ભારતના રાષ્ટ્રપતિપદની ચૂંટણી ૧૭ જુલાઇ, ૨૦૧૭ના રોજ થઇ ગઇ, મતગણતરી ૨૦ જુલાઇ, ૨૦૧૭ના રોજ, હાલના રાષ્ટ્રપતિની અવધી પૂર્ણ થવાનાં પાંચ દિવસ અગાઉ કરવામાં આવી હતી.[૧] ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ પદ વધુમાં વધુ કેટલી વખત ગ્રહણ કરી શકાય તેની કોઈ ચોક્કસ સીમા બાંધેલી ન હોય, પદધારી રાષ્ટ્રપતિ પણ ફરી ઉમેદવારી માટે લાયક ગણાય છે.[૨]
રાષ્ટ્રપતિની ચૂંટણી ઈલેક્ટોરલ કોલેજ (મતદારગણ) દ્વારા કરવામાં આવે છે જે સંસદના બંન્ને ગૃહો, લોક સભા અને રાજ્ય સભાનાં ચૂંટાયેલા સભ્યો, ૨૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી તથા પોંડિચેરીની ધારાસભાઓનાં ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા બનેલી હોય છે.[૫] ૨૦૧૭માં, મતદારગણમાં કુલ ૭૭૬ સાંસદ અને ૪૧૨૦ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. મતદારગણનાં કુલ મતોનું મુલ્ય ૧૦,૯૮,૮૮૨ છે. જેમાંથી બહુમતી માટે ૫,૪૯,૪૪૨ મતો જરૂરી ગણાશે. ૨૦૧૭ની પેટાચૂંટણીઓ અને રાજ્યોની ચૂંટણીઓ પછી એન.ડી.એ.ને આ બહુમતિ મતમાં આશરે ૨૦,૦૦૦ મતની ઘટ પડે છે.[૬]
રાષ્ટ્રપતિપદના ઉમેદવાર નિયુક્ત થવા માટે ઓછામાં ઓછા ૫૦ મતદાર દરખાસ્તકર્તા તરીકે અને ૫૦ મતદાર ટેકેદાર તરીકે હોવા જરૂરી છે. ચૂંટણી એકમાત્ર બદલી શકાતા મત દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્ત્વ અનુસાર યોજવામાં આવે છે. મતદાન ગુપ્ત મતદાન હોય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા ભારતીય બંધારણના ૫૫ મી કલમ અનુસાર કરવામાં આવે છે.[૭][૨]