વીરચંદ રાઘવજી ગાંધી (૨૫ ઓગસ્ટ ૧૮૬૪ – ૭ ઓગસ્ટ ૧૯૦૧)[૧] જૈન વિદ્વાન હતા જેમણે ૧૮૯૩માં શિકાગો ખાતેની ધર્મ સંસદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું.[૨]તેઓ વ્યાવસાયિક રીતે વકીલ (બેરિસ્ટર) હતા. તેમણે જૈનોના અધિકારોના રક્ષણ માટે કાર્ય કરવા ઉપરાંત જૈન તેમજ અન્ય ધર્મ અને દર્શન પર લેખનકાર્ય કર્યું અને વ્યાખ્યાન આપ્યા.
વીરચંદ ગાંધીનો જન્મ ૨૫ ઓગસ્ટ ૧૮૬૪[૩]ના રોજ ગુજરાતના ભાવનગર નજીક મહુવામાં[૪] નગરશેઠ રાઘવજી તેજપાલજી ગાંધીને ત્યાં થયો હતો.[૫] પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહુવામાં પૂરું કર્યા બાદ તેમને વધુ અભ્યાસ માટે ભાવનગર મોકલવામાં આવ્યા.[૬] ૧૮૭૯માં તેમના લગ્ન જીવીબેન સાથે થયાં.[૭][૫] ૧૬ વર્ષની ઉંમરે ભાવનગર મેટ્રીક પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવવા બદલ તેમને શ્રી જસવંત સિંહજી શિષ્યવૃત્તિથી સન્માનિત કરાયા.[૬] ગાંધીએ તેમનો અભ્યાસ મુંબઈ વિશ્વવિદ્યાલય સંલગ્ન એલફિન્સ્ટોન કોલેજમાં ચાલુ રાખ્યો.[૨][૪][૮] તેમણે ૧૮૮૪માં કાયદાશાસ્ત્રમાં સ્નાતકની પદવી મેળવી.[૨][૩][૪][૮] તેઓ ગુજરાતી, હિંદી, બંગાળી, અંગ્રેજી, પ્રાકૃત, સંસ્કૃત તેમજ ફ્રેન્ચ ભાષા સહિત ચૌદથી પણ વધારે ભાષાઓ બોલી શકતા હતા.[૩] વીરચંદ મહાત્મા ગાંધીના મિત્ર હતા અને તેમણે મહાત્મા ગાંધીને શાકાહારી આહારના પોતાના પ્રયોગમાં સામેલ કર્યા હતા. વીરચંદે ગાંધીજીને વ્યાવસાયિક સંઘર્ષના દિવસોમાં મદદ કરી હતી.[૯]
૧૮૮૫માં એકવીસ વર્ષની ઉંમરે તેઓ જૈન એસોશિએશન ઓફ ઇન્ડિયાના માનદ મંત્રી બન્યા હતા.[૮] પોતાના શાસનકાળ દરમિયાન તેઓએ શત્રુંજય પર્વત અને પાલીતાણાની મુલાકાત લેનારા તીર્થયાત્રીઓ પર પાલીતાણા રાજ્યના શાસક દ્વારા લગાડવામાં આવેલ કરનો વિરોધ કર્યો હતો.[૪] આ સંઘર્ષ દરમિયાન તેઓ મુંબઈના બ્રિટીશ ઉપનિવેશક ગવર્નર લોર્ડ રેય તથા કાઠિયાવાડ એજન્સીના કર્નલ જૉન વૉટસનને મળ્યા હતા. આ બન્ને મહાનુભાવોની મદદથી તેઓ છેવટે પ્રત્યેક યાત્રી પરના વ્યક્તિગત કરને બદલે વાર્ષિક ૧૫૦૦૦ રૂપિયાના ચૂકવણા માટે સહમત થયા હતા. રાઘવજીએ જૈન ધર્મના પવિત્ર સ્થળ શિખરજીની પાસે ૧૮૮૧માં શરૂ કરવામાં આવેલ સૂવરના કતલખાનાં બંધ કરાવવા માટે સંઘર્ષ કર્યો હતો. તેમણે બંગાળી શીખવા માટે છ માસ જેટલો સમય કલકત્તામાં વીતાવ્યો હતો. આ દરમિયાન કતલખાના બંધ કરાવાના મુકદ્દમાની તૈયારી કરી હતી. છેવટે તેઓ કતલખાનાં બંધ કરાવાના પોતાના પ્રયાસોમાં સફળ રહ્યાં હતા.[૪]
વીરચંદે ૧૮૯૩માં શિકાગો ખાતેની પ્રથમ ધર્મ સંસદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું.[૪] શરૂઆતમાં ધર્મ સંસદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્ત્વ કરવાનું આમંત્રણ આચાર્ય આત્મારામના નામથી ઓળખાતા જૈન ભિક્ષુ આચાર્ય વિજયાનંદસૂરીને મળ્યું હતું. પરંતુ જૈન ભિક્ષુઓ વિદેશયાત્રા ન કરતા હોવાથી તેઓ ઉપસ્થિત રહી શક્યા નહોતા. આત્મારામે પોતાની જગ્યાએ વીરચંદનું નામ સૂચવ્યું હતું. આત્મારામ અને તેમના શિષ્ય વલ્લભસૂરીએ વીરચંદને છ મહિના સુધી પ્રશિક્ષિત કર્યા હતા.[૪]
વીરચંદને સંસદમાં સકારાત્મક પ્રતિક્રિયા મળી[૪] અને વધુ વ્યાખ્યાન આપવા માટે કહેવામાં આવ્યું. તેઓ અમેરિકામાં બે વર્ષ અને યુ.કેમાં એક વર્ષ રહ્યા.[૪] તેઓ અન્ય બે પ્રસંગે પણ જૈન ધર્મને પ્રોત્સાહન આપવાના હેતુથી ભારત બહાર ગયા હતા. તેઓ જૈન ધર્મ પર લગભગ ૫૩૫ વ્યાખ્યાન આપવા માટે તથા ભારત બહારના લોકોને પણ જૈન ધર્મ પ્રત્યે આકર્ષિત કરવા માટે જાણીતા હતા.[૪]તેમને તેમના વ્યાખ્યાનો માટે વિભિન્ન પદકોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૪]
સ્વામી વિવેકાનંદ તેમના સમકાલીન હતા અને તેમણે વીરચંદની ખૂબ જ પ્રશંસા કરી હતી. વીરચંદ પોતાની સમુદ્રયાત્રા સંબંધે ખૂબ જ ટીકાપાત્ર બન્યા હતા. શિકાગોના ઠંડા વાતાવરણમાં પણ તેમના શાકાહારના પાલનથી વિવેકાનંદ ખૂબ જ પ્રભાવિત થયા હતા. જૂનાગઢના દિવાનને ૧૮૯૪ના પત્રમાં તેઓ (વિવેકાનંદ) લખે છે કે, "અહીં વિરચંદ ગાંધી છે જેમને તમે મુંબઈમાં બહુ સારી રીતે ઓળખતા હતા. આ વ્યક્તિ આટલા ઠંડા વાતાવરણમાં પણ ફક્ત શાકભાજી જ આહારમાં લે છે. આ દેશના લોકો તેમને બહુ સારી રીતે પસંદ કરે છે. પરંતુ એ લોકો શું કરી રહ્યા છે જેઓએ તેમને અહીં મોકલ્યા છે ? તેઓ તેમને (વીરચંદને) બહિષ્કૃત કરવાના પ્રયાસો કરી રહ્યા છે."
વીરચંદના માર્ગદર્શન હેઠળ જૈન ધર્મનો અભ્યાસ કરી જૈન ધર્મ અંગિકાર કરનાર હાર્બટ વોરેન એ વીરચંદ ગાંધીના વ્યાખ્યાનોનું એક પુસ્તક પ્રકાશિત કર્યું છે જેનું શીર્ષક છે : હાર્બટ વોરેન્સ જૈનિઝમ (હાર્બટ વોરેન્સનો જૈન ધર્મ)
અમેરિકન સમાચારપત્ર ધ બફેલો કુરીયર વીરચંદ ગાંધીના સંદર્ભમાં લખે કે, " બધાજ પૂર્વીય વિદ્વાનોમાં આ યુવાન કે જેના જૈન આસ્થા અને આચરણ પરના વ્યાખ્યાન સૌથી વધુ રૂચિ અને ધ્યાનથી સાંભળવામાં આવ્યા હતા." ૮ ઓગસ્ટ ૧૮૯૪માં કસાદોવામાં તેમણે આપેલ વ્યાખ્યાન સમ મિસ્ટેક્સ કરેક્ટેડ માટે શહેરના નાગરિકોએ તેમને સુવર્ણચંદ્રકથી સન્માનિત કર્યા હતા.[૧૦]
તેમણે બૌદ્ધ ધર્મ, વેદાંત દર્શન, ઈસાઈ ધર્મ અને પશ્ચિમી દર્શનનો અભ્યાસ કર્યો હતો અને જૈન સિદ્ધાંતોની પ્રાસંગિકતા અને મહાવીરના અહિંસાના સંદેશનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. બધા જ ધર્મો પ્રત્યે સમાન વ્યવહાર માટે તેમણે મુઘલ બાદશાહ અકબરની પ્રશંસા કરી હતી.
વીરચંદ ગાંધીએ ફિલોસોફીલ સોસાયટી તેમજ મહિલાઓના શિક્ષણ માટેની સોસાયટીની સ્થાપના કરી હતી. તેમણે ૧૮૯૫માં મુંબઈ રાજ્યના પ્રતિનિધિ તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પુના અધિવેશનમાં ભાગ લીધો હતો.[૨][૪]અને ૧૯ ડિસેમ્બર ૧૮૯૮માં વિલિયમ સાયન્સના વિશાળ સભાખંડમાં ભારતીય રાજનીતિ અને ઉદ્યોગો પર વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે ૧૮૯૯માં આંતરરાષ્ટ્રીય વાણિજ્ય સંમેલનમાં એશિયાનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું.[૪]તેમણે પાલીતાણા અને શિખરજી વચ્ચેના કર વિવાદોનું સમાધાન કર્યું હતું.[૨]
૭ ઓગસ્ટ ૧૯૦૧ના રોજ ફક્ત સાડત્રીસ વર્ષની ઉંમરે મુંબઈ પાસે મહુવાર ખાતે ફેફસામાં રક્તસ્ત્રાવ થવાના કારણે તેમનું અવસાન થયું હતું.[૪]