હિન્દૂ પૌરાણિક કથાઓ પ્રમાણે, મહિષાસુર એક અસુર હતો. મહિષાસુર ના પિતા રંભ, અસુરોના રાજા હતા જે એક વખત જળમાં રહેતી ભેંસ સાથે પ્રેમમાં પડ્યા અને પરિણામ સ્વરૂપે મહિષાસુરનો જન્મ થયો. આ કારણે મહિષાસુર ઇચ્છાનુસાર ભેંસ તથા મનુષ્ય અવતાર ધારણ કરી શકતો હતો. સંસ્કૃતમાં મહિષનો અર્થ ભેંસ થાયછે.
મહિષાસુર સૃષ્ટિકર્તા બ્રહ્મા નો મહાન ભક્ત હતો અને બ્રહ્માજીએ મહિષાસુરને વરદાન આપ્યુ હતુ કે, કોઇપણ દેવતા તથા દાનવ તેને પરાસ્ત કરી શકશે નહી.
ત્યારબાદ મહિષાસુર સ્વર્ગલોકના દેવતાઓને પરેશાન કરવા લાગ્યો અને પૃથ્વી પર પણ ઉત્પાત કરવા લાગ્યો. મહિષાસુરે સ્વર્ગ પર આક્રમણ કરીને ઇન્દ્રને હરાવી સ્વર્ગલોક પર ક્બ્જો કરી કરી લીધો તથા સૌ દેવતાઓને ભગાડી મુક્યા. દેવગણ પરેશાન થઈને ત્રિમૂર્તી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે સહાયતા માટે ગયા. દેવગણે એકત્ર થઈને ફરી મહિષાસુર સાથે યુધ્ધ કર્યુ પરંતુ તેને હરાવી ન શક્યા.
કોઇ ઉપાય ન મળતા દેવતાઓએ મહિષાસુરના વિનાશ માટે માં દુર્ગાનુ સર્જન કર્યુ જેને શક્તિ તથા પાર્વતીના નામથી પણ ઓળખવામાં આવેછે. દેવી દુર્ગાએ મહિષાસુર પર આક્રમણ કરીને મહિષાસુર સાથે નવ દિવસ સુધી યુધ્ધ કરી દસમાં દિવસે તેનો વધ કર્યો. આ દિવસની ઉજવણી હિંદુઓ દસ દિવસનો તહેવાર દુર્ગા પૂજા તથા નવરાત્રી તેમજ દશેરા તરીકે ઉજવેછે. જે અનિષ્ટ પર સારાનુ પ્રતીક છે.