નાહરગઢ કિલ્લો ભારત દેશના રાજસ્થાન રાજ્યની રાજધાની જયપુર શહેરની ફરતે આવેલા અરવલ્લી ગિરિમાળાના પર્વતો ઉપર બનાવવામાં આવ્યો છે. અરવલ્લી ગિરિમાળાના છેવાડે આવેલ આમેરની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ કિલ્લાનું નિર્માણ સવાઇ રાજા જયસિંહ બીજાએ ઇ.સ. ૧૭૩૪ના વર્ષમાં કરાવ્યું હતું.
નાહરગઢ કિલ્લા સાથે એક કિવદંતી જોડાયેલ છે, એ પ્રમાણે કોઇ નાહરસિંહ નામ ધરાવતા એક રાજપૂતની પ્રેતાત્મા આ દુર્ગની જગ્યામાં ભટક્યા કરતી હતી. કિલ્લાના નિર્માણકાર્યમાં અડચણો પણ ઉપસ્થિત થતી હતી. અંતે તાંત્રિકો પાસે સલાહ લેવામાં આવી અને આ કિલ્લાને પ્રેતાત્માના નામ પરથી નાહરગઢ રાખવાથી પ્રેતવિઘ્ન દૂર થઇ ગયું હતું. [૧] [૨] [૩]
૧૯મી શતાબ્દીમાં સવાઇ રામસિંહ અને સવાઇ માધોસિંહ દ્વારા પણ કિલ્લાની અંદર ભવનોનું નિર્માણકાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું, જેની હાલત હાલ ઠીક પ્રમાણમાં સારી છે અને પુરાણાં નિર્માણો જીર્ણ થવા લાગ્યાં છે. અહીંના રાજા સવાઇ રામસિંહની નવ રાણીઓ માટે અલગ અલગ આવાસ ખંડો બનાવવામાં આવ્યા છે, જે સૌથી સુંદર પણ છે. એમાં શૌચ આદિ કાર્યો માટે આધુનિક સવલતો વ્યવસ્થા કરવામાં આવી હતી. કિલ્લાના પશ્ચિમ ભાગમાં “પડાવ” નામનું અક રેસ્ટોરન્ટ પણ છે, જ્યાં ખાન પાનની પૂરી વ્યવસ્થા છે. અહીંથી સુર્યાસ્ત ખૂબ જ સુંદર દેખાય છે.[૪]