![]() | આ લેખ English ભાષામાં રહેલા સંબંધિત લેખ વડે વિસ્તૃત કરી શકાશે. (૨૦૨૩)
|
રુદ્રમહાલય મંદિર | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
![]() રુદ્રમહાલયના તોરણના ખંડેર, ૧૮૭૪ | |||||||||||||||
અન્ય નામો | રુદ્રમાળ | ||||||||||||||
સામાન્ય માહિતી | |||||||||||||||
સ્થિતિ | ખંડેર | ||||||||||||||
સ્થાન | સિદ્ધપુર, પાટણ જિલ્લો, ગુજરાત | ||||||||||||||
દેશ | ભારત | ||||||||||||||
અક્ષાંશ-રેખાંશ | 23°55′09″N 72°22′45″E / 23.91917°N 72.37917°E | ||||||||||||||
બાંધકામની શરૂઆત | ૯૪૩ | ||||||||||||||
ખૂલેલ | ૧૧૪૦ | ||||||||||||||
તોડી પડાયેલ | ૧૨૯૬ અને ૧૪૧૪ | ||||||||||||||
તકનિકી માહિતી | |||||||||||||||
બાંધકામ સામગ્રી | રેતીયા પથ્થરો | ||||||||||||||
માળની સંખ્યા | ૨ | ||||||||||||||
ઓળખ | રાષ્ટ્રીય મહત્વનું સ્મારક N-GJ-164 | ||||||||||||||
|
રુદ્રમહાલય મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીનો એક સિદ્ધપુર તાલુકાના મુખ્ય મથક સિદ્ધપુર નગરમાં આવેલ એક ખંડિત મંદિર સંકુલ અને પ્રાચીન સ્થાપત્ય છે. તેનું બાંધકામ ઇ.સ. ૯૪૩માં સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ શરૂ કરાવ્યું હતું અને ૧૧૪૦માં સિદ્ધરાજ જયસિંહના કાળમાં પૂર્ણ થયું હતું. આ મંદિરનો વિનાશ પહેલાં અલાઉદ્દીન ખિલજી અને ત્યારબાદ અહમદશાહ પહેલા (૧૪૧૦-૪૪) વડે કરાયો હતો અને તેણે મંદિરનો સંપૂર્ણ નાશ કરીને તેના એક ભાગને મસ્જિદમાં ફેરવ્યો હતો. મંદિરનું તોરણ અને ચાર સ્થંભો હજુ જળવાયેલા છે અને મંદિરનો પશ્ચિમ ભાગ મસ્જિદ તરીકે ઉપયોગમાં લેવાય છે.
સિદ્ધપુર ઐતહાસિક રીતે શ્રીસ્થલ તરીકે જાણીતું હતું. ૧૦મી સદીમાં સિદ્ધપુર સોલંકી વંશના શાસન હેઠળ મહત્વનું નગર હતું. ૧૦મી સદીમાં (ઈસ ૯૪૩) સોલંકી વંશના સ્થાપક મૂળરાજે રુદ્ર મહાલય મંદિર બાંધવાની શરૂઆત કરી હતી. તેની યુવાનીમાં, મૂળરાજે સત્તા મેળવવા માટે તેના કાકાની હત્યા કરી હતી અને તેની માતાના બધાં સગાં-સંબંધીઓની હત્યા કરાવી હતી અને વૃદ્ધાવસ્થામાં તેના આ કાર્યો હજુ મનને શાંતિ આપતા નહોતા. તેણે યાત્રાધામો બંધાવ્યા હતા અને દૂર-દૂરથી બ્રાહ્મણોને તેના દરબારમાં બોલાવ્યા હતા, તેણે શ્રીસ્થલ ખાતે રુદ્ર મહાલય બાંધવાની શરૂઆત કરી અને ઇ.સ. ૯૯૬માં ગાદી પરથી નિવૃત્ત થયો. પરંતુ રુદ્રમહાલય હજુ પણ અપૂર્ણ હતો અને ૧૧૪૦ સુધી તેનું બાંધકામ પૂર્ણ થયું નહી.[૧][૨][૩]
આ મહાલય સરસ્વતી નદીને કાંઠે રેતાળ પથ્થરો (સેન્ડસ્ટૉન)માંથી બનાવવામાં આવેલો છે. ચાલુક્યન શૈલીના સ્થાપક સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ આ સ્થાપ્ત્યનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ રાજા સિદ્ધરાજ જયસિંહે તેનું સમારકામ કરાવ્યું હતું. તેના ચાર સ્તંભ તથા તેની ઉપરના કલાત્મક કોતરણીકામ ઉપરથી મૂળ સ્થાપ્તયની ભવ્યતા તેમ જ કલાસમૃદ્ધિની પ્રતીતિ થાય છે. મનોહર શિલ્પો અને કલાત્મક કોતરણીવાળા રુદ્રમહાલયની લંબાઈ ૭૦ મીટર તથા પકોળાઈ ૪૯ મીટર છે. ભારતીય પુરાતત્વ ખાતાની માહિતી પ્રમાણે રુદ્રમહાલય બે માળનો હતો. તેની ઊંચાઈ ૧૫૦ ફૂટ હતી. રુદ્રમહાલયની આસપાસ બાર દરવાજાઓ અને અગિયાર રુદ્રોની દેવકુલિકાઓ હતી.[૪] આ શિવમંદિરના શિખર પર ઘણા સુવર્ણકળશ હતા. લગભગ ૧૬૦૦ ધજાઓ[૫] ફરકતી હતી. રુદ્રમહાલયના સભામંડપના ઘુમ્મટોની કિનારો રામાયણ તથા મહાભારતના પ્રસંગોથી કંડારાયેલી હતી.
આજે રુદ્રમહાલય ખંડેર અવસ્થામાં જોવા મળે છે અને મહાલયનો નાનકડો અંશ માત્ર જ અવશેષરૂપે જોવા મળે છે. આ સ્થાપત્ય સોલંકી વંશની કલા-સમૃદ્ધિની ઝાંખી કરાવે છે.
આ લેખ પબ્લિક ડોમેન હેઠળ રહેલા Burgess; Murray (1874). "The Rudra Mala at Siddhpur". Photographs of Architecture and Scenery in Gujarat and Rajputana. Bourne and Shepherd. પૃષ્ઠ 19. મેળવેલ 23 July 2016. માંથી લખાણના અંશો ધરાવે છે.