શિવપ્રસાદ ગુપ્ત | |
---|---|
![]() ૧૯૮૮ની ભારતીય ટપાલ ટિકિટ પર શિવપ્રસાદ ગુપ્ત | |
જન્મની વિગત | ૨૮ જૂન ૧૮૮૩ |
મૃત્યુ | ૨૪ એપ્રિલ ૧૯૪૪ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિવપ્રસાદ ગુપ્ત (૨૮ જૂન ૧૮૮૩ – ૨૪ એપ્રિલ ૧૯૪૪) એક સ્વપ્નદ્રષ્ટા, પરોપકારી, ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા અને મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના સ્થાપક હતા. તેઓ ખૂબ જ શ્રીમંત ઉદ્યોગપતિ અને જમીનદાર પરિવાર સાથે સંબંધિત હોવા છતાં તેમણે પોતાનું આખું જીવન સક્રિયપણે સ્વતંત્રતા સંઘર્ષની વિવિધ ચળવળોમાં ભાગ લેવા અને નાણાકીય સહાય આપવા માટે સમર્પિત કર્યું હતું. તેઓ મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, બાલ ગંગાધર તિલક, મદન મોહન માલવિયા અને અન્ય તમામ રાષ્ટ્રવાદી નેતાઓના નજીકના સહયોગી અને મિત્ર હતા, જેઓ ઘણીવાર વારાણસીની મુલાકાતે તેમની સાથે રહેતા હતા અને તેમની સલાહ અને સમર્થન પર આધાર રાખતા હતા.
વારાણસીમાં તેમણે કાશી વિદ્યાપીઠ, ભારત માતા મંદિર, શિવ પ્રસાદ ગુપ્તા હોસ્પિટલ,[૧] હિન્દી દૈનિક અખબાર 'આજ' ઉપરાંત અન્ય પ્રકલ્પો અને પ્રવૃત્તિઓની સ્થાપના કરી હતી. અકબરપુર ખાતે તેમણે સ્વદેશી ઉત્પાદિત ખાદીના કપડાંના ઉત્પાદન અને વેચાણને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં પ્રથમ ગાંધી આશ્રમ સ્થાપવા માટે ૧૫૦ એકર જમીન આપી હતી.
ભારતીય સ્વતંત્રતા માટેના સંઘર્ષને સરળ બનાવી શકાય તે હેતુથી ગુપ્તાએ ૧૯૨૦માં હિન્દી દૈનિક અખબાર 'આજ'ની શરૂઆત કરી હતી, તેઓ ઘણા વર્ષો સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી તરીકે સંકળાયેલા હતા. તેમણે વારાણસીમાં મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. તેમણે ભારત માતા મંદિરનું નિર્માણ કર્યું હતું, જેમાં આરસ પર ભારતનો નકશો કોતરવામાં આવ્યો છે. આ મંદિરનું ઉદઘાટન ૧૯૩૬ માં ગાંધીજીએ કર્યું હતું.
૧૯૨૮માં વારાણસી ખાતે આયોજીત પ્રથમ રાષ્ટ્રીય કોંગ્રેસ માટે કુલ ખર્ચ અને વ્યવસ્થા ગુપ્તાએ તેમના નિવાસસ્થાન 'સેવા ઉપવન' ખાતે કરી હતી. ગાંધીજીએ ગુપ્તાને "રાષ્ટ્ર રત્ન" નું બિરુદ આપ્યું હતું.