રાજેન્દ્ર શુક્લ | |
---|---|
![]() અમદાવાદ, મે ૨૦૧૭ | |
જન્મ | ૧૨ ઓક્ટોબર ૧૯૪૨ બાંટવા, ગુજરાત, ભારત |
વ્યવસાય | કવિ, વિવેચક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નોંધપાત્ર પુરસ્કારો |
|
સહી | ![]() |
રાજેન્દ્ર અનંતરાય શુકલ ગુજરાતી કવિ છે.
તેમનો જન્મ ૧૨ ઓક્ટોબર ૧૯૪૨ના રોજ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે વિદ્યાબહેન અને અનંતરાય શુક્લને ત્યાં થયો હતો. માધ્યમિક શિક્ષણ તેમણે ગામમાં પૂર્ણ કર્યું અને ત્યારબાદ તેમણે અમદાવાદની એલ. ડી. આર્ટસ્ કોલેજ ખાતે ૧૯૬૫માં સંસ્કૃત અને પ્રાકૃત વિષયોમાં બી.એ. અને ૧૯૬૭માં એમ.એ.ની પદવીઓ મેળવી. ૧૯૮૨ સુધી તેમણે વિવિધ સંસ્થાઓમાં શિક્ષણ આપ્યું.[૧] તેઓ આદ્યકવિ નરસિંહ મહેતાની કવિતાઓથી પ્રભાવતિ થયા હતા.[૨][૩]
રાજેન્દ્ર શુક્લાના પત્નિ નયના જાની ગુજરાતી કવિયત્રી છે.[૪] દાહોદમાં સંસ્કૃતનું અધ્યાપન કર્યા બાદ તેમણે સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લઇને પોતાના સંતાનોને ઘરે જ શિક્ષણ આપવાનું એક પ્રયોગ તરીકે શરૂ કર્યું. હાલમાં તેઓ અમદાવાદમાં વસે છે.[૩]
એમના કાવ્યસંગ્રહો કોમલ રિષભ (૧૯૭૦) અને અંતર ગંધાર (૧૯૮૧)માં ગ્રામજીવન અને નગરજીવનના સ્વાનુભવથી, મનુષ્યને પૂરા રસથી ચાહવાની વૃત્તિથી અને સાહિત્ય ઉપરાંત સંગીત, જ્યોતિષ, ઇતિહાસ, તત્વજ્ઞાનાદિ વિષયોના અધ્યયનથી કેળવાયેલી એમની કવિ તરીકેની સજ્જતા જોઈ શકાય છે. એમની કવિતામાં અદ્યતન ભાવ-વિભાવનો તેમ જ કલાન્તિ, નૈરાશ્ય અને વિચ્છિન્નતાના અનુભવનો સ્પર્શ પમાય છે. કૃતિનિર્મિતિમાં ઝીણું નકશીકામ કરવાનો કલા-કસબ, કલા-આકૃતિ અંગેની સભાનતા અને પ્રયોગશીલ વલણને લીધે એમની કવિતા તાજગીસભર છે. એમના પ્રયોગોને આપણી બધી પરંપરાઓની સમૃદ્ધ ભૂમિકા સાંપડી છે. આધુનિક જગતનો પૂરો પરિવેશ આ કવિ પાસે છે; પણ એમનું માનસ, એમનું કવિસંવિત્ નર્યું ભારતીય છે. એ જેટલું પ્રશિષ્ટ છે તેટલું જ તળપદ છે. એમણે છાંદસ-અછાંદસ કાવ્યો અને ગીતો રચ્યાં છે, પરંતુ એમની વિશેષ સિદ્ધિ ગઝલમાં છે.
તેમણે છાંદસ-અછાંદસ કાવ્યો અને ગીતો લખ્યા છે. પરંતુ તેમની વિશેષ સિધ્ધિ ગઝલમાં છે. આધુનિક જ્ગતનો પૂરેપૂરો પરિવેશ આ કવિ પાસે છે. પણ એમનું માનસ, એમનું કવિ સંવિતનર્યુ ભારતીય છે. એ જેટલું પ્રશિષ્ટ છે, તેટલું જ તળપદ છે. એમના પ્રયોગોને આપણી પરંપરાઓની સમૃધ્ધ ભુમિકા સાંપડી છે. એમની આજ સુધીની કાવ્યયાત્રા ગઝલસંહિતામાં પાંચ ભાગમાં ગ્રંથસ્થ છે.
સોરઠમાં જન્મેલા અને ગિરનારની ગોદમાં ઊછરેલા આ કવિના સર્જક વ્યક્તિત્વ ઘડવામાં જૂનાગઢ, ગિરનાર અને નરસિંહ મહેતા સાથેના ભાવાત્મક અનુસંધાનોનો નોંધપાત્ર ફાળો છે. જૂનાગઢમાં રાજેન્દ્રભાઈને પ્રિન્સિપાલ તખ્તસિંહ પરમાર ગુરૂ જેવા મળ્યા. વળી તેઓ મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’, પાજોદ દરબાર, કવિશ્રી રુસ્વા મઝલૂમી જેવા સર્જકોના સંપર્કમાં આવ્યા. અહીં એમણે 'મંગળવારિયુ'અને 'મિલન' સંસ્થાના નેજા હેઠળ થતી કાવ્યપ્રવૃતિ ઉપકારક નિવડી.
રાજેન્દ્ર શુક્લ માત્ર ૨૦ વર્ષની વયે ઇ.સ. ૧૯૬૨માં એમનું પ્રથમ કાવ્ય કુમાર માં પ્રગટ થયું અને ગુજરાતને એક સ્વતંત્ર સર્ગશક્તિવાળા યુવા સર્જકનો પરિચય થયો. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ કોમલ રિષભ ઇસ ૧૯૭૦ માં પ્રકાશિત થયો. ઇસ ૧૯૭૨ માં સ્વવાચકતાની શોધરુપે બીજા કાવ્યો મળ્યાં અને ઇસ ૧૯૮૧ માં અંતરગાંધાર સંગ્રહ મળ્યો. ત્યાર બાદ એમનું સાતત્યપુર્ણ રીતે ચાલતુ રહ્યું. રાજેન્દ્ર શુક્લ ની ગઝલ એટલે ઉર્દૂ, ગુજરાતી અને સંસ્કૃતનો મધુર સમન્વય. જો કે ગીત અને છંદોબધ્ધ તેમજ અછાંદસ રચનાઓમં પણ તેમણે ઊંચું ગજું દાખવ્યું છે. તેમની ભાષા પ્રાસાદિક અને ઊંચીં કોટીની છે. તેમની કવિતામાં મનુષ્યને રસથી ચાહવાની વૃત્તિ અને સાહિત્ય ઉપરાંત ઇતિહાસ, ફિલસૂફી વગેરેના અધ્યયનથી કેળવાયેલી એમની કવિની સજ્જતા જોઇ છે. કૃતિમાં ઝીણું નક્શીકામ કરવાના એમના કલા-કસબ ને લીધે એમની કવિતામાં તાજ્ગીસભર લાગે છે.
અવાજ જુદો, તમને ખબર નથી, ફૂલ, સામાય ધસી જઇયે, ઈચ્છાની આપમેળે, ગઝલ સંહિતા, તું કોણ છે?, પગલાં કુંકુમઝરતાં, બદલું છુ, ભરથરી-૧, ભરથરી-૨, ભરથરી-૩, મેં દીઠા છે!, સામા ગામનું સાવ છેવાડું ખોરડું.
એમના પ્રથમ કાવ્યસંગ્રહ કોમલ રિષભ ને રમેશ પારેખ ના ક્યાં સંગ્રહ સાથે સંયુક્તરુપે ગુજરાત સરકારનું પારિતોષિક મળ્યું હતું. બીજો સંગ્રહ અંતર ગાંધાર પણ ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત થયો. આ સંગ્રહને ઇસ ૧૯૮૦-૮૧મં 'કવિ શ્રી ન્હાનાલાલ' પારિતોષિક અને 'ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક' પણ મળ્યું.[૩][૧] ૨૦૦૫માં તેમને ગઝલ સંહિતા માટે ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમને ૨૦૦૬માં કવિતાનો સર્વોચ્ચ પુરસ્કાર નરસિંહ મહેતા એવોર્ડ મળ્યો હતો.[૫] ૨૦૦૬માં તેમને રણજિતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. તેમને ગઝલ સંહિતા માટે ૨૦૦૭માં સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો.[૬] ૨૦૦૮માં તેમને નર્મદ ચંદ્રક, ૨૦૦૯માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર અને ૨૦૦૧માં લેખરત્ન અને કલાપી પુરસ્કાર મળ્યો હતો.