ભારત માતા (હિન્દી થી સંસ્કૃત भारताम्बा; અમ્બા અંબે એટલે મધર, જેને અંગ્રેજીમાં મધર ઈંડિયા પણ કહેવામાં આવે છે) એ ભારત દેશના માતા કે દેવી તરીકેનું વ્યક્તિકરણ અથવા અવતાર છે.[૧] તેમને સામાન્ય રીતે ભારતીય રાષ્ટ્રધ્વજ ધરાવતી, કેસરી સાડી પહેરેલી સ્ત્રી તરીકે દર્શાવવામાં આવે છે. કેટલીકવાર તે સિંહ સાથે હોય છે.[૨]
ભારત માતા શબ્દ આધુનિક સાહિત્યમાં ૧૯મી સદીના અંતમાં બંગાળમાં મળે છે. તે બંગાળી ભાષાની લોકપ્રિય નવલકથા આનંદમઠ (૧૮૮૨)માં હિન્દુ દેવીઓ દુર્ગા અને કાલીથી અવિભાજ્ય સ્વરૂપે બહોળા પ્રમાણમાં શ્રોતાઓ સુધી પહોંચ્યો હતો. ૧૯૦૫માં બંગાળ પ્રાંતના વિવાદાસ્પદ વિભાજન બાદ સર સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા આયોજિત બ્રિટિશ બનાવટની ચીજવસ્તુઓના બહિષ્કાર દરમિયાન તેમને વ્યાપક માન્યતા મળી હતી.[૩] વિવિધ વિરોધ સભાઓમાં, તે વંદે માતરમ્ (હું માતાને નમન કરું છું) જયઘોષના નારામાં પ્રતિધ્વંધિત થાય છે.
ભારત માતાને ૧૯૦૪માં અવનીન્દ્રનાથ ટાગોરે બંગાળ સ્કૂલ ઓફ આર્ટ સાથે સંકળાયેલી શૈલીમાં ચાર શસ્ત્રધારી દેવી તરીકે ચીતર્યા હતા, પરંતુ ઘણે અંશે તેને હિન્દુ ધર્મના પૌરાણિક વૈદિક દેવી શક્તિના વિવરણો પર આધારિત માનવામાં આવે છે, જે એક સર્વોચ્ચ દેવીનો અવતાર છે અને આ ચિત્ર કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે.
૧૯મી સદીના અંત સુધીમાં, બ્રિટીશ રાજ દ્વારા તૈયાર કરવામાં આવેલા અને ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વે પર આધારિત ભારતના નકશાઓ વ્યાપકપણે ઉપલબ્ધ થયા હતા. નકશાની પૃષ્ઠભૂમિ સાથે, ભારત માતા ૧૯૦૯માં કવિ સુબ્રમણ્યમ ભારતીના તમિલ ભાષા-સામયિક વિજયાના મુખપૃષ્ઠ પર પ્રકાશિત થયા હતા. એ પછીના દાયકાઓમાં તેઓ લોકપ્રિય કળાઓમાં - સામયિકોમાં, પોસ્ટરોમાં અને કેલેન્ડરોમાં – ભારતીય રાષ્ટ્રવાદનું પ્રતીક બનીને ભારતભરમાં પ્રગટ થયાં. ભારતમાં ભારત માતાના ઘણા જૂજ મંદિરો આવેલા છે. આ પ્રકારનું પ્રથમ ઉદ્ઘાટન મહાત્મા ગાંધીએ ૧૯૩૬માં વારાણસીમાં કર્યું હતું. આ મંદિરમાં તેના ભોંયતળિયે આરસપહાણમાં શિલ્પિત ભારતનો મોટો નકશો છે પરંતુ તેમાં મૂળરૂપમાં મૂર્તિ અથવા પ્રતિમાનો અભાવ છે. મંદિરની એક દિવાલ હિન્દી ભાષાના રાષ્ટ્રવાદી કવિ મૈથિલી શરણ ગુપ્ત દ્વારા ઉદ્ઘાટન માટે લખાયેલી એક કવિતાને પ્રદર્શિત કરે છે અને મંદિરને તમામ જાતિઓ અને ધર્મો માટે ખુલ્લું રાખવાની ઘોષણા કરે છે. મંદિરના મોટાભાગના મુલાકાતીઓ વિદેશી પ્રવાસીઓ છે.[૪] ભારતીય મુસ્લિમોએ ભારતમાતાના નામનો જાપ કરવાનો વિરોધ કર્યો છે કારણ કે ઇસ્લામમાં માનવ સ્વરૂપોને દેવતા તરીકે રજૂ કરી શકાતા નથી.
ભારતમાતાની છબી ૧૯ મી સદીના અંતમાં ભારતીય સ્વતંત્રતા ચળવળ સાથે રચાઈ હતી. ઈ. સ. ૧૮૭૩ માં સૌ પ્રથમ કિરણચંદ્ર બેનરજી દ્વારા "ભારત માતા" નામનું નાટક રજૂ થયું હતું. આ નાટક ઈ. સ. ૧૭૭૦ના બંગાળના દુકાળ કાળખંડને દર્શાવે છે જેમાં એક મહિલા અને તેના પતિ જંગલમાં જાય છે અને તેમને ક્રાંતિકારીઓ સામા મળે છે. તે સમયે એક પુજારી તેમને મંદિરમાં લઈ જાય છે અને તેમને ભારત માતા બતાવવામાં આવે છે. આથી પ્રેરણા લઈ તેઓ ક્રાંતિકારીઓનું નેત્તૃત્વ કરે છે અને તેના પરિણામે અંગ્રેજોનો પરાજય થાય છે.[૫] માનુષી નામનું સામયિક ભારત માતાના ઉલ્લેખનું મૂળ ૧૮૬૬માં અનામી લેખક તરીકે પ્રસિદ્ધ થયેલી પણ અસલમાં ભૂદેબ મુખોપાધ્યાય દ્વારા લિખિત વ્યંગ રચના "ઉનબિમસા પુરાણ" (ઓગણીસમો પુરાણમાં) માં જણાવે છે.[૬] બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ૧૮૮૨ માં આનંદમઠ નામે એક નવલકથા લખી હતી અને વંદે માતરમ્ ગીતની શરૂઆત કરી.[૭] [૮] ટૂંક સમયમાં આ ગીત ભારતમાં ઊભરતી સ્વતંત્રતા ચળવળનું ગીત બન્યું હતું. જેમ જેમ બ્રિટિશ રાજે ભારતના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ દ્વારા કાર્ટોગ્રાફિક નક્શો બનાવ્યો, ભારતીય રાષ્ટ્રવાદીએ તેને રાષ્ટ્રવાદના ચિહ્ન તરીકે વિકસાવ્યો. ઈ. સ. ૧૯૨૦ ના દાયકામાં, તે તસવીર વધુ રાજકીય બની હતી, જેમાં મહાત્મા ગાંધી અને ભગત સિંહની છબીઓનો ઉમેરવામાં આવી. આ સમયગાળા દરમિયાન ત્રિરંગો ધ્વજ પણ શામેલ કરવાનું શરૂ કરાયું હતું. ઈ. સ. ૧૯૩૦ ના દાયકામાં, આ છબી ધાર્મિક વ્યવહારમાં દાખલ થઈ. ઈ. સ. ૧૯૩૬માં શિવ પ્રસાદ ગુપ્ત દ્વારા બનારસમાં ભારત માતા મંદિર બાંધવામાં આવ્યું હતું તેનું મહાત્મા ગાંધી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં કોઈ પ્રતિમા નથી પરંતુ ભારતના નકશાની ફક્ત આરસની કોતરેલો તખ્તો છે.
બિપિનચંદ્ર પાલે હિન્દુ દાર્શનિક પરંપરાઓ અને ભક્તિપ્રથાઓ સાથે આદર્શવાદ સહિત અને આદર્શવાદી શબ્દોમાં તેનો અર્થ વિસ્તૃત કર્યો. તે એક પ્રાચીન આધ્યાત્મિક સારનું પ્રતિનિધિત્વ કરે છે, બ્રહ્માંડનો ક્ષણિક વિચાર તેમજ સાર્વત્રિક હિન્દુત્વ અને રાષ્ટ્રત્વને વ્યક્ત કરે છે. [૯] અબનીન્દ્રનાથ ટાગોરે ભારત માતાને કેસરી રંગના ઝભ્ભો પહેરેલ, ચાર હાથ ધરાવતી, હાથમાં હસ્તપ્રતો, ચોખાના પૂળા, માળા અને સફેદ કાપડ ધરેલ હિન્દુ દેવી તરીકે દર્શાવી હતી.[૧૦] ભારતમાતાની છબી સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ભારતીયોમાં રાષ્ટ્રવાદી લાગણી પેદા કરવા માટેનું એક ચિહ્ન હતી. ચિત્રકામના પ્રશંસક ભગિની નિવેદિતાએ અભિપ્રાય આપ્યો હતો કે ચિત્ર શુદ્ધ અને કાલ્પનિક હતું, જેમાં ભારતમાતા તેની પાછળ લીલી ધરતી પર ઊભા હતા, વાદળી આકાશ હતું, પાસેના ચાર કમળ અને ચાર હાથ ચાર હાથ દૈવી શક્તિ દર્શાવતા હતા. સફેદ પ્રભામંડળ અને નિષ્ઠાવાન આંખો; અને ચાર હાથમાં શિક્ષા-દીક્ષા-અન્ન-વસ્ત્ર ના ચિન્હો એ તેમની આ દેશના બાળકોને ભેટ હતી.[૧૧]
ભારતીય સ્વતંત્રતા કાર્યકર સુબ્રમણિયા ભારતીએ ભારત માતાને ગંગાની ભૂમિ તરીકે જોયું. તેમણે ભારત માતાની ઓળખ પરાશક્તિ તરીકે કરી.[૧૨] તેઓ એમ પણ કહે છે કે તેમને તેમની ગુરુ ભગિની નિવેદિતા સાથેની મુલાકાત દરમિયાન ભારત માતાની દર્શન મળ્યા.
કલ્યાણી દેવકી મેનન ''એવરીડે નેશનલિઝમ: વિમેન ઑફ હિન્દુ રાઇટ ઇન ઇન્ડિયા" નામના તેમના પુસ્તકમાં દલીલ કરે છે કે "ભારત માતા તરીકેની ભારતની દ્રષ્ટિ હિન્દુ રાષ્ટ્રવાદના રાજકારણ પર ગહન અસર ધરાવે છે" અને હિન્દુ દેવી તરીકે ભારતનું નિરૂપણ સૂચિત કરે છે રાષ્ટ્રની રક્ષા માટેના રાષ્ટ્રવાદી સંઘર્ષમાં ભાગ લેવો એ ફક્ત દેશભક્તિ જ નહીં પરંતુ તમામ હિન્દુઓની ધાર્મિક ફરજ પણ છે.[૧૩] આ સંગઠનના કારણે પ્યુરાઇન્ટિકલ મુસ્લિમો [કટ્ટરપંથીઓ] સાથે વિવાદ ઊભો થયો છે જેઓ ભગવાનની એકરૂતામાં વિશ્વાસ કરે છે અને અલ્લાહ સિવાયના ભગવાનમાં (આ કિસ્સામાં ભારત માતા) માનતા નથી, [૧૪] [૧૫] . [૧૬] જો કે, મુસ્લિમ બહુમતી ધરાવતા ખાસ કરીને બેંગ્લાદેશી રાષ્ટ્રવાદીઓ, બાંગ્લાદેશના સમાન સ્વરૂપને બંગામાતા ("મધર બાંગ્લાદેશ" ) તરીકે પૂજે છે . [૧૭] [૧૮] [૧૯] [૨૦]
"ભારત માતાની કી જય" એ ભારતીય ભૂમિસેના નું સૂત્ર છે. [૨૧] મુસ્લિમોની બહુમતી ધરાવતા ઇન્ડોનેશિયાની સ્થળ સેના, નૌસેના વગેરે જેવા સહિત કેટલાક ડઝન જેટલા રાષ્ટ્રીય સશસ્ત્ર એકમો પણ હિન્દુ-મૂળના સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરે છે.[૨૨] ઉદાહરણ તરીકે ઇન્ડોનેશિયન એરફોર્સનું સૂત્ર "સ્વભુઆના પક્ષ" ("માતૃભૂમિની પાંખો") અને ઇન્ડોનેશિયન રાષ્ટ્રીય પોલીસનું સૂત્ર રાષ્ટ્ર સેવોકોત્તમ અથવા " राष्ट्र सेवकोटामा " ("રાષ્ટ્રના મુખ્ય સેવકો") છે. [૨૩]
ભારત માતા મંદિર વારાણસીના મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ કેમ્પસમાં આવેલું છે. [૨૪] આ મંદિરમાં મૂર્તિ તરીકે આરસની તક્તિમાં ભારતનો નક્શો કોતરેલો છે.[૨૫]
રાષ્ટ્રવાદી શિવપ્રસાદ ગુપ્તા અને દુર્ગા પ્રસાદ ખત્રી તરફથી ભેટ તરીકે આ મંદિરનું ઉદઘાટન મહાત્મા ગાંધીએ ૧૯૩૬ માં કર્યું હતું. [૨૪] મહાત્મા ગાંધીએ કહ્યું, "હું આશા રાખું છું કે હરિજનો સહિતના તમામ વર્ગ, જાતિઓ, અને ધર્મના લોકો માટે વૈશ્વિક મંચ તરીકે સેવા આપનાર આ મંદિર દેશમાં ધાર્મિક એકતા, શાંતિ અને પ્રેમને પ્રોત્સાહન આપવાના એક મહાન માર્ગ તરીકે આગળ વધશે."
સ્વામી સત્યમિત્રાનંદ ગિરીએ હરિદ્વારમાં ગંગાના કાંઠે મંદિરની સ્થાપના કરી હતી. તે ૮ માળ ધરાવે છે અને તેની ઊંચાઈ ૧૮૦ ફુટ ઉંચી છે. તેનું ઉદ્ઘાટન ઈન્દિરા ગાંધી દ્વારા ૧૯૮૩ માં કરવામાં આવ્યું હતું. તેના માળ પૌરાણિક કથાઓ, ધાર્મિક દેવતાઓ, સ્વતંત્રતા સેનાનીઓ અને નેતાઓને સમર્પિત છે. [૨૬]
કોલકતાના જેસોર રોડ પર કોલકાતા એરપોર્ટથી માંડ ૨ કિ. મી. દૂર એક ભારતમાતાનું મંદિર આવેલું છે. અહીં, ભારત માતા (માતૃભૂમિ) ને "જગત્તારિણીની દુર્ગા " ના રૂપે દર્શાવવામાં આવી છે. આનું ઉદઘાટન ૧૯ ઑક્ટોબર ૨૦૧૫ (તે વર્ષનો દુર્ગાપૂજાનો મહાશક્તિ દિવસ) ના દિવસે [૨૭] પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી કેશરીનાથ ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતની આધ્યાત્મિક સોસાયટી દ્વારા 'વંદે માતરમ્ ની ૧૪૦ મી વર્ષગાંઠ નિમિત્તે આ મંદિર નિર્માણની પહેલ કરવામાં આવી હતી.આને જતિયા શક્તિપીઠ કહે છે.
જુલાઈ ૨૦૧૯ માં, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે મહાભારત કાળના - જ્યોતિસાર તીર્થ પાસે ૫ એકર જમીન ભારત માતાના આગામી મંદિરના નિર્માણ માટે "જુના અખાડા" ના "ભારત માતા ટ્રસ્ટ" ને આપી હતી.[૨૮]
{{cite web}}
: Check date values in: |access-date=
and |date=
(મદદ)
{{cite web}}
: Check date values in: |access-date=
and |archive-date=
(મદદ)CS1 maint: archived copy as title (link)
{{cite news}}
: Check date values in: |access-date=
and |date=
(મદદ)
{{cite web}}
: Check date values in: |access-date=
and |archive-date=
(મદદ)
{{cite web}}
: Check date values in: |access-date=
and |date=
(મદદ)
{{cite news}}
: Check date values in: |access-date=
and |date=
(મદદ)
{{cite web}}
: Check date values in: |access-date=
(મદદ)
{{cite web}}
: Check date values in: |access-date=
and |archive-date=
(મદદ)
{{cite web}}
: Check date values in: |access-date=
and |archive-date=
(મદદ)