શંકરસિંહ વાઘેલા | |
---|---|
![]() | |
ગુજરાતના ૧૨મા મુખ્યમંત્રી | |
પદ પર ૨૩ ઓક્ટોબર, ૧૯૯૬ – ૨૭ ઓક્ટોબર, ૧૯૯૭ | |
પુરોગામી | સુરેશભાઈ મહેતા |
અનુગામી | દિલીપ પરીખ |
પૂર્વ સંસદ સભ્ય | |
બેઠક | કપડવંજ |
અંગત વિગતો | |
જન્મ | ૨૧ જુલાઇ, ૧૯૪૦ વસાણ, ગાંધીનગર, ગુજરાત |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી (૧૯૭૦―૧૯૯૬) રાષ્ટ્રીય જનતા પાર્ટી (૧૯૯૬―૧૯૯૮) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (૧૯૯૮―૨૦૧૭) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (૨૦૧૯―૨૦૨૦) |
જીવનસાથી | ગુલાબ બા |
સંતાનો | ૩ પુત્રો |
નિવાસસ્થાન | ગાંધીનગર |
વેબસાઈટ | શંકરસિંહ વાઘેલા |
February 25, 2006 સ્ત્રોત: [૧] |
શંકરસિંહ વાઘેલા (જન્મ: ૨૧ જુલાઈ ૧૯૪૦) રાજકારણી, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિરોધપક્ષના ભૂતપૂર્વ નેતા (કોંગ્રેસ) છે. શંકરસિંહ વાઘેલાની અનોખી કાર્યપદ્ધતિને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા હતા અને લોકોમાં "લોકનેતા બાપુ" તરીકે લોકચાહના મેળવી હતી. તેમની સરકારને ગુજરાતની પ્રજાએ બાપુની ટનાટન સરકારનું હુલામણું નામ આપ્યું હતું.[સંદર્ભ આપો] તેઓ કપડવંજની બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા.[૧]
શંકરસિંહ વાઘેલાનો જન્મ ગાંધીનગરના વસાણ ગામમાં એક રાજપૂત પરિવારમાં થયો હતો.[૨] તેમની માતાનું નામ નાથુબા અને પિતાનું નામ લક્ષ્મણસિંહ વાઘેલા હતું. તેમના માતા-પિતાને કુલ છ સંતાન હતા. શંકરસિંહનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની સરકારી સ્કૂલમાં થયું પછી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે બહાર ગયા.[ક્યાં?] તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે.
શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના સક્રિય સભ્ય હતા પછી તેઓ જનસંઘ માં જોડાયા જે બાદમાં ભારતીય જનતા પાર્ટી પરિવર્તિત થઇ. તેમણે ગુજરાતમાં આરએસએસ અને ભાજપ સંગઠનનું કામ કર્યું. સંઘ અને ભાજપના વિકાસ વિસ્તારમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહેલું છે.
તેમણે ૧૯૭૭માં ૬ ઠ્ઠી, ૯ મી, ૧૦ મી, ૧૩ મી અને ૧૪ મી લોકસભામાં ચુંટાયેલા સંસદના સભ્ય તરીકે પણ સેવા આપી છે. તેઓ ૧૯૮૪ થી ૧૯૮૯ સુધી રાજ્યસભાના સભ્ય પણ હતા. ૧૯૭૭ થી ૧૯૮૦ દરમિયાન તેમણે ગુજરાતમાં જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને ૧૯૮૦થી ૧૯૯૧ સુધી તેમણે મહામંત્રી અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના પ્રમુખ તરીકે સેવા આપેલી.
૧૯૯૫માં ભાજપ ૧૨૧ બેઠક જીતીને સત્તામાં આવી. ત્યારે તેઓ સીએમની દાવેદારીમાં સૌથી આગળ હોવાનું કહેવાતું હતું, પણ રાષ્ટ્રીય નેતૃત્વએ કેશુભાઈ પટેલની સીએમ તરીકેની પસંદગી કરી હતી. આ કારણે તેમનાં સમર્થકો ખુબજ નારાજ થયા અને વાઘેલા ૨૦મી ઓગસ્ટ ૧૯૯૬ના રોજ, સમર્થકો સાથે, ભાજપથી અલગ થયા. ત્યાર બાદ રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી પોતાની સરકાર બનાવી અને ગુજરાતના ૧૨ મા મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી.
મે, ૨૦૦૪માં તેઓને કેન્દ્રિય કપડા મંત્રીનો પદભાર સોંપાયો હતો. તેઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી
શંકરસિંહ વાઘેલાની ભારત પ્રવાસન વિકાસ નિગમ (ITDC) ના ચેરમેન તરીકે પણ નિમણૂક કરવામાં આવી હતી.
ગુજરાતની ૧૩મી વિધાનસભામાં તેઓની વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્તિ થયેલી હતી.
વાઘેલાએ ૨૦૧૭માં કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને પાછળથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.[૩] ૨૦૨૦માં વાઘેલાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું અને પછીથી પાર્ટીમાંથી છૂટા પડ્યા.[૪]
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |