા |
જીવનસાથી | ઉત્તરા ચૌધરી |
માતા-પિતા |
|
નારાયણ દેસાઈ (૨૪ ડિસેમ્બર ૧૯૨૪ – ૧૫ માર્ચ ૨૦૧૫) ભારતીય ગાંધીવાદી અને લેખક હતા.
મહાત્મા ગાંધીના અંગત સેક્રેટરી અને જીવનવૃત્તાંત લેખક મહાદેવભાઈ દેસાઈના પુત્ર એવા,[૧] નારાયણ દેસાઈનો જન્મ વલસાડ, ગુજરાત ખાતે ૨૪ ડિસેમ્બર ૧૯૨૪ના રોજ થયો હતો.[૨] ગાંધીજીના સાબરમતી આશ્રમ, અમદાવાદ અને વર્ધા નજીક સેવાગ્રામ આશ્રમ ખાતે મોટા થયેલા તેમણે પોતાના પિતા અને આશ્રમના અન્ય રહેવાસીઓ જોડે શિક્ષણ મેળવ્યું હતું. તેમણે શિક્ષણ, કાંતણ અને ખાદી વણાટમાં નિપુણતા મેળવી હતી.[૩]
સ્વાતંત્ર્ય સેનાનીઓ નભકૃષ્ણ ચૌધરી અને માલતીદેવી ચૌધરીની પુત્રી ઉત્તરા ચૌધરી સાથેના લગ્ન પછી આ યુવાન જોડી સુરતથી ૬૦ કિમી દૂર આવેલા વેડછી ખાતે સ્થાયી થઇ. જ્યાં તેમણે નઇ તાલીમ શાળામાં શિક્ષક તરીકે કામ શરૂ કર્યું. વિનોબા ભાવે દ્વારા ભૂદાન આંદોલન શરૂ કરાયા પછી તેમણે ગુજરાતમાં પગપાળાં પ્રવાસ કરીને અમીરો પાસેથી જમીન લઇને ગરીબ જમીન વિહોણાં ખેડૂતોમાં વહેંચી હતી. તેમણે ભૂદાન આંદોલનનું મુખપત્ર ભૂમિપુત્ર શરૂ કર્યું અને ૧૯૫૯ સુધી તેના તંત્રી રહ્યા.[૨]
નારાયણ દેસાઈ વિનોબા ભાવે દ્વારા સ્થાપિત અને સામાજીક નેતા જયપ્રકાશ નારાયણના નેતૃત્વ હેઠળ સંચાલિત અખિલ ભારતીય શાંતિ સેના મંડળમાં જોડાયા. શાંતિ સેનાના જનરલ સેક્રટરી તરીકે,[૪] નારાયણ દેસાઈએ સમગ્ર દેશમાંથી શાંતિ સ્વયંસેવકોની ભરતી કરી જેમણે જાતિગત અથડામણો દરમિયાન સુલેહગીરી કરવામાં મદદ કરી.
તેમણે આંતરરાષ્ટ્રીય શાંતિ સેનાની સ્થાપના કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો અને તેઓ વોર રેઝિસ્ટર્સ ઇન્ટરનેશનલના ચેરમેન તરીકે ચૂંટાયા. પાકિસ્તાની શાંતિ સંગઠનની સાથે તેમને યુનેસ્કોનો આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર મળ્યો હતો.
તેઓ ભારતમાં કટોકટી લાદવાના વિરોધમાં સક્રિય હતા અને કટોકટીના કાયદાઓના વિરોધમાં સામયિકની શરૂઆત કરી હતી. જયપ્રકાશ નારાયણના સાથી તરીકે તેમણે જનતા પાર્ટીની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો, જે પ્રથમ મોટા બિન-કોંગ્રેસી પક્ષ તરીકે ઉભરી આવ્યો. તેમણે વડા પ્રધાન તરીકે મોરારજી દેસાઈનું નામ પસંદ કરવામાં પણ અગત્યનો ભાગ ભજવ્યો.
જયપ્રકાશ નારાયણના મૃત્યુ પછી તેઓ વેડછી ખાતે સ્થાયી થયા અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયની સ્થાપના કરી. આ સંસ્થા અહિંસા અને ગાંધી જીવનશૈલીની તાલીમ આપતી હતી. તેમણે પોતાની પિતા મહાદેવ દેસાઈને શ્રદ્ધાંજલિ આપતું ગાંધીજીનું જીવનવૃત્તાંત ચાર ભાગોમાં લખ્યું, જે તેમના પિતાનું સ્વપ્ન હતું અને જેલમાં ૧૫ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ અવસાન થવાથી અધૂરું રહ્યું હતું.
૨૦૦૪થી તેમણે 'ગાંધી-કથા' (મહાત્મા ગાંધીના જીવનનાં પ્રસંગોનું વર્ણન) કહેવાની સમગ્ર વિશ્વમાં શરૂઆત કરી. ગાંધીજીનું જીવનવૃત્તાંત ચાર ભાગોમાં ૨૦૦૦ પાનાંઓમાં લખાયેલું હતું. ગાંધીજીનું જીવનવૃત્તાંત પૂર્ણ કર્યા પછી તેમણે વિચાર્યું કે બહુ જૂજ લોકો આ પુસ્તક તેના કદ અને ઉંચી કિંમતને કારણે વાંચશે. તેમણે ગાંધીજીનો સંદેશ લોકોમાં પહોંચડાવા માટે નવીન વિચાર રજૂ કર્યો. તેમણે ગાંધી કથાની શરૂઆત કરી. રામાયણ અને ભાગવત કથાની જેમ તેમણે ગાંધી કથા કહી. સાત દિવસના ત્રણ કલાકો સુધી તેમણે ગાંધીજીના જીવન અને વિચારો રજૂ કર્યા. તેમણે કથા દરમિયાન તેમના દ્વારા લખાયેલા ગીતો પણ ગાયા. તેમની કથા પ્રેક્ષકો પર આધારિત રહેતી હતી. કેટલીક કથાઓમાં તેઓ ગાંધીજીની રાજકારણ પ્રવૃત્તિઓ વિશે કહેતા હતા અને અધિકારીને તેઓ ગાંધીજીના નેતૃત્વ સંચાલનના ગુણો વિશે કહેતા હતા. આ કથા દ્વારા લોકોમાં પ્રવર્તતી ગાંધીજી વિશેની કેટલીય ગેરસમજ દૂર થઇ. તેમણે ગાંધીજીના જીવન વિશે કેટલાય અપ્રકાશિત અને ન જાણીતાં પ્રસંગો રજૂ કર્યા હતા. આ કથા ભારત અને વિદેશમાં અત્યંત લોકપ્રિય બની હતી. નોંધવુ જરૂરી છે કે તેમણે કથાની શરૂઆત કરી ત્યારે તેમની વય ૮૧ વર્ષની હતી. તેઓ ૨૩ જુલાઇ ૨૦૦૭ થી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રહ્યા હતા, પણ નવેમ્બર ૨૦૧૪માં તેમણે પદ પરથી રાજીનામું આપ્યું હતું.[૨]
પાવન પ્રસંગો (૧૯૫૨) અને જયપ્રકાશ નારાયણ (૧૯૮૦) એમની ચરિત્રાત્મક પુસ્તિકાઓ છે. ગાંધી ક્યાંક હશે ભારતમાં ગીત-સંવાદોમાં લખાયેલી કટાક્ષિકા છે. સામ્યયોગી વિનોબા (૧૯૫૩), ભૂદાન આરોહણ (૧૯૫૬), મા ધરતીને ખોળે (૧૯૫૬), શાંતિસેના (૧૯૬૬), સંત સેવતાં સુકૃત વાધે (૧૯૬૭), સર્વોદય શું છે? (૧૯૬૮), ગાંધીવિચારો જૂનવાણી થઈ ગયા છે? (૧૯૬૯), અહિંસક પ્રતિકારની કહાણી (૧૯૭૫) વગેરે ગાંધીજીના આચારવિચારમાં રહેલી જીવનદ્રષ્ટિનું મૂલ્યાંકન કરતાં અને ભૂદાન પ્રવૃત્તિ વિશેનાં પુસ્તકો છે. સોનાર બાંગ્લા (૧૯૭૨) અને લેનિન અને ભારત (૧૯૭૬) ઇતિહાસ અને રાજકારણને લગતાં પુસ્તકો છે. વેડછીનો વડલો (૧૯૮૪)નું એમણે સંપાદન કર્યું છે. માટીનો માનવી (૧૯૬૪) અને રવિછબી (૧૯૭૯) એમના અનુવાદો છે.
૧૦ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ તેઓ કોમામાં સરી પડ્યા હતા. પણ, તેમાંથી સાજા થઇને તેઓ ચરખો પણ કાંતતા હતા. તેમને દૈનિક ક્રિયાઓમાં તકલીફ રહેતી હતી અને તેઓ પ્રવાહી ખોરાક પર હતા. ૧૫ માર્ચ ૨૦૧૫ના રોજ મહાવીર ટ્રોમા સેન્ટર, સુરત ખાતે તેમનું અવસાન થયું. તે જ દિવસે સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછી ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.[૨]