પદયાત્રા એ રાજકારણીઓ અથવા અગ્રણી નાગરિકો દ્વારા સમાજના જુદા જુદા ભાગો સાથે વધુ નજીકથી સંપર્ક કરવા, તેમને લગતા મુદ્દાઓ વિશે શિક્ષિત કરવા તથા તેમના સમર્થકોને જાગૃત કરવા માટે હાથ ધરવામાં આવેલી યાત્રા છે. પદયાત્રા અથવા પગપાળા યાત્રા પવિત્ર યાત્રાધામો અથવા તીર્થ સ્થળો માટે હાથ ધરવામાં આવે છે.[૧]
મહાત્મા ગાંધીએ ૧૯૩૦માં દાંડી સત્યાગ્રહ તરીકે ઓળખાતી દાંડીની પ્રસિદ્ધ પદયાત્રા શરૂ કરી હતી. ૧૯૩૩-૩૪ના શિયાળામાં ગાંધીજીએ અસ્પૃશ્યતા વિરુદ્ધ દેશવ્યાપી પદયાત્રા કરી હતી.[૨] બાદમાં, ગાંધીવાદી વિનોબા ભાવેએ પણ એક પદયાત્રા શરૂ કરી હતી, જે ૧૯૫૧ માં તેમના ભૂદાન આંદોલનનો એક ભાગ હતો. તેલંગાણા પ્રદેશથી શરૂ કરીને ભાવેએ બોધગયા ખાતે તેમની પદયાત્રા પુરી કરી હતી.[૩] ૬ જાન્યુઆરી, ૧૯૮૩ના રોજ ચંદ્રશેખરે લોકોની સમસ્યાઓને સમજવા માટે કન્યાકુમારીથી પોતાની પદયાત્રા શરૂ કરી હતી. ૨૫ જૂન, ૧૯૮૩ સુધી ચાલેલી આ પદયાત્રા દિલ્હીના રાજ ઘાટ સુધી કુલ ૪૨૬૦ કિલોમીટરના અંતરે પૂરી થઈ હતી.[૪]
રાજગોપાલ, પીવીના નેતૃત્ત્વમાં ૨૦૦૭માં, ૨૫૦૦૦ જમીનવિહોણા ખેડૂતો સાથે ગ્વાલિયરથી દિલ્હીની ૨૮ દિવસની કૂચ કરી હતી.[સંદર્ભ આપો] ૧૯૮૬માં રેમોન મેગ્સેસે એવોર્ડ વિજેતા રાજેન્દ્રસિંહે ખેતતળાવ અને ચેકડેમના નિર્માણ અને પુનરુત્થાનને પ્રોત્સાહન આપવા રાજસ્થાનના ગામડાઓમાં પદયાત્રા શરૂ કરી હતી.[૫]
વાય. એસ. રાજશેખર રેડ્ડીએ આંધ્રપ્રદેશના અનેક જિલ્લાઓમાં ૧૪૭૫ કિલોમીટર સુધી ત્રણ મહિના લાંબી પદયાત્રા કરી હતી. તેમણે ૨૦૦૪માં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં પોતાની પાર્ટીને વિજય અપાવ્યો હતો અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ વાય. એસ. જગનમોહન રેડ્ડીએ ૬ નવેમ્બર, ૨૦૧૭ના રોજ પ્રજાસંકલ્પ યાત્રા નામથી ૩૬૦૦ કિલોમીટર લાંબી પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો.
પશ્ચિમ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના વરકરીઓ દેહુ, અલંદી અને પંઢરપુર જેવા ધાર્મિક સ્થળોએ નિયમિતપણે જાય છે. અષાઢી એકાદશી - કાર્તિકી એકાદશી, માઘી એકાદશી અને ચૈત્ર એકાદશી જેવા લોકપ્રિય દિવસોમાં યાત્રાળુઓ વિઠોબાની પૂજા કરવા પગપાળા પંઢરપુર પહોંચે છે.[૬] ગુજરાતમાં પણ ભાદરવી પૂનમના દિવસે અંબાજીની પદયાત્રાનું ધાર્મિક મહત્ત્વ છે.
|archive-date=
(મદદ)